Abtak Media Google News

વિશ્વનાં 27 દેશોમાં “SAVE SOIL’(માટી બચાવ) અભિયાન અંતર્ગત 30,000 કિ.મી.ની બાઇકસવારી કરી ઇશા ફાઉન્ડેશનના સદગુરુ  જગ્ગી વાસુદેવ જન જાગૃતિઅભ્યાન ચલાવી રહ્યા છે. જેઓ આગામી તા.29 મેના રોજ ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે. ભારતમાં પણ સૌ પ્રથમ જામનગરની ધરતી પર પધારી રહ્યા હોય જામનગરમાં તેમના સ્વાગતની ભવ્ય તૈયારી કરવામાં આવી છે. જામનગરમાં પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીના આમંત્રણને માન આપી તેઓ જામનગર પધારી રહ્યા છે. જામનગરના પ્રતાપ વિલાસ પેલેસમાં તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢાએ સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

ગત 21 માર્ચ 2022 થી સદગુરુ  જગ્ગી વાસુદેવે “SAVE SOIL’નામની ઝુંબેશ ઉપાડી છે. વિશ્વના ભૂ-વૈજ્ઞાનિકોએ તથા યુ.એન. એજન્સીસ દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરતા તે તારણ કાઢયું કે માટીની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે. 2045 સુધી વિશ્વભરમાં અન્નનું ઉત્પાદનમાં 40% થી 50%નો ઘટાડો આવશે. ખાદ્યપદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરીક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતી ઊભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે “SAVE SOIL ’અભિયાન હાથ ધરેલ છે. તેના અંતગર્ત સદગુરુ  જગ્ગી વાસુદેવ વિશ્વના 27 દેશોમાં 30 હજાર કીલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે. સદગુરુ વિદેશનો પ્રવાસ પુરો કરી ભારતમાં પ્રવેશ માટે જામનગરની ભૂમિ પર નેકનામદાર જામસાહેબે આમંત્રણ પાઠવેલ જે તેમને હર્ષ સહ સ્વીકાર્યું છે.

લંડનથી તેમણે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. જે તા.29 મેના રોજ ભારતમાં પ્રવેશ કરશે. આવતીકાલે તેઓ ઓમાનથી નિકળશે. ઓમાન મસ્કતથી આવતું સદગુરુનું વહાણ બપોરે 12.30 વાગ્યે નવા બેડી બંદર પહોંચશે. જયાં રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા તેઓનું સ્વાગત કરશે. ત્યાર બાદ જામનગરનાં ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધિઓ તેઓનું સ્વાગત કરશે. સદગુરુ નું સ્વાગત કચ્છી ઢોલના નાદથી કરવામાં આવશે. આ ઉપરાંત 150થી 200 ખેડૂતો પણ રોજી બંદરે તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહેશે.

સદગુરુ  વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓને મળી ઈં.ગ.જ.વાલસુરા તરફ પ્રસ્થાન કરશે. જ્યાં તેમનું સ્વાગત નેવીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. નોંધને પાત્ર છે કે તેમની સાથે આર્મી, એરફોર્સ તથા નેવીની બે બાઇક ઉપરાંત નવાનગર સ્ટેટની ચાર ગાડીઓનો કાફલો તેમની સાથે ચાલશે. જે મોદી સ્કુલ વાળા રોડથી થઇ સદગુરુ  જામસાહેબને મળવા તેઓના નિવાસ સ્થાન પહોંચશે અને જામસાહેબ સાથે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરશે જયાથી સદગુરુ  પ્રતાપ વિલાસ પેલેસ માટે રવાના થશે.

સાંજે 5:30 વાગ્યે ડિ.કે.વી. સર્કલથી વિરલ બાગ થઇ સદગુરુ  પેલેસ રોડ તરફ પ્રસ્થાન કરશે ત્યાં માર્ગ પર જામનગર સહિત સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકારોના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રતાપ વિલાસ પેલેસમાં કચ્છી કારીગરોની પ્રદર્શનીનું આયોજન પણ કરાર્યું છે. જેમાં હાલારી બાંધણી, હાલારનું ભરતકામ સહિતની હાલાર કચ્છની ચીજ વસ્તુઓનું એકઝિબિશન યોજાશે. જે નિહાળી સદગુરુ  મહાનુભવો વચ્ચે પધારશે. ત્યારબાદ ડાયસ પર પધારી સદગુરૂ લોકોને 45 મિનિટ માટે સંબોધિત કરશે.

