Abtak Media Google News

1 થી 7 નવેમ્બર દરમિયાન કુલ 92,19,269 મુસાફરોએ એસ.ટીમાં પ્રવાસ કર્યો: સાત દિવસમાં કુલ 1,67,376 ટ્રીપ વધારાની દોડાવી

તહેવારોના સમયે લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા તથા આસપાસના રાજ્યોમાં જવા એસ.ટી સેવાનો લાભ લેતા હોય છે.આવા સમયે એસ.ટી.નિગમ ઉપર ભારણ વધારે હોય છે. એસટી નિગમ દ્વારા રેગ્યુલર 6,700 જેટલી બસ ઉપરાંત દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એસટીને આવકમાં પણ વધારો થતો હોય છે.

આ દિવાળીમાં 01 નવેમ્બરથી 07 નવેમ્બર સુધીમાં એસટી નિગમની બસો દ્વારા કુલ 1,92,47,714 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં એસટીએ 1,67,376 ટ્રીપ મારી છે. કુલ 92,19, 269 પ્રવાસીઓને તેમના ગમતા સ્થાન સુધી પહોંચાડ્યા છે. જેમાં એસ.ટી નિગમને ફુલ 46.94 કરોડની આવક થઈ છે.

એસટી નિગમ દ્વારા દિવાળીમાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને 1200 જેટલી એક્સ્ટ્રા એસટી બસો ચલાવવામાં આવી હતી. જેમના દ્વારા 10,220 ટ્રીપ થકી 04,97,321 પ્રવાસીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા છે. જેમાં નિગમને કુલ 6.77 કરોડની આવક થઈ છે.

એસટી નિગમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્સ્ટ્રા સંચાલનમાં 60 જેટલા વાહનો ફાળવવામાં આવ્યા હતા. જેમાં 1515 ટ્રીપમાં 66,691 પ્રવાસીઓને લાભ આપી નિગમને 13.34 લાખની આવક થઈ હતી. જ્યાં હજી આગામી અઠવાડિયું 30 જેટલા એક્સ્ટ્રા સંચાલન ચાલુ રહેશે. ડિજિટલ ઇન્ડિયાની સાથે કન્ફર્મ ટિકિટ મેળવવા ઓનલાઇન ટિકિટ બુકિંગ વધ્યું છે. તહેવારની સિઝનમાં ખાસ કરીને 06 અને 07 નવેમ્બરે કુલ 1.8 લાખ જેટલી ઓનલાઇન ટિકિટ બુકિંગ થયું છે. જેમાંથી એસટી નિગમને 3.40 કરોડ જેટલી આવક થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.