- ૪.૫૪ અબજ વર્ષો પહેલા પૃથ્વીની રચના થઈ હતી : ૧૯૭૦ થી વર્લ્ડ અર્થ ડે ઉજવાય છે: પૃથ્વી પર પણ દરેક જગ્યાએ એક સમાન ગુરુત્વાકર્ષણ નથી : પૃથ્વી એક જમીન ધરાવતો ગ્રહ છે, એટલે કે તે ગુરુ જેવો વાયુ ગોળો નથી.
- લીલુ ભવિષ્ય એજ સમૃધ્ધ ભવિષ્ય છે, તે ભુલવું ન જોઈએ : પૃથ્વીના વજનનો ૮૫ ટકા ભાગ લોખંડનો હોય છે, આ સિવાય નિકલનું વજન પણ ૧૦ ટકા છે : ટેકટોનીક પ્લેટ ધરાવતો સૌરમંડળનો એકમાત્ર ગ્રહ, જેની ધરતીમાં ૭૧ ટકા ભાગ પાણી છે.
- હાલ પૃથ્વી પર લગભગ ૧૨ લાખ પશુ પ્રજાતિઓ રહે છે, પણ ૨૦૧૧ માં વૈજ્ઞાનિકોની શોધનાં અનુમાન મુજબ ૮૦ લાખ થી વધુ પ્રજાતિઓ છે : ૧૯૭૦ થી ’સેવ અર્થ’ ની વાત કરતું વિશ્ર્વ, આજે ગ્લોબલ વોર્મિંગની ભયંકર સમસ્યા વચ્ચે જીવી રહી છે.
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે, આપણી પાસે રહેવા માટે બીજો ગ્રહ નથી ત્યારે, આપણે જયાં નિવાસ સદીઓથી કરીએ છીએ તેનું જતન કરો, સૂર્યની વધતી જતી તેજસ્વિતા પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે. પૃથ્વીમાં મુખ્યત્વે લોહ, ઓકિસજન, સિલિકોન, નિકલ જેવા તત્વોની સાથે ૭૧ ટકાથી વધુ પાણી છે, વાતાવરણમાં ૭૭ ટકા નાઈટ્રોજન અને ૨૧ ટકા ઓકિસજન હોવાથી માનવજીવન શક્ય બન્યું છે, અને તેના પર સજીવ સૃષ્ટિ વિકાસ પણ પામે છે. પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ હોવાથી જ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિને અવકાશના શૂન્યઅવકાશ અને રેડિયેશનથી બચાવે છે.
સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવામાં એક વર્ષ એટલે કે ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ લાગે છે. એક ચાક્રાકારનો સમય ૨૩ કલાક, ૫૬ મિનિટ અને ૪ સેક્ન્ડ લાગે છે, જેને આપણે એક દિવસ કહીએ છીએ. આપણે જે ગ્રહ ઉપર સદીઓથી નિવાસ કરીએ છીએ તેના જતન કે રક્ષણ કાજે વૈશ્ર્વિક જાગૃતિના ભાગ રૂપે ૧૯૭૦ થી વર્લ્ડ અર્થ ડે ઉજવાય છે. આપણા દેશમાં તેને ધાર્મિકતા સાથે પણ જોડીને ’ધરતી માતા’ જેવા શબ્દો બોલાય છે. આ ગ્રહ ઉપર એક અબજ વર્ષ પહેલા જ જીવન પાંગર્યું હતું, જો કે તેની રચના ૪.૫૪ અબજ વર્ષ પહેલા થઈ હતી. ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્ર્વ તકલીફ ભોગવી રહ્યું છે ત્યારે, આ દિવસનું છેલ્લા પાંચ વર્ષમાં મહત્વ વધી ગયું છે. આપણે જ આપણાં સ્વાર્થ વિકાસ માટે પૃથ્વીનું પર્યાવરણ નષ્ટ કર્યુંને સામેથી ઘણી સમસ્યાને આમંત્રણ આપ્યું છે. આજે સૌ માની રહ્યા છે કે માનવીએ જ પૃથ્વી બગાડી છે તો, હવે તેજ તેનો બચાવ કરે. આ વર્ષના લડત સુત્રમાં પણ “ આપણી શક્તિ આપણી પૃથ્વી” વાત કરી છે , જેથી હવે પૃથ્વીના સવંર્ધન માટે સૌ સાથે મળીને બચાવકાર્યમાં જોડાય, તોજ સેવ અર્થનો હેતુ પણ સફળ થશે.
