Abtak Media Google News

શાપર કારખાનામાં કામ કરતા યુગલ વચ્ચેના પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ: બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયા બાદ સજોડે ટ્રેન નીચે પડતુ મુકતા બંનેના કટકે કટકા થયા

અઢી અક્ષરના પ્રેમ શબ્દના વહેમમાં રહેલા શાપરના યુગલ સમાજ એક નહી થવા દે તેવી દહેશત સાથે બે દિવસ પહેલાં ઘરેથી નીકળી વિરપુર-કાગવડ વચ્ચે સજોડે ટ્રેન નીચે પડતુ મુકતા બંનેના કટકે કટકા થઇ જતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મૃતક પ્રેમિકા પરિણીત છે. જ્યારે પ્રેમીકાથી ચાર વર્ષ નાની ઉમરના પ્રેમી અપરિણીત હોવાથી બંનેના લગ્ન શકય ન હોવાના કારણે બંનેના પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ સાથે અંત આવ્યો છે. મૃતક પ્રેમિકાના આપઘાત તેણીનો ચાર વર્ષના પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર રહેતા જયેશ ભીખાભાઇ ભાસુર નામના 22 વર્ષના યુવાન અને ગીતા ઉર્ફે આરજુ જગદીશભાઇ રાઠોડ નામની 26 વર્ષની પરિણીતાની વિરપુર-કાગવડ વચ્ચેથી ટ્રેન નીચે કપાયેલી હાલતમાં લાશ પડી હોવાની રેલવે સ્ટાફ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ગોહેલ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસની તપાસ દરમિયાન મૃતક બંને શાપર-વેરાવળના હોવાની ઓળખ મેળવ્યા બાદ બંનેના પરિવારને બંનેના આપઘાત અંગે જાણ કરી હતી ત્યારે જયેશ અને ગીતા એક જ કારખાનામાં સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જયેશ અને ગીતા બંને એક જ જ્ઞાતિના છે અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ ગીતા પરિણીત હોવાથી અને તેને ચાર વર્ષના પુત્ર હોવાથી જયેશ અને ગીતા વચ્ચે લગ્ન શકય ન હોવાથી બે દિવસ પહેલાં ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયા હોવાનું બહાર આવ્યું છે.જયેશ અને ગીતાની પરિવારજનો શોધખોળ કરતા હતા તે દરિમાન બંનેના મૃતદેહ વિરપુર-કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડયાની પોલીસ દ્વારા બંનેના પરિવારને જાણ કરી બંને લાશના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. મૃતક ગીતાબેનને ચાર વર્ષના એક પુત્ર છે તેને માતાની મમતા ગુમાવી દેતા પરિવારમાં કરૂણાંતિકા સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.