Abtak Media Google News

સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા 31 મે 2023 સુધી લંબાવાય

રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ હવે વધારાના વીજ લોડ પર દંડ નહીં ભરવો પડે. હવે સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ પણ વધારી શકાશે.ગુજરાત સરકાર સમક્ષ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકારે આ નિર્ણય લીધો છે અને રાજ્યના અનેક ખેડૂતોને ખેતી માટે મોટી રાહત મળી છે.

લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. બીજી તરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ યોજનાની મુદ્દત 31 મે 2023 સુધી લંબાવાઈ છે. કિસાન સંઘની રજૂઆત પર સરકારે આ નિર્ણય લીધો છે.

ગુજરાતના ખેડૂતો માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. રાજ્યના ખેડૂતોને રાહત આપતો ઊર્જા વિભાગે નિર્ણય કર્યો છે. ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કરાયો છે, ઉપરાંત વધારાના વીજ લોડ પર દંડથી મુકિત આપવાની યોજનામાં 4 મહિનાનો વધારો કર્યો છે. કૃષિલક્ષી વીજ જોડાણમા વધારાનો વીજ ભાર નિયમિત કરવાની આ યોજનામાં ખેડૂત અરજદારોને તફાવતના ફિકસ સર્વિસ કનેકશન ચાર્જની ભરપાઈમાથી મુકિત આપવાની જોગવાઈ છે. આ યોજનાની મુદત 31 મે 2023 સુધી લંબાવાઈ છે.

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના-2022 અમલમાં મૂકી હતી. જે હાલમાં ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા હોય તે દરેક કક્ષાના ગ્રાહકને લાગુ પડશે અને અરજી કરી શકશે. અરજી પછી ઉર્જા વિભાગ દ્વારા સર્વે બાદ જો વીજ ભાર જાહેર કર્યો હોય તેના કરતા વધુ હશે તો એક માસમાં ગ્રાહકે નાણા ભરપાઇ કરવાના રહેશે. જો નિયત સમય મર્યાદામાં ગ્રાહક નાણા ભરપાઇ ના કરે તો તો યોજનાનો લાભ મળવી શકશે નહીં અને વીજ કંપની દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

વીજ ભાર ચેક કર્યા પછી વાસ્તવિક વીજ ભાર વધુ હોય તો ગ્રાહકે વર્તમાન મોટી મોટરના બદલે કરારીત લોડ મુજબ નાની મોટર સ્થાપવાની રહેશે. નાની મોટર સ્થાપિત કર્યાની જાણ પણ ગ્રાહકે લેખિતમાં ટેસ્ટ રિપોર્ટ સાથે સબ ડિવિઝનને કરવાની રહેશે. જો ગ્રાહકનું વીજ કંપનીનું કોઇપણ લેણુ બાકી હશે તો તે યોજનાનો ગ્રાહક લાભ લઇ શકશે નહીં. તે ચૂકવ્યા પછી જ યોજનાનો લાભ અપાશે.

કોર્ટ કેસ ચાલતો હશે તો લેણુ ચૂકવીને કોર્ટ કેસ પરત લેશે તો યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે. એક જ પોઇન્ટથી ગ્રાહક બે વીજ મોટર વાપરતા હોય તો વીજ ભાર વધારા સાથે બે મોટર વાપરવાની મંજૂરી અલગથી લેવી પડશે.  ભૂતકાળમાં જે કેસ આખરી થઇ ગયા હોય તેની આ યોજના હેઠળ સમીક્ષા થઇ શકશે નહીં. યોજના મુજબ ગ્રાહક માટે દરેક વીજ વિતરણ કંપની ખાતે એક મધ્યસ્થ  કોલ સેન્ટરની સુવિધા ઉભી કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.