પૃથ્વી સતત ફરતી હોવા છતાં, આપણે પડી કેમ નથી જતા ? આ સવાલ જેટલો આસાન છે, તેટલો તેનો જવાબ અઘરો છે. પૃથ્વી ૧૦૭૧૬૦ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે સૂર્યની ફરતે દક્ષિણા કરે છે, ત્યારે પર્યાવરણ અને આપણી આસપાસની દરેક વસ્તુ ફરે છે, અને આપણું શરીર આ ગતિથી ટેવાઈ જાય છે. પૃથ્વીની ગતિ અચળ હોવાથી કરોડો વર્ષથી એક જ ઝડપે ફરે છે, તેથી આપણે તેને અનુભવી શકતા નથી, જો આ પરિભ્રમણની ક્રિયામાં ક્યાંક ઝડપ વધે કે ઘટે કે પૃથ્વી અટકી જાય તો, આપણને જોરદાર આંચકો લાગશે. આવી જ રીતે પૃથ્વી ગોળ છે, તો તેના પર રહેલું પાણી નીચે કેમ નથી પડતું , તેના કારણોમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેના કારણે જ દરેક વસ્તુ જમીન પર ટકી રહે છે. પૃથ્વી પર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ એક સરખું નથી. પૃથ્વી પર ૧૯૧૩ માં અમેરિકામાં આવેલ ડેથ વેલીમાં સૌથી વધુ ગરમ તાપમાન ૫૬.૬ ડિગ્રી જોવા મળ્યું હતું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૂર્ય થી આવનારા ઉર્જા કણોના સતત બોમ્બમારા સામે ઢાલ તરીકે કામ કરે છે. સૌર મંડળ સૌથી મોટો જમીન ધરાવતો ગ્રહ પૃથ્વી છે, જેના પર પાણી, ઘન, પ્રવાહી અને વાયુ હાજર છે.
પર્યાવરણના જતન માટે સૌનો સાથ જરૂરી
આપણી પૃથ્વી માતા ના રક્ષણ અને તેના પર્યાવરણના જતન માટે સૌનો સાથ જરૂરી છે. વધતા જતા પ્રદુષણે જીવન રક્ષક હવા બગાડતા ન ધારેલા રોગો ફાટી નીકળે છે. વૃક્ષોનું આડેધડ છેદન અને જંગલોનો નાશથી જીવસૃષ્ટિની લુપ્તતાની ઘણી ભયંકર સ્થિતિ જોવા મળે છે. આબોહવા સાથે પર્યાવરણ બદલાતા ઋતુચક્રોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. પહેલા તો ચોમાસામાં જ વરસાદ આવતો હતો. પણ આજે તો ઉનાળો કે શિયાળામાં પણ વરસાદ આવે છે. કુદરતી વાતાવરણમાં માનવીના હસ્તક્ષેપે પૃથ્વીની સાથે તેના જમીની સ્ત્રોતોને પણ નુકશાન પહોચાડયું છે. જમીનમાં પાણીના સ્તર નીચે ઉતરતા ઘણા દેશોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળે છે.
પેટ્રોલ-ડીઝલ જેવા વિવિધ ખનીજોનો સ્ત્રોત પણ ઘટતા જતા પૃથ્વીવાસીએ હવે ચેતવાની જરૂર છે.પૃથ્વી દિવસની ઉજવણીમાં ટકાઉ વિકાસ અર્થશાસ્ત્ર અને રોકાણ, હિસ્સેદારીની ભાગીદારી સાથે વૈશ્ર્વિક સ્તરે અમલીકરણ ક્ષમતા નિર્માણ અને શિક્ષણના માધ્યમ થકી ભાવિ પેઢીને લીલીછમ પૃથ્વી આપવાની આપણી સૌની ફરજ છે. લીલુ ભવિષ્ય એજ સમૃધ્ધ ભવિષ્ય છે, તે ભુલવું ન જોઈએ.મહાસાગરોમાં ઠલવાતો પ્લાસ્ટિક કચરો, અસહ્ય ગરમી, જંગલોમાં થતી ભીષણ દાવાનળની ઘટના, બરફના પહાડો ઓગળતા દરિયાની સપાટી ઉંચી આવતા સુનામી જેવી ઘટના નિર્માણ થાય છે. કલાઈમેન્ટ ચેન્જ એ પ્રકૃતિમાં માનવસર્જીત ભૂલનું પરિણામ છે.
