Abtak Media Google News

ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે પ્લેનનું કરાંચીમાં કરાયું લેન્ડિંગ : તમામ મુસાફરો સુરક્ષિત

સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી એસજી-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.  વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું.  પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.  પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન કોઈ ઈમરજન્સી જાહેર કરવામાં આવી ન હતી અને વિમાનનું સામાન્ય લેન્ડિંગ થયું હતું. મુસાફર માટે ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.  બીજું વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે જે મુસાફરોને દુબઈ લઈ જશે.  પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનમાં કુલ 150 મુસાફરો સવાર હતા.

સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “5 જુલાઈ, 2022ના રોજ, સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટ ઓપરેટિંગ ફ્લાઈટ એસજી-11 (દિલ્હી-દુબઈ)ને ખામીયુક્ત સૂચક લાઇટને કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી.  પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

ડાબી ટાંકીમાં લીક થવાની શંકા હતી: ડીજીસીએ

અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી-દુબઈ બોઈંગ 737 મેક્સ પ્લેન જ્યારે હવામાં હતું ત્યારે તેની ડાબી ટાંકીમાંથી બળતણની માત્રામાં અસામાન્ય ઘટાડો દર્શાવવાનું શરૂ કર્યું હતું.  તેથી, વિમાનને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું.  અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે કરાચી એરપોર્ટ પર તપાસ કરવામાં આવી ત્યારે ડાબી ટાંકીમાંથી કોઈ દેખીતું લીક જોવા મળ્યું ન હતું.

છેલ્લા 17 દિવસમાં સ્પાઇસ જેટના વિમાનમાં છઠ્ઠી ઘટના

જાણે સ્પાઇસ જેટની માઠી ચાલી રહી હોય તેમ છેલ્લા 17 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનમાં આ છઠ્ઠી ઘટના છે. કુલ 6 વખત સ્પાઇસ જેટના વિમાનમાં કઇકને કઈક નડયું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તમામ છ ઘટનાઓની તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.