Abtak Media Google News

વડોદરામાં આર્થિક સંકળામણે ૧૫ દિવસમાં બે પરિવારના માળા વિખ્યાં !!

વડોદરામાં વધુ એક આઘાતજનક આત્મહત્યામાંની ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે શહેરના વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન નજીક એક દંપતીએ ચાલતી ટ્રેનની સામે કૂદીને જીવનનો અંત આણ્યો હતો.

વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન ટ્રેનો માટેનો સૌથી વ્યસ્ત રૂટ છે અને પોલીસ હજુ પણ દંપતીના આત્યંતિક પગલા પાછળનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

મૃતકના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરતાં રેલવે પોલીસ મંગળવારે મોડી રાત્રે મૃતદેહોની ઓળખ કરી શકી હતી. પુરુષની ઓળખ ૨૪ વર્ષીય સૂરજ પાંડે તરીકે કરવામાં આવી છે જયારે મહિલાની ઓળખ ૨૩ વર્ષીય નીલુ પાંડે તરીકે કરવામાં આવી છે. આ યુગલના હજુ બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા.

બંને મંગળવારે સાંજે ખોડિયારનગર સ્થિત તેમના ઘરેથી નીકળીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.  પ્લેટફોર્મ પર થોડો સમય વિતાવ્યા બાદ કપલે ગુડ્સ ટ્રેનની સામે કૂદવાનું નક્કી કર્યું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે આ પગલું પારિવારિક ઝઘડા સહિતના કેટલાક ઘરેલું કારણોસર કે અન્ય કારણોસર થયું હતું. પાંડે એક વેપારી હતો જે ક્લિનિંગ પ્રોડક્ટ્સ વેચતો હતો.

પખવાડિયા પહેલા જ શહેરના અન્ય એક દંપતિએ વાઘોડિયા રોડ પર આત્મહત્યા કરતા પહેલા તેમના સગીર પુત્રની હત્યા કરી નાખી હતી. પ્રિતેશ મિસ્ત્રી અને પત્ની સ્નેહાએ તેમના ઘરમાં તેમના સાત વર્ષના પુત્રની હત્યા નિપજાવ્યા બાદ દંપતીએ સજોડે આપઘાત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મિસ્ત્રીને દેણું થઈ જતા આ પગલું ભર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.