આ કાર્યક્રમનું નેતૃત્વ જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા કરશે. એકતાબા સોઢા પોતે જામસાહેબની જેમ પ્રકૃતિ પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે. “SAVE SOIL’કેમ્પેઇન અંતગર્ત તેઓએ જામનગરમાં પાંચ હજાર વૃક્ષારોપણ કરવા સંકલ્પ લીધો છે. જેના ભાગ રૂપે જામનગરમાં આવતાં સદગુરુ ના હસ્તે પ્રતાપ વિલાસ પેલેસમાં બિલીના વૃક્ષનું વૃક્ષારોપણ કરી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. એકતાબા સોઢાની આગેવાની હેઠળ કાર્યક્રમને સફળ બનાવવાની યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.

સદગુરુ  જગ્ગી વાસુદેવ વિશે…

કોઇમ્બુતર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરુ  જગ્ગી વાસુદેવ પોતાની દિર્ઘદ્રષ્ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજીક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રીત કરવાનું એક ઉદાહરણ પુરૂં પાડે છે. 2017માં સદગુરુ  જગ્ગી વાસુદેવની રેલી ફોર રીવર્સ’ નામના ઝુંબેશમાં 16 કરોડ લોકો જોડાયા હતા. આ 1 લાખ 25 હજાર ખેડૂતોને સાથે રાખીને 242 કરોડ વૃક્ષનું આરોપણ કરવાનું ભવ્ય સંકલ્પ હાથ ધર્યું હતું.

પ્રકૃતિ પ્રેમી નવાનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી…

નવાનગરના રાજવી નેકનામદાર શ્રી જામસાહેબના પ્રકૃતિપ્રેમ વિશે આપણે સૌ જાણીએ છીએ. સર પીટર સ્કોટ નેચર્સ પાર્કમાં પશુ-પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામસાહેબની સંવેદનશીલતાનું પ્રતિક છે. બરડો જેવો ડુંગર જયારે જામસાહેબનું આંગણું હોય ત્યારે બરડા ડુંગર પ્રત્યેનો પ્રેમ અને પ્રાકૃતિક જનત વિશે જામનગરની જનતા અચુક જાણે છે. જામસાહેબ અને સદગુરુ  ની પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે. જામનગરના ઇતિહાસ તરફ નજર કરીએ તો દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન જયારે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરેલ હતું ત્યારે પોલેન્ડના 200 શરણાર્થીઓ દેશ-દેશ ભટકતા હતા ત્યારે દરેક દેશ તેઓની ખોરાક અને દવા દારૂની મદદ કરવા તૈયાર હતા પરંતુ કોઇપણ દેશ તેઓ ને શરણ આપવા તૈયાર ન હતા.

આ કપરી પરિસ્થિતી જોઇ જામસાહેબ દિગ્વીજયસિંહજીથી પોલેન્ડના નાગરીકોની પીડા જોઇ ન શકાય ત્યારે તેઓ ઇમ્પરીયલ વોલ કેબીનેટના સભ્ય પણ હતા તેઓએ જામનગરના બંદરમાં ‘Polish’નાગરીકોનું સ્વાગત કરી અને માત્ર શરણ જ નહી પણ તેઓના ભણતર અને વિકાસને પણ ખુબ જ મહત્વ આપ્યું હતું. આવો સોનેરી ઇતિહાસ ધરાવતા જામસાહેબના નામની શપથ આજે પણ પોલેન્ડના સાંસદમાં લેવાઇ છે.

જામનગર બંદરે ખાસ મંજૂરીથી સદગુરુનું આગમન થશે…

જામનગર બંદરે એક કાર્ગોપોર્ટ છે, પરંતુ દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન  બાળકોને આવકારવાએ પહેલો સિવિલિયન કિસ્સો હતો તે નેકનામદાર જામસાહેબ દિગ્વિજયસિંહજીના આમંત્રણથી શક્ય બન્યું હતું.આજે સદગુરુને પાઠવેલ આમંત્રણથી ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે રાજવી પરિવાર દ્વારા ફરી એકવખત જામનગર બંદર પર સ્પેશ્યલ પરમિશનથી જામસાહેબના મહેમાન સદગુરુ નું આગમન થશે. જામનગર બેડી બંદર ખાતે સદગુરુ ના આગમન માટે વિશેષ મંજૂરી આપવામાં આવી છે. કસ્ટમ ઇમિગ્રેશન સહિતની પ્રક્રિયાઓ કરી તેમનો જામનગરની ધરતી પર પ્રવેશ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.