Abtak Media Google News
  • રમેશભાઇ ટીલાળાએ ક્યારેય ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી ઉતરી ખુરશી કે પાથરણા પાથર્યા છે ખરા? માત્ર પૈસા અને જ્ઞાતિના જોર સિધ્ધી જ વિધાનસભાની ટિકિટ આપી દેવાતા પાયાના કાર્યકરોમાં ભારોભાર નારાજગી
  •  ‘વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ’ આ પાયાનો સિધ્ધાંત જ ભાજપના વર્તમાન હોદ્ેદારો વિસરી રહ્યા છે: વર્ષોથી કમળને મજબૂત બનાવવા કાળી મજૂરી કરતા કાર્યકરના માત્ર ‘ઠેંગો’ જ દેખાડાય છે
  •   વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપ કડિયા સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, દરજી સમાજ, પ્રજાપતિ સમાજ, મોચી સમાજ, વાણંદ સમાજ, સોની સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, માલધારી સમાજ કે સગર સમાજને ટિકિટ આપતો નથી: એક સમાજને વધુ પ્રાધાન્ય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાદ ભાજપના કાર્યકરોમાં રાજ્યવ્યાપી નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી કમળને મજબૂત બનાવવા માટે રાત-દિવસ જોયા વિના કાળી મજૂરી કરતા કાર્યકરો અને આગેવાનોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. તેના સ્થાને કેટલીક બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાને 24 કલાક પણ ન હોતી વિતી ત્યાં ટિકિટ ફાળવી દેવામાં આવી. અનેક બેઠકો પર મજબૂત દાવેદારોના સ્થાને પેરાશૂટ ઉમેદવારને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. જેનાથી ભાજપના પાયાના કાર્યકરોના હૈયા સળગી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા સામે સૌથી વધુ પૂણ્ય પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પરથી ઓબીસી સમાજના ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી અને લાગણી ઉઠી રહી છે. છતા હાઇ કમાન્ડે પેરાશૂટ ઉમેદવાર એવા રમેશભાઇ ટીલાળાને ટિકિટ ફાળવી દેવાતા કાર્યકરો ભારોભાર નારાજ છે.

હાલ ભલે કાર્યકરો રમેશભાઇ ટીલાળા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોય પરંતુ વાસ્તવીક ચિત તદ્ન વિપરિત છે. પક્ષ માટે કોઇપણ પ્રકારનું કામ ન કરનાર વ્યક્તિને સિધ્ધી જ વિધાનસભાની ટિકિટ હાઇકમાન્ડ દ્વારા ક્યાં માપદંડોના આધારે આપી દેવામાં આવી તે સો મણનો સવાલ કાર્યકરોને સતત સતાવી રહ્યો છે. રમેશભાઇ ટીલાળા માત્રને માત્ર પૈસા અને જ્ઞાતીના જોરે ટિકિટ લઇ આવ્યા હોવાની ચર્ચા કાર્યકરોમાં થઇ રહી છે. પોતે જે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે બેઠકમાં આવતા વોર્ડના સ્થાનિક કાર્યકરો કે વોર્ડના હોદ્ેદારોના નામ પણ તેઓને ખબર નહી હોય. દરેક વોર્ડના ભાજપના કોર્પોરેટરોને પણ તેઓ વ્યક્તિગત રિતે ઓળખતા નહી હોય તેવી ચર્ચા ભાજપના કાર્યકરોમાં થઇ રહી છે.

અનેક પ્રકારના સવાલો સમગ્ર સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના મગજમાં હથોડાની માફક અથડાઇ રહ્યા છે. જેને ભાજપ્ના કોઇપણ પ્રકારના કાર્યકર્તાઓ સાથે સ્નાન સુતકનો પણ વહેવાર નથી તેવા લોકોને વ્યકિતગત તેમજ તેમના પોતાના હીતો માટે થઇ અને ઉપરથી ઠોકી બેસાડવામાં આવ્યા છે. શું તેમને આપણો મત આપી અને આપણે મજબુત કરવાના છે?? પેરાશુટ થી આવેલા દરેક ઉમેદવારોને દરેક સીટો ઉપરથી ઘરે બેસાડવાની આવશ્યકતા છે. જેથી ભાજપ્ના કાર્યકર્તાઓની કિંમત ભાજપ્ને સમજાઇ શકે. ઘણા સમય પહેલા જ્યારે શંકરસિંહ વાઘેલા દ્વારા રાજપા કરવામાં આવ્યુ ત્યારે ભાજપ્ના યુવા કાર્યકતા દ્વારા એક સુત્ર વહેતુ કરવામાં આવેલ હતુ કે આપણે મજુરીયા, હજુરીયા અને ખજુરીયા આમાંથી ક્યું ભાજપ જોઇએ છે??