આપણી ધરતી માતાની માવજત માટે રૂડુ રોકાણ સૌ કરશે, ત્યારે જ આપણે જીવન સારૂ જીવી શકીશું. ઈકોસિસ્ટમ, પૂર્વવત કરવા ગત વર્ષે શરૂ કરેલ યુ.એન.ના કાર્યક્રમનો આ ત્રીજો પૃથ્વી દિવસ છે. ઈકોસિસ્ટમ જ પૃથ્વી પરના તમામ જીવોનો સહારો છે. સંયુકત રાષ્ટ્રનાં કાર્યક્રમ કલાઈમેન્ટ ચેન્જ અને નિરંતર ટકાઉપણા પરત્વે હવે વ્યકિતગત કાર્ય કરવાનું અભિયાન છે. આપણે પૃથ્વી બચાવ અભિયાનમાં ઘરની ઉર્જા બચાવી, વાહનનો ઓછો ઉપયોગ, સાત્વીક ખોરાક લેવો, ખોરાકનો ઓછો બગાડ, પૂન: પ્રાપ્ત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ, ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ, ઈકો ફ્રેન્ડલી ઉત્પાદનોનો વપરાશ વિગેરે બાબતે સભાનતા રાખવી પડશે. કલાઈમેન્ટચેન્જ જેવી વિવિધતા તેમજ પ્રદુષણના જોખમનો સામનો કરવા પ્રકૃતિ સાથે સૌમ્ય સુમેળ સાધવો જરૂરી છે.
પૃથ્વી દિવસ આપણે વૈશ્ર્વિક ખાદ્ય સંકટની પૃષ્ઠભૂમિમાં મનાવી રહ્યા છે, જેને જળવાયું પરિવર્તનના કેટલાક નવા પ્રશ્ર્નો ઉભા કર્યા છે. પર્યાવરણ પર નાં પ્રશ્ને જયાં સુધી તાપમાન વધારાથી માનવીના ભવિષ્ય પર આવનાર સંકટ સુધી સિમિત હતુ ત્યાં સુધી, વિકાશશીલ દેશોનું ધ્યાન એ તરફ ગયું જ ન હતુ. જલવાયું ચક્ર સંકટની અસર ખાદ્ય ઉત્પાદન પર પડી ત્યારે ખબર પડી. આજે તો ખેડુત નકકી કરી શકતો નથી કે કયારે વાવણી કરવી ને કયારે કાપણી કરવી. પર્યાવરણ સુધાર માટે સામુહિક પ્રયત્નો પર જોર લગાવવાનો સમય પાકી ગયો છે.
પૃથ્વી દિવસનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
જેમાં ઉતર ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરને પ્રતિકરૂપે મનાવવામાં આવે છે. આજે એક દિવસ નહી આખુ વર્ષ રોજે રોજ પૃથ્વી દિવસ મનાવીને તેના રક્ષણ કાજે કાર્ય કરીને ધરતી માતાના ઋણનો થોડોભાર ઉતારી શકાય છે. ૧૯૯૦ પછી આ ઉજવણીનો વ્યાપ વધી ગયો છે. વિશ્ર્વના ૧૯૫ થી વધુ દેશો હવામાન પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચવા માટે પ્રયત્નોને તીવ્ર અસર ઘટાડવા આ દિવસ ઉજવી રહ્યા છે, જોકે આ એક ઉજવણી નથી પણ વૈશ્ર્વિક આંદોલન છે, તે કોઈ પણ નાત-જાત કે ધર્મની ઉજવણી નથી કે કોઈ રાષ્ટ્રની ઉજવણી નથી પૃથ્વીવાસીઓની પૃથ્વીને ફરી હરિયાળુ પર્યાવરણ આપવાનો એક સહિયારો પ્રયાસ છે.
