- મોટાપા સામે મેડીસીન, કેન્સરમાં ટાર્ગેટ થેરાપી પ્રસુતિ વખતે મહિલાના મોત સહિતના વિવિધ પર નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન
એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનો માટે ખૂબ અગત્યની એવી એ.પી.આર.કોન-2025 કોન્ફરન્સનો શુભારંભ થયો છે. આજથી બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં મોટાપા સામે મેડીસીન, કેન્સરમાં ટારગેટેડ થેરાપી, પ્રસુતિ વખતે થતાં મહિલાઓના મોત સહિત અનેક વિષય પર દેશના નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એમ એસોસીએશનના પ્રમુખ ડો. મયંક ઠક્કર અને સેક્રેટરી ડો. મિલાપ ઠકરારએ જણાવેલ છે.
કોન્ફરન્સના સાયન્ટીફીક સેક્રેટરી ડો. ગુંજન જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે તા.19ને શનિવારે સવારથી કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આજે વિવિધ વિષયો પર લેક્ચર રાખવામાં આવ્યા છે. જેમાં ગંભીર દર્દીને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે ગળામાં નળી મૂકવામાં આવે છે એ પહેલાં ઓપરેશન દ્વારા નળી મુકાતી તેના બદલે હવે નવી શોધ પ્રમાણે ઓપરેશન અને એનેસ્થેસીયા વગર ફક્ત પ્રોસીઝર દ્વારા ખાસ ડિવાઈસનો ઉપયોગ કરી મુકવામાં આવે છે. તેમાં ખાસ ફિલ્ટરનો પણ ઉપયોગ થાય છે એ વિશે વિડિયો લેક્ચર દ્વારા ડો. વિશાલ સદાતીયા માર્ગદર્શન આપશે. લોહી ચડાવતી વખતે થતાં રીએક્શનોને ઓછુ કરવા માટેના નવા ફિલ્ટર વિશે માહિતી ડો.સ્પ્રુવા ધોળકીયા આપશે. ઈન્ફેકશનના કેસમાં વપરાતી એન્ટીબાયોટીક દવાઓની અસર હવે અમુક હદે ઘટતી જતી જોવા મળે છે સામે નવી દવાઓ એટલી બધી ઉપલબ્ધ નથી આવા સમયે વિવિધ એન્ટીબાયોટીક દવાના મિશ્રણ દ્વારા દર્દીની સારામાં સારી સારવાર કઈ રીતે થઈ શકે એ વિષય પર ડો. સુરભી મદાન માર્ગદર્શન આપશે. મુંબઈના ડો. સતિષ ખાંડીલકર સિનિયર મોસ્ટ તબીબ છે, તેમની પાસે તાલીમ પામેલા અનેક તબીબો હાલ દેશભરમાં પ્રેકટીસ કરે છે. તેમના મતે તબીબોએ જીવનભર સતત વિદ્યાર્થી બની નવુ નવુ શીખતા રહેવુ જોઈએ અને કંટાળ્યા વગર કેવી રીતે રોજ બરોજ પોતાના તબીબી જ્ઞાનમાં વધારો કરી શકાય એ વિશે તેઓ માર્ગદર્શન આપશે.
લોહી રોગ અને કેન્સરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ડો. એમ. બી. અગ્રવાલ ખાસ સેમીનાર લેવાના છે. જેમાં ડો. અગ્રવાલ લોહી અને કેન્સરના રોગમાં થતી નવી નવી સારવાર વિશે માહિતી આપશે. ડો. સલીલ વાણીયાવાળા દ્વારા વિવિધ કેન્સરમાં જીનેટીક ટેસ્ટીંગ કરી જે તે કેન્સર માટે કયા જીન જવાબદાર છે તેની શોધ કરવી અને એ પ્રમાણે નિદાન કરી તેના માટે ટારગેટેડ થેરાપી કઈ રીતે થઈ શકે એ વિશે માહિતગાર કરવામાં આવશે. કેન્સરમાં વર્તમાન સારવાર એવી ઈમ્યુનોથેરાપી વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
કોન્ફરન્સના બીજા દિવસે એટલે તા.20ને રવિવારે પી.જી.ના તબીબ વિદ્યાર્થીઓ માટે ખાસ લેક્ચર રાખવામાં આવ્યુ છે. જેમાં સિનિયર તબીબો દ્વારા વિદ્યાર્થીઓને હૃદ્યરોગ, મગજના રોગની સારવાર, પરીક્ષામાં કેસ સ્ટડી કઈ રીતે રજુ કરવા વગેરે બાબતે પર માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસ, બી.પી., થાઈરોઈડ, હોર્મોનના કારણે થતી અમુક બિમારી, લાંબા થઈ જવુ કે ટૂંકા રહી જવુ, વજન અચાનક વધી જવુ વગેરે રોગના યોગ્ય નિદાન અને સારવાર વિશે ડો. ચૈતન્ય બુવા, ડો. મનોજ ચડ્ડા, ડો. નલીની શાહ લેક્ચર આપશે. અનિયમીત જીવન અને અપૌષ્ટીક ખોરાકના કારણે પેટના વિવિધ રોગ વધ્યા છે. ફેટીલીવરના કેસ ચિંતાજનક હદે વધ્યા છે તેના કારણે અનેક કેસમાં લીવર બદલવાની નોબત આવે છે. આવા કેસમાં યોગ્ય જીવનશૈલી વિશે ડો. સમીર શાહ, ડો. નિખીલ પટેલ માર્ગદર્શન આપશે. હૃદય રોગના નિદાનમાં સીટી કોરોનરી એન્જીયોગ્રાફીનો વપરાશ કઈ રીતે થઈ શકે એ બાબત ડો. અનિષ ચંદારાણા લેક્ચર આપશે.
