Abtak Media Google News

­­­દેવોના દેવ મહાદેવ, ભોળાનાથ મનોમન શ્રધ્ધાભેર કરેલી ભકિતથી  જલ્દી પ્રસન્ન થઈ ભકતોના દુ:ખ દર્દ દૂર કરે છે. એટલે જ તો ભોળાનાથ કહેવાય છે. ભોળાનાથના અનેક સ્વરૂપો છે. કયાંક કાશી વિશ્ર્વનાથ તો કયાંક ચંદ્રને દક્ષપ્રજાપતિના  શ્રાપમાંથી મુકિત આપવા સોમનાથના સ્વરૂપમાં બિરાજે તો કયાંક  ઘેલા સોમનાથ બનીને  ભકતોની પ્રાર્થના સાંભળે છે. ભોળિયાનાથ રીઝે તો અભરે ભરે અને ખીજે તો ભસ્મ કરી દે તેવીઅનેક વાયકાઓ છે. એવી જ રીતે એકવખત ઘરેણા અપાવવાની પાર્વતીજીએ શિવજી સામે જીદ કરી અને શિવજીએ તેમને જે શીખ આપી તેનાથી પાર્વતીજી દેવલોકની વસ્તુને પારખી શકયા અને મનોમન  દુ:ખી થયા.

આ વાર્તા પ્રમાણે એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે “હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું.”

ત્યારે મહાદેવે જરાક હસીને માતા પાર્વતીને કહ્યું “હે દેવી.. આ લ્યો.. આ ચપટી ભભૂત લઈને તમે કુબેરજી પાસે જાઓ અને તેમને કહેજો કે આ ચપટી ભભૂત ના બદલામાં જેટલા પણ ઘરેણા આભૂષણ આવે તે મને આપી દો.” ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સે થઈને મહાદેવ ને કહ્યું

“હે સ્વામી.. તમારે મને આભૂષણ ન આપવા હોય તો કાંઈ નહીં પણ મને નીચા જોયા જેવું થાય તેવું મહેરબાની કરીને ના કરો.”

ત્યારે મહાદેવ થોડા સ્મિત સાથે માતા પાર્વતીને કહ્યું “હે દેવી.. તમે એકવાર જાવ તો ખરા.”

ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સા સાથે કુબેરજી પાસે આવ્યા અને કહ્યું

“હે કુબેરજી.. મહાદેવ ની આજ્ઞા છે કે આ ચપટી ભભૂત ના બદલામાં જે કંઈ પણ આભૂષણો આવે તે મને આપી દો.”

પછી કુબેરજી એ ચપટી ભભૂત ને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં પોતાના ભંડારમાંથી એક પછી એક આભૂષણ મૂકવા લાગ્યા. કુબેરજી નો તમામ ભંડાર ખાલી થઈ ગયો પણ ત્રાજવા નું પલડું જરા સરખું પણ ના ડગ્યું.

ત્યારે માતા પાર્વતીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તરત જ દોડતા મહાદેવ પાસે આવ્યા અને મહાદેવને કહ્યું “હે સ્વામી.. મને ક્ષમા કરો, મને નહોતી ખબર કે આ દુનિયામાં જીવસૃષ્ટિમાં કે દેવલોકમાં જે વસ્તુ તમારી પાસે છે એ કોઈની પાસે નથી.” આ લેખ પરથી  તમામ દેવોમાં શિવજીનું   શું સ્થાન છે એ સમજી શકાય અને  શિવજીની કૃપા હોય તો બધુ  જ સર્વમંગલ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.