કાર્યકરોને એવુ લાગી રહયુ છે કે મુળ ભાજપ જે છે તે કાર્યકર્તાઓના લોહી અને પસીનાથી સીંચાયેલુ ભાજપ એટલે કે ફકત મજુરી કરવા વાળાનું ભાજપ છે. નહી કે બારોબાર થી ઠોકી બેસાડાયેલા ઉમેદવારોનું?? રાજકોટ શહેર ભાજપ્ના અમુક હોદેદારો દ્વારા કાયમી ધોરણે રાજકોટ શહેરની અંદર અંગ્રેજોની કુટનીતીઓને ઘ્યાનમાં રાખી અને પોતાના રોટલા શેકવા માટે થઇ અને નાના-નાના સમાજો જેવા કે કડીયા સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, દરજી સમાજ, સમગ્ર પ્રજાપતિ સમાજ, મોચી સમાજ, વાણંદ સમાજ, સોની સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, માલધારી સમાજ, સગર સમાજ વિગેરે સમાજના લોકોને ભાજપ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વિધાનસભાની એક પણ ટીકીટો આપવામાં આવી નથી.

તેમજ સમગ્ર સમાજના લોકોને અંદરો અંદર એટલે કે સામે સામે મુકી અને દરેક સમાજના વિભાજન કરવાની પ્રવૃતિઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહેલ છે. જેને કારણે દરેક સમાજમાં અંદરો અંદર વાદ વિખવાદો વધી રહયા છે પરંતુ દરેક સમાજના આગેવાનો, કાર્યકર્તા ભાઇઓ-બહેનો જે સમજવાની આવશ્યકતા છે કે ઉપર બેઠેલા રાજકીય ક્ષેત્રના દરેક પોલીટીકલી પાર્ટીના નેતાઓ ચુંટણી પતી જાય પછી હરહંમેશા સાથે બેસી રોટલા જમે છે, ચા-પાણી, નાસ્તાઓ કરે છે અને દરેક સમાજના નીચેના લોકો લડે છે તેની સામે જોઇ અને અટહાસ્ય કરી અને કહે છે આ લોકોના હિસાબે જ આપણુ રાજકારણ ચાલે છે માટે દરેક સમાજના લોકોએ વિચારવા જેવી અને સમાજને જાગૃત કરવાની જરૂરિયાત છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લુહાર સમાજ, સુથાર સમાજ, દરજી સમાજ, મોચી સમાજ, વાણંદ સમાજ, સોની સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, માલધારી સમાજ, સગર સમાજ, સથવારા સમાજ  વિગેરે દરેક સમાજ દ્વારા હર હમંશા પોતાના મતો ભાજપ્ના ઉમેદવારોને આપવામાં આવે છે છતાં પણ એકપણ ટીકીટ આપવામાં આવી નથી અને જો આવતા દિવસોમાં આવા સમગ્ર નાના-નાના સમાજના લોકો જાગૃત થઇ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ઘરભેગા નહી કરે તો આવતી કોર્પોરેશનની ચુંટણીઓમાં પણ આ તમામ સમાજના લોકોને કોર્પોરેશનની ટીકીટો એટલે કે પોતાના સમાજનું પ્રતિનિધીત્વ કયાંય પણ આપવામાં આવશે નહી. માટે ઉપરથી ઠોકી બેસાડેલા ઉમેદવારોને ઘરભેગા કરવા એજ એક અંતિમ ઉપાય બચ્યો છે. આપણી પાસે મતદાન સિવાય બીજી કોઇપણ પ્રકારની રાજકીય, સામાજીક અથવા આર્થીક કોઇપણ પ્રકારની શક્તિઓ નથી. ઓછી વસતી ધરાવતા સમાજ પાસે શક્તિ ફકત અને ફકત મતદાન છે.

શું રમેશભાઇ ટીલાળા ભાજપ માટે ફંડ ભેગુ કરવા માટે ચુંટણી લડવા આવ્યા છે? કે પછી નરેશભાઇ પટેલ જેવા કટ્ટરવાદી માટે થઇ અને ચુંટણીઓ લડવા આવ્યા છે ? તેવા સવાલો પણ ભાજપના કાર્યકરોમાં થઇ રહ્યાં છે. રમેશભાઇ ટીલાળાનું કાર્યક્ષેત્ર શાપર વેરાવળ છે અને શાપર વેરાવળ ઇન્ડ. એશોશીયેશનના તેઓ પ્રમુખ પણ છે અને છતાં પણ રાજકોટ 70 દક્ષીણ વિધાનસભા પસંદ કરવાનું કારણ હજી સુધી લોકોને સમજાતુ નથી. રાજકોટ 70 ની અંદર પાટીદાર સમાજના વધારે માં વધારે 45000 મતદારો છે. રાજકોટ 70નું કુલ મતદાન આશરે 258000 જેટલુ છે. ગોંડલની સીટ ઉપર પાટીદાર સમાજનું 90000 જેવુ મતદાન છે છતાં પણ ગોંડલને નકારીને

રાજકોટની સીટ ઉપર લડવા આવ્યા તેનુ કારણ એવુ લાગે છે કે બાકી રહેતા આશરે (2,13,000) બે લાખ તેર હજાર મતદારોને ભાજી મુળા સમજતા હોય તેવુ લાગી રહયુ છે એવુ માનતા લાગે છે કે બાકીના મતદારોની એવી મજબુરી છે કે હું ભાજપ નો ઉમેદવાર છું તેથી લોકો મને મત આપવા માટે મજબુર જ છે.

મતોનું ગણીત સમજી અને સમગ્ર સમાજના લોકોને વિનંતી સાથે જણાવીએ છીએ કે એક વખત આવા હવાઇ ઉમેદવારોને ઘર ભેગા કરો જેથી આવતા દિવસોમાં આવતી ચુંટણીઓમાં સમગ્ર સમાજના લોકો ઉપર કાર્યકર્તાઓને બદલે ઉદ્યોપતીઓને ઠોકી બેસાડવાનું બંધ કરવામાં આવે તેવી માંગણી દરેક સમાજ અને ભાજપના કાર્યકરો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.

કાર્યકરોના મનને આ પ્રશ્ર્નોએ રમણ-ભમણ કરી નાખ્યું છે

  1. રમેશભાઇ ટીલાળા ભાજપ્ના કેટલા વર્ષોથી કાર્યકર્તા છે??
  2.  શું રમેશભાઇ ટીલાળાએ કયારેય ભાજપ્ના કાર્યકર્તા માટે કે સમગ્ર સમાજના કોઇ સામાન્ય વ્યકિત માટે પોતાની એ.સી.ગાડીનો કાચ ખોલેલો છે??
  3. અથવા તો ભવિષ્યમાં કાચ ખોલશે તેની કોઇપણ પ્રકારની ગેરંટી છે??
  4.   શું રમેશભાઇ ટીલાળાએ કયારેય પણ ભાજપ્ના કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ખુરશીઓ અથવા પાથરણાઓ સંકેલ્યાનો દાખલો છે ?? જો કોઇ પાસે પુરાવો હોય તો તેનો ફોટો વાયરલ કરવા વિનંતી.
  5. શું રમેશભાઇ ટીલાળાએ કયારેય પણ ભાજપ્ના સામાન્ય કાર્યકર્તાઓ ભાઇઓ-બહેનો વડીલો કોઇપણના કોઇપણ પ્રકારના કામો કરેલા છે??
  6.  શું રમેશભાઇ ટીલાળા ભાજપ વતી કદાચ ભુલે ચુકે પણ ચુંટાય જાય તો ભાજપ્ના કાર્યકર્તાઓ અથવા તો સમગ્ર સમાજની સેવાઓ કરવાના છે??  કે પછી શાપર વેરાવળના કારખાનેદારોના કામ માટે ચુંટણી લડવા આવ્યા છે??

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.