વર્તમાન સમયમાં નવા નવા વાયરસ બહાર આવી રહ્યા છે. કોરોના, બર્ડ ફ્લુ, કોંગો વગેરે નવા નવા વાયરસના કારણે લોકો ગંભીર બિમારીમાં સપડાય છે આવા સમયે જે તે વાયરસ સામે બચી શકાય એ માટે નવા નવા વેક્સીન ઉપલબ્ધ બન્યા છે. પુખ્ત વયના લોકોએ પણ અમુક વેક્સીન લેવા જોઈએ. જેથી તે બિમારીથી બચી શકે. વર્તમાન મેડિકલ ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ વેક્સીન અને તેના ઉપયોગ વિશે મુંબઈના ડો. નિતીન શાહ લેક્ચર આપશે. પ્રસુતી વખતે મહિલાના મૃત્યુનું પ્રમાણ હજુ પણ ચિંતાજનક છે. આવા કેસમાં શું કાળજી રાખવી, મહિલા દર્દીને ક્યા પ્રકારની સારવાર આપી બચાવી શકાય એ વિશે મુંબઈના ડો. રાહુલ પંડીત લેક્ચર આપશે.
ડાયાબીટીસની અમુક દવાઓ વરસોથી વપરાય છે. આ દવાઓના કારણે ડાયાબીટીસ સાથે અન્ય બિમારીમાં પણ ફાયદા થયાનું માલુમ પડયુ છે. આ દવાઓના કારણે હ્રદયરોગ, કિડનીના રોગ, ચરબી ઘટવી વગેરેમાં ફાયદા થયાનુ સંશોધનમાં બહાર આવ્યુ છે એ વિશે એશીયા પેસીફીક ઓફ ડાયાબીટીસના હેડ ડો. બંસી સાબુ લેક્ચર આપશે. ડાયાબીટીસની અમુક દવાથી લાઈફ સ્ટાઈલ ડીસીસ, ફેટી લીવરમાં ફાયદો, હ્રદય રોગ સામે ફાયદો થતો હોય છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હૃદય રોગના અંતીમ સ્ટેજમાં વર્તમાન સમયમાં નવી આવેલી અમુક દવાથી ફાયદો થતો હોય તેના વપરાશ વિશે માહિતી આપવામાં આવશે.
ડાયાબીટીસની સારવારમાં ઈન્સ્યુલીન આપવામાં આવતાં હોય છે. ઈન્સ્યુલીનમાં પણ હવે વિવિધ પ્રકારના ઈન્જેક્શનની શોધ થઈ છે. ઈન્સ્યુલીન પંપ દર્દીના પેટ પર ફીટ કરી શકાય છે. જેનાથી જે તે દર્દી હરતા ફરતાં સામાન્ય જીંદગી જીવતા પોતાનું સુગર ક્ધટ્રોલ કરી શકે છે. અમુક પ્રકારના ઈન્સ્યુલીન આવ્યા છે. જેમાં દર્દીએ અઠવાડીયે એક જ ઈન્જેક્શન લેવુ પડે છે. નવા પ્રકારના ઈન્સ્યુલીનના ઈન્જેક્શન આવ્યા છે. જેમાં વ્યક્તિ ક્યારેક વધારે પડતુ જમી લીધુ હોય કે સુગર વધુ જમાઈ ગયું હોય તેવા કેસમાં આ ઈન્જેક્શન લે કે તરત બે મિનિટમાં ઈન્સ્યુલીન ઈન્જેક્શન કામ કરતુ થઈ જાય છે અને વ્યક્તિને રાહત થાય છે. આમ ઈન્સ્યુલીનના ઈન્જેક્શન ક્ષેત્રે થયેલ અદ્યતન શોધ વિશે ખાસ લેક્ચર રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત મેદસ્વીતાએ પણ સમાજ માટે ચિંતાનો વિષય છે અને થોડા સમય પહેલાં જ ભારતમાં મેદસ્વીતાની સારવાર માટે ઈન્જેક્શન ઉપલબ્ધ બન્યા છે. જેમાં દર અઠવાડીએ વ્યક્તિએ એક ઈન્જેક્શન લેવાનું હોય છે. આ ઈન્જેક્શન કોણ લઈ શકે, તેનાથી ફાયદો કેટલો થાય, ઈન્જેક્શન ચાલુ કર્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવુ, કેટલા ઈન્જેક્શનનો કોર્ષ કરવો સહિત અનેક બાબતો પર ખાસ વર્કશોપ રાખવામાં આવ્યો છે.
કોન્ફરન્સનું મુખ્ય લેક્ચર જાણીતા ડોક્ટર સતીષ ખાંડેલકર દ્વારા આપવામાં આવશે. જેમાં તબીબ કઈ રીતે સતત પોતાના જ્ઞાનમાં વધારો કરતા રહેવુ, મગજના વિવિધ રોગ, ન્યુરોલોજીમાં અદ્યતન નિદાન-સારવાર વગેરે બાબતો પર વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
કોન્ફરન્સના આયોજન માટે એ.પી.આર.કોન-2025ના પ્રેસીડન્ટ ડો. મયંક ઠક્કર, સેક્રેટરી ડો.મિલાપ ઠકરાર, સાયન્ટીફીક સેક્રેટરી, ડો. ગુંજન જોષી, ઉપ પ્રમુખ ડો. પારસ શાહ, આઈ.પી.પી. ડો. જયેશ ડોબરીયા, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો. તેજસ કરમટા, જોઈન્ટ સેક્રેટરી ડો. અર્ચિત રાઠોડ, ટ્રેઝરર ડો. સુનિલ ઉકાણી, ડો. વિશાલ પોપટાણી, ડો. વિરલ બલદાણીયા, સાયન્ટીફીક કમીટીના ડો. ડેનીશ સાવલીયા, ડો. નિરજ મહેતા, ડો. મનિષ બાવળીયા, ડો. મેઘાવી ભપલ, એડવાઈઝરી કમીટીના ડો. ગિરીશ પટેલ, ડો. પ્રતાપ જેઠવાણી, ડો. કિરીટ દેવાણી, ડો.પ્રફુલ ગજ્જર, એક્ઝીક્યુટીવ કમીટીના ડો. અભીષેક રાવલ, ડો. અંકુર સીણોજીયા, ડો. ધ્રુવ કોટેચા, ડો. કૌમીલ કોઠારી, ડો. ક્રિષ્ના મોરી, ડો. કૃતાર્થ કાંજીયા, ડો. મુકેશ રંગાણી, ડો. નિલેશ દેત્રોજા સહિતના તબીબોની ટીમ કાર્યરત છે. કોન્ફરન્સના કો.ઓર્ડીનેટર તરીકે ડો.સંજય ભટ્ટ, ડો.પંકજ પટેલ, ડો.તુષાર પટેલ સેવા આપે છે. કોન્ફરન્સના મિડિયો કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.
વર્તમાન સમયમાં અનિયમિત જીવન અને જંકફૂડ કારણે મેદસ્વીતાનો ખતરો વધ્યો: ડો.મયંક ઠક્કર
એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટના પ્રમુખ ડો. મયંક ઠક્કરના જણાવ્યા અનુસાર આજથી બે દિવસ માટે રાજકોટમાં રીઝન્સી લગુન હોટલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનોની કોન્ફરન્સ એ.પી.આર.કોન-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 600થી વધુ ફિઝીશીયન ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં બે દિવસ દરમિયાન મેડિકલ ક્ષેત્રે અમુક રોગ વિશે થયેલ અદ્યતન શોધ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. મોટાપા સામે મેડીસીન, કેન્સરમાં ટારગેટેડ થેરાપી, પ્રસુતિ વખતે મહિલાના મોત, પુખ્તવયની વ્યક્તિ માટે વિવિધ વેકસીન સહિતના ખૂબ અગત્યના રોગ અને તેના નિદાન-સારવાર વિશે અલગ-અલગ વર્કશોપ રાખવામાં આવ્યા છે. જેમાં દેશના ખૂબ જાણીતા તબીબો દ્વારા જે તે વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન સમયમાં અનિયમીત જીવન અને જંક ફૂડ વગેરેના કારણે વધતા જતા શારિરીક, માનસીક દર્દો બાબત પણ વિશેષ સેમીનાર રાખવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રભરના 600થી વધુ ફિઝીશીયન, સુપર સ્પેશ્યાલીસ્ટ ફેકલ્ટીની સાથે એમ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાવાના છે. વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસ જેટલાં પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે. એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટના સેક્રેટરી ડો.મિલાપ ઠકરારના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. ન્યુરોલોજી, નેફ્રોલોજી, રૂમેટોલોજી, ઈન્ફેકશનને લગતા રોગ, એન્ડ્રોક્રાઇનોલોજી, પલ્મેનોલોજી, ઓન્કો-હેમેટોલોજી વગેરે ક્ષેત્રમાં નિદાન અને સારવાર બાબતે થયેલ અદ્યતન શોધ વિશે સૌરાષ્ટ્રભરમાંથી આવેલાં તબીબોને માર્ગદર્શન આપવામાં આવશે.