Abtak Media Google News

જય વીર વછરાજ, રણુજાનાં રાજા રામદેવપીર, પૃથ્વીરાજ ચૌહાણ, જેસલ તોરલ, ઘર ઘૂંઘટ ને ઘરચોળું, સત દેવીદાસ, શ્રીહમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, રાજા ભરથરી, જય ચિત્તોડ અને શેણી વિજાણંદ એમ કુલ ૧૦ નાટકો પ્રસ્તુત થશે

અબોલ જીવ એવા ભોળા પંખીડાઓની ચણ એકઠી કરવા માટે અમરેલી જિલ્લાના કલાપીનગર એટલે કે લાઠી ગામમાં પરંપરાગત નવરાત્રી ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકાથી શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દવારા છેલ્લા ૧૫૩ નવરાત્રી પર્વ દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા લાઠી ગામના મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે કવિ કલાપીનાં ધામ ખાતે છેલ્લા ૧૫૨ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વરસે તા. ૨૯-૯-૨૦૧૯ થી તા. ૮-૧૦-૨૦૧૯ દરમ્યાન જય વીર વછરાજ, રણુજાનાં રાજા રામદેવપીર, પૃથ્વીરાજ ચૌહાણ, જેસલ તોરલ, ઘર ઘૂંઘટ ને ઘરચોળું, સત દેવીદાસ, શ્રી હમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, રાજા ભરથરી, જય ચિત્તોડ અને શેણી વિજાણંદ એમ કુલ ૧૦ નાટકો પ્રસ્તુત થશે.

આજથી લગભગ ૧૫૩ વરસો પૂર્વે લાઠી ગામનાં મહાન સંતશ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટ્ય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યેની સંવેદના અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે. અલબત્ત કલાપીનગરમાં તેમજ સૌરાષ્ટ્રનાં અનેક ગામો અને શહેરોમાં આ નાટ્ય મહોત્સવની સુવાસ ફેલાયેલી છે. તો વળી રાજવી કવિ સ્વ.શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)નાં અદભૂત કાવ્યોએ પણ લાઠી ગામને જે જબરદસ્ત પ્રતિષ્ઠા અપાવી હતી તે આજે પણ બરકરાર છે.

નવરાત્રીમાં માત્ર બોલી બોલનારા દાતાઓ જ નહી પરંતુ બોલી નહી બોલનારા લોકો પણ આ દિવસે મંડળને અનાજનું દાન આપતા રહે છે. આ એક જ દિવસમાં, પંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્થામાં અનાજ એકઠું થાય છે. લાઠીની મેઈન બજારનાં મુખ્ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્યો આખું વર્ષ રોજ પંખીડાઓને ચણ નાખવામાં આવે છે.

દર વર્ષે શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળનાં સભ્યો શ્રાવણ માસથી જ નાટ્ય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. સમગ્ર આયોજનને પ્રચાર માધ્યમો, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફીસ, પોલીસ ડીપાર્ટમેન્ટ, નગરપાલિકા વગેરે તેમજ ઉદ્યોગપતિઓ, વ્યાપારી સમુદાય તથા સ્થાનિક જનસમુદાયનો પુરો સાથ સહકાર મળી રહે છે.

Lathi Navratri 2019 Dt.26 6 192

કાઠીયાવાડી સંસ્કૃતિ-પરંપરાને જાળવી રાખવા શ્રી મહાકાળી નવરાત્રી મંડળનાં આશરે ૬૦ થી ૭૦ સભ્યો ધરાવતા આ મંડળે લગલગાટ ૧૫૩ વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરાને આ વર્ષે પણ આગળ ધપાવી રહયા છે. અલબત જમાનો બદલાતો રહે છે. નવા પરિવર્તનો આવતા રહે છે. છેલ્લા થોડા વર્ષોથી ખાસ કરીને ટી.વી. ચેનલોનાં મનોરંજનના આક્રમણને પગલે લોકોની રૂચી બદલાતી રહી છે. આમ છતાં પણ લાઠીના નાટયોત્સવની લોકચાહના જબરદસ્ત રહી શકી છે જેને ધ્યાનમાં રાખી લગભગ દર વર્ષે જુના નાટકોનાં સ્થાને નવા નવા નાટકો ઉમેરવામાં આવતા રહયા છે. જોકે લાઠી ગામના આ નવરાત્રી નાટક મહોત્સવના મૂળભૂત સેવાકીય હેતુઓ સાથે ક્યારેય કશી જ બાંધછોડ થઇ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.