Abtak Media Google News

આજે વિશ્વ શાકાહાર દિવસ

હાથી-ઘોડા-ગાય-ગેંડો-હિપોપોટેમસ-બકરી-ઉંટ-હરણ જેવા બુદ્ધિશાળી અને શક્તિશાળી પ્રાણીઓ શાકાહારી હોય છે

1 ઓક્ટોબર વિશ્વ શાકાહાર દિવસ મનાવવામાં આવે છે. જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ સાથે જોડાયા છે.

શાકાહારી ખોરાકમાં ઘણા ફાયદાઓ હોય છે અને તે વધુ સંતુલિત હોય છે. માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવ શરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે.

સંતુલિત શાકાહારી ખોરાક વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે.શાકાહાર હૃદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હૃદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હૃદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે.

શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ‘બોડી માસ ઇન્ડેક્સ’ (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે. શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે.

શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે.શાકાહાર પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે.

શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે.પ્રવર્તમાન કોરોના બિમારી પણ ચીનમાંથી માંસાહાર થકી ફેલાયેલી છે, એવું માનવામાં આવે છે. મનુષ્યનું પેટ મરેલા પશુ-પક્ષીઓનું કબ્રસ્તાન કે સ્મશાન નથી, પશુ-પક્ષીઓને ખાતા પહેલા તેમને મારવા પડે છે. હાથી, ઘોડો, ગાય, ગેંડો, હિપોપોટેમસ, બકરી, ઊંટ, હરણ જેવા તમામ શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.