Abtak Media Google News

ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનીઓ નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રીમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ કરતા. આજે પણ નવરાત્રીમાં ઘણી જગ્યાએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન યજ્ઞો થાય છે.

ચૈત્રી નવરાત્રી સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ માં અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતી અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. આ પૌરાણિક કથા અનુસાર દુષીબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા. તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા. જો કે કોસાલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલીંગાના રાજાની પણ નજર હતી. સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર-અંદર લડાઈ થઈ. લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે. ત્યાં જંગલમાં એક ઋષિના ત્યાં તે ‘ક્લીમ’ મંત્ર શીખ્યો. આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કોસાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.