Abtak Media Google News

પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ એન્ડ કલ્ચર કમિટીના ચેરમેન ટી.જી. વેંકટેશ અને કમિટીના સભ્યોએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. 31 સભ્યોની બનેલી આ સમિતિના ચેરમેન ટી. જી. