Abtak Media Google News

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. પ્રમુખ એ.કે. ગુપ્તા રાજકોટ બ્રાંચની મુલાકાતે

૬૫ ટકા નોકરી આવનારી પેઢી માટે અદ્રશ્ય થશે ને નવા ક્ષેત્રમાં લગભગ બમણી તકો ઉભી થશે: સી.એ. એ.કે. ગુપ્તા

પ્રત્યેક પડકાર નવી તકોનું પણ નિર્માણ કરે છે અને તે માટે સૌથી યોગ્ય વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો છે તેમ તા.૧૬ના રોજ રાજકોટ ભાવનગર, જામનગ શાખાની મુલાકાતે આવેલા આઈસીએઆઈનાં રાષ્ટ્રીય પ્રમુખ અતુલકુમાર ગુપ્તાએ રાજકોટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ. આઈસીએઆઈની રાજકોટ બ્રાંચમાં સીએ ઈન્સ્ટિટયૂટના સમગ્ર દેશના વડા સી.એ. અતુલકુમાર ગુપ્તા ઉપપ્રમુખ સી.એ. નિહાર જાંબુસરીયા તથા સેન્ટ્રલ કાઉન્સીલ સભ્યો સીએ અનિકેત તલાટી, સીએ જય છાયરા અને સીએ અનિલ ભંડેરી સાથે આવ્યા અને સીએ તથા સીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

સીએ અતુલકુમાર ગુપ્તાએ જણાવ્યું કે સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે સીએ ઈન્સ્ટિયૂટ પણ અર્થતંત્રને સહયોગ કરી રહી હતી. તેમણે જણાવેલું કે આ વ્યવસાય સાથે ઓડિટ કે નાણાંકીય કાયદાના નિષ્ણાંત રહેવાને બદલે નવા પડકારોનો સામનો કરી રહ્યો છે.પ્રત્યેક પડકાર નવી તકોનું પણ નિર્માણ કરે છે અને તેમાટે જો કોઈ સૌથી યોગ્ય વ્યવસાય હોય તો ચાટર્ડ એકાઉન્ટન્ટનો છે. હવે વિશ્ર્વભરનાં તમામ નાણાંકીય કાયદાઓ લગભગ સમાન જેવા બને છે. અને ભારત પણતેમાંથી બાકાત નથી વધુમાં જણાવ્યું કે, કાયદાના પરિપાલનનં કાર્ય ધીમેધીમે કોમ્પ્યુટર સંભાળી રહ્યુ છે. ત્યારે આ નવી ટેકનાલોજીને સમજવાનું કાર્ય આપણું છે.

દિવસે દિવસે ટેકનોલોજીથી કંપનીઓનું મૂલ્ય વધે છે તે જ રીતે સ્થાવર જંગમ મિલકતોનું સ્થાન પાછળ જતું જાય છે. અને તેને અનુરૂપ મૂલ્યાંકન કરવાની અને સમજવાની પધ્ધતિ પણ બદલે છે. આપણે અત્યાર સુધી મિલકતો પ્રમાણીત કરવા માટે જે પધ્ધતિ અપનાવી તે તો કયારની કોમ્પ્યુટર લઈ ચૂકયું છે.તેથી તમારૂ આ ક્ષેત્રમાં જ્ઞાન અને અનુભવ રોજીંદા કાર્યકરતા વધારે અગત્યનો બનશે.તેમ તેમણે જણાવ્યું હતુ.