૧૭૫ દેશોએ ૨૦૧૬ માં પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા તે પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરવા જ સૌ એ નકકી કરેલુ. યુ.એન.એ પણ પૃથ્વી દિવસને ધ્યાને રાખી ને જ આ કરાર પસંદગી કરી હતી. આજે તો ઘણી સમસ્યા માનવસર્જીત અને કાર્બન ઉત્સર્જન ને કારણે જોવા મળે છે. હવે તો દુનિયાએ ઘણી બધી બાબતોમાં કડક નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે. ભાવિ નાગરીકોને આ બાબતે જાગૃત કરીને તેની ગંભીરતા સમજાવવી જરૂરી છે. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી સાધનો બનાવો કે રી યુસ કરો તો પણ આજે તમે થોડુ યોગદાન આપ્યું ગણાશે.
પૃથ્વી દિવસ ઉજવણી ૧૯૭૦ માં શરૂ કરી જે આજે ૫૫ મી ઉજવણી ચાલી રહી છે. ત્યારે આપણે તો વર્ષેને વર્ષે તેને બગાડતા જ રહીએ છીએ. વૃક્ષો જંગલોના નાશ કરી રહ્યા છીએ. ત્યારે ભાવી પેઢીને આપણે કેવી પૃથ્વી આપવી છે, તે નકકી આજે જ કરી લેવું પડશે. આજે સૌ એ આપણે કંઈ દિશા તરફ જઈ રહ્યા છીએ તે, સમજવાની જરૂર છે. પૃથ્વી મુખ્યત્વે લોહ, ઓકિસજન, સિલિકોન, નિકલ જેવા તત્વોની બનેલ છે.
સંશોધનકારોના મત મુજબ હજી ૧.૫ અબજ વર્ષો સુધી પૃથ્વી પર માનવ જીવન ટકી શકશે !
લાખો-કરોડો જીવજંતુઓ અને મનુષ્યનું રહેઠાણ એટલે પૃથ્વી આખા બ્રહ્માંડનો એક માત્ર એવો ગ્રહ છે. જયાં જીવન જીવી શકાય છે. ૪.૫૪ અબજ વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હતી અને આશરે એક અબજ વર્ષ પછી તેની સપાટી ઉપર જીવન શરૂ થયું હતુ. પૃથ્વીના જીવ મંડળના કારણે વાયુમંડળમાં અને અન્ય અજૈવિક પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો હવામાં રહેલ જીવતંત્રોનું વિપુલ પ્રમાણમાં વિકાસ અને ઓઝોન સ્તરની રચનાની કારણે તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વીની સપાટી પર પહોચતા અટકાવે છે, જેના કારણે પૃથ્વી પર માનવજીવન શકય બન્યું છે. શોધસંશોધનકારોના મત મુજબ હજી ૧.૫ અબજ વર્ષો સુધી પૃથ્વી પર માનવ જીવન ટકી શકશે. આ પછી સૂર્યની વધતી તેજસ્વીતા, પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે ૧૯૬૧ માં યુરીગાગરીન બાહ્ય અવકાશમાં જનાર પૃથ્વી પરનો પ્રથમ માનવી હતો.
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હંમેશા રહસ્યમય રહ્યો છે. આપણે તેને જોઈતો શકીએ છીએ પણ, માત્ર એક બાજુ આપણને દેખાય છે. તેની અસરથી જ દરિયામાં ભરતી-ઓટ આવે છે. ૧૯૬૯ સુધી ત્યાં કોઈ ગયું જ નહતુ , ૨૦૧૫ સુધીમાં માંડ ૧૨ લોકો ચંદ્ર સુધી પહોચી શકયા છે. આ ગ્રહની ઢગલાબંધ માહિતી છતા, આ ગ્રહ આવ્યો કયાંથી તે વૈજ્ઞાનિકો પણ સવાલ કરે છે. ૧૬૦૦ માં ગેલેલિયો એ શોધ્યું કે ચંદ્રની સપાટી પૃથ્વીને મળતી આવે છે. આપણે પણ ગયા વર્ષે ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ લેડિંગ કર્યું હતું.
અરુણ દવે