Abtak Media Google News

જામનગરમાં શંકરટેકરી ઉધોગનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. શોક સર્કીટને કારણે ગોડાઉનમાં લાગેલી આગ ૧૧૦૦૦૦ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ ઓલવાઇ હતી.આગ પર કાબૂ મેળવવા ૧૫ ફાયરના જવાનોને ૩ કલાક ૪૦ મીનીટનો સમય લાગ્યો હતો.આગને કારણે ગોડાઉનમાં રાખેલું તમામ પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ બળી ગયું હતું. જામનગર શંકરટેકરી ઉધોગનગરમાં મેલડી માતાજી મંદિર જવાના માર્ગ પર શેડ નં.૪૨૬ માં આવેલા જય અંબે એન્ટરપ્રાઇઝ પ્લાસ્ટીકના ગોડાઉનમાં સોમવારે રાત્રિના ૩.૧૦ કલાકે આગ લાગી હતી.ગોડાઉનમાં પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ રાખવામાં આવ્યું હોય આગે પલવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.આથી આગની જવળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી દેખાવા લાગ્યા હતાં.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ફાયર ફાયટરથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.પરંતુ ગોડાઉનમાં પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ હોય આગ બુઝાવવામાં ફાયરના જવાનોને ભારે કવાયત કરવી પડી હતી.ફાયરના જવાનોએ ૧૦૦૦૦ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ૧૧ ગાડીનું ફાયરીંગ એટલે કે ૧૧૦૦૦૦ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી.આગ પર કાબૂ મેળવવા ફાયરના જવાનોને ૩ કલાક અને ૪૦ મીનીટનો સમય લાગ્યો હતો.પ્લાસ્ટીકના ગોડાઉનમાં શોક સર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે.આગને કારણે પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સ,કોમ્પ્યુટર સહીતની તમામ વસ્તુઓ બળી ગઇ હતી. પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સના ગોડાઉનમાં સદનસીબે મોડી રાત્રીના આગથી જાનહાની ટળી હતી.જો સવારના સમયે ગોડાઉનમાં આગ લાગી હોત તો કામદારો અને અન્ય કર્મચારીઓના જીવ જોખમમાં મૂકાયા હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.