વિશ્ર્વના નિષ્ણાંતોને મત અત્યારે જે ક્ષેત્રમાં નોકરી મળે છે. તે પૈકી૬૫% નોકરી આવનારી પેઢી માટે અદ્રશ્ય થઈ જશે. પરંતુ નવા ક્ષેત્રોમાં નવી તકો લગભગ બમણા પ્રમાણમાં ઉભી થશે. અને ઈન્સ્ટિટયુટ આ માટે સજજ છે. અને તેમના મેમ્બરોને સતત માર્ગદર્શન પૂરૂ પડતું રહ્યું છે. તેમ તેમણે જણાવ્યું હતુ. પ્રવર્તમાન સમયની વાત કરતા તેમણે જણાવ્યું કે, કોરોનાથી પીડિત સીએ અથવા તેના પરિવારનાં સભ્યો માટે ઈન્સ્ટિયૂટ રૂ.૧.૫૦ લાખ સુધીની સહાય આપે છે. આ સમયમાં રાજકોટ શાખાએ રાજકોટમાં સિનર્જી હોસ્પિટલસાથે એમઓયુ કર્યું છે. તે મુજબ પણ સીએ તથા તેના પરિવારને હવે વિવિધ આરોગ્ય વિષયક સવલતોમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે તે માટે રાજકોટ શાખાના સીએ વિનય સાંકરીયાને અભિનંદન આપ્યા હતા. ભારત સરકારે હાલ કાયદાકીય રીતે સીએ અન્ય વ્યવસાયીકો જેમ કે, સીએસ, કોસ્ટ અકકોઉન્ટન્ટસ વિગેરે સાથે ભાગીદારીમાં જોડાઈ શકશે. તેવી મંજૂરી દીધેલી છે. અને જેનો અમલ ટૂંક સમયમાં એટલેકે ૧ ફેબ્રુઆરીથી થશે.

સીએ અતુલકુમાર ગુપ્તાએ જણાવ્યું કે સીએની ડીગ્રી વિશ્ર્વના ૪૩ દેશોમાં માન્ય ડિગ્રી છે. અને બાકીનાં અન્ય દેશોમાં તે દેશની સીએ કે સીપીએની ડિગ્રી મેળવવા માત્ર ૩ થી ૭ પેપર જ આપવા પડે છે. આરીતે આ એક ઈન્ટરનેશનલ ડિગ્રી છે અને વૈશ્ર્વિક સ્તર પર આમનું ખૂબ મહત્વ છે. ઈન્સ્ટિટયૂટ સ્તરે આ વખ્તથી સમગ્ર પરીક્ષાના પેપરો ડિજિટલ મોડમાં પરિક્ષકો પાસે પહોચ્યા છે. પરિણામ પણ ડિજિટલ મોડમાં આવશે જેથી લગભગ ૨૦ દિવસ વહેલું આવશે.

ઈન્સ્ટિટયૂટનાં ઉપપ્રમુખ સીએ નિહાર જંબુસરીયાએ માહિતી આપતા જણાવ્યું કે જુદાજુદા કાયદાઓ માટેની પેનલમાં અડધાથી વધુ સીએ છે અને તેનું નિયમન આ સંસ્થા કરી રહી છે. ભવિષ્યમાય સીએને વધુને વધુ તક મળે તે માટે આ સંસ્થા સફળ રીતે કેમ્પસ ઈન્ટરવ્યું વગેરે કરી રહી છે.

આ ઉપરાંત રાજકોટ શાખાએ ફાઈનાન્સ્યિલ રિપોટીંગમાં સામાન્ય રીતે શૂં ભૂલો થાય છે. અને તેને કઈ રીતે નિવારી શકાય તે માટે સીએ ચિંતન પટેલ દ્વારા લગભગ ૨ કલાકના વર્કશોપનું આયોજન કરાયું હતુ. કાર્યક્રમને અંતે સીએ હાર્દિક વ્યાસે આભારવિધિ કરી હતી અને જણાવ્યું હતુ કે રાજકોટ શાખા હંમેશા પોતાના મેમ્બરો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા કાર્યો કરતી રહે છે.

આ સમગ્ર કાર્યક્રમો માટે રાજકોટ શાખાના ચેરમેન સીએ વિનય સાકરીયા, વા. ચેરમેન તથા ડબલ્યુઆઈસીએએસએ ચેરમેન સીએ હાર્દિક વ્યાસ, સમગ્ર બ્રાંચ મેનેજમેન્ટ કમિટી તેમજ બ્રાંચ નોમીની સીએ હિતેષ પોમલનું સર્વ શ્રેષ્ઠ યોગદાન રહ્યું હતુ અને તેમના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતા પૂર્વક થયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.