Abtak Media Google News

ઘરે દસ દિવસ સુધી કોરોનાની સારવાર નિષ્ફળ નિવડતા અને ઓકિસજન લેવલ 73 સુધીનું થઇ જતાં અંતે સરકારી હોસ્પિટલની સારવારથી કોરોના મુકત બનતો દિવ્યાંગ યુવક

21 વર્ષનો પાર્થ અમારૂ એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનોદિવ્યાંગ હતો.  તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી. પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત પાર્થનો સિટિ સ્કેન પણ કરાવવામાં આવ્યો. ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઇ. ઓકિસજન લેવલ 75 થી 73 સુધીનું થઇ ગયુ. એટલે રાતો રાત મે સમરસના કોરોના સેન્ટરમાં દાખલ કરવો પડયો. પાર્થ મનો દિવ્યાંગ હોઇ તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના હતો. એટલે પાર્થ સાથે અમે બંને પિતા પુત્રએ સાત દિવસ સુધી સમરસમાં સારવાર લઇ. કોરોનામુકત બન્યા છીએ.

આ વાત કરે છે 49 વર્ષના અમોલ આણંદપરા. તેઓ વધુમાં કહે છે કે સમરસમાં ઓકિસજન અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને  પિતા પુત્રને રજા અપાઇ. આજ અમે બંનેસંપૂર્ણ સ્વસ્થ છીએ. તેનો યશ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારા પુત્રની સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત.

અમોલભાઇ અને તેમના પત્ની સ્પેશ્યલ એજયુકેટર છે. આ દંપતિએ બીએડ સ્પેશ્યલ એજયુકેટર તરીકે કર્યુ હતું. જેના થકી તેઓ મનો દિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનો દિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ આ દંપતિ તેમની સેવા આપે છે.

સરકારી સારવારના અનુભવ વિશે અમોલભાઇ કહે છે કે,  સરકારી કોવિડ હોસ્પિટલમાં  હોવાથી મારા પરિવારજનોની મારા ભોજન કે ખર્ચની પણ ચિંતા ન હતી. અમને સવાર સાંજ ચા ગરમ નાસ્તો અને બપોરે અને રાત્રે પૌષ્ટિક ભોજન હોસ્પિટલમાંથી જ પ્રાપ્ત થતું હતું. જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહેત. અમારી સમયસરની યોગ્ય સારવાર માટે અમે સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સ, અટેન્ડન્ટ, કલીનીંગ સ્ટાફ વગેરેના આભારી છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.