Abtak Media Google News

લોસ એન્જેલીસના મેયર પણ રહી ચૂક્યા છે ગાર્સેટી: રાષ્ટ્રપતિ બાઇડને કર્યા નામાંકિત

એરિક ગાર્સેટીની ભારતમાં રાજદૂત તરીકે નિમણૂકની પ્રક્રિયાને યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમને રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. ગાર્સેટ્ટીના નામાંકનને સેનેટમાં 52-42થી મંજૂરી આપવામાં આવી હતી.લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બનશે. યુએસ સેનેટે ગાર્સેટ્ટીના નામાંકનની પુષ્ટિ કરી છે. ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે તેમના નામાંકનને સેનેટમાં 52-42 દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી હતું.

યુ.એસ. સેનેટ દ્વારા તેમના નામાંકનને મંજૂરી મળ્યા પછી એરિક ગાર્સેટી ખુશ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આજના પરિણામથી ખૂબ જ ખુશ છે, જે લાંબા સમયથી ખાલી પડેલા મહત્વપૂર્ણ પદને ભરવા માટે જરૂરી હતું. તેણે આગળ કહ્યું, હું રાષ્ટ્રપતિ જો બાઈડન અને વ્હાઇટ હાઉસનો આભારી છું. હું ભારતમાં અમારા મહત્વપૂર્ણ હિતોનું પ્રતિનિધિત્વ કરતી મારી સેવા શરૂ કરવા માટે તૈયાર અને આતુર છું.

અગાઉ, ભારતમાં યુએસ એમ્બેસેડર કેનેથ જસ્ટર હતા, પરંતુ યુએસમાં સરકાર બદલાયા પછી જાન્યુઆરી 2021 માં તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, જુલાઈ 2021 માં, રાષ્ટ્રપતિ જો બાઈડને એરિક ગાર્સેટ્ટીને ભારતમાં રાજદૂત તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. જો કે, તેમનું નામાંકન સંસદમાં મતદાન માટે લાવવામાં આવ્યું ન હતું, કારણ કે શાસક ડેમોક્રેટિક પાર્ટીને સંસદમાં પૂરતું સમર્થન ન હતું.

ગયા અઠવાડિયે જ યુએસ સેનેટની ફોરેન અફેર્સ કમિટીએ એરિક ગાર્સેટ્ટીના ભારતમાં રાજદૂત માટે નોમિનેશનને મંજૂરી આપી હતી અને તેને મંજૂરી માટે સેનેટમાં મોકલી હતી. સમિતિએ તેમના નામાંકનને 13-8ના મતથી મંજૂરી આપી હતી. ફોરેન અફેર્સ કમિટીના તમામ ડેમોક્રેટ્સ, તેમજ રિપબ્લિકન સેનેટર્સ ટોડ યંગ અને બિલ હર્ટીએ એરિક ગાર્સેટ્ટીને મત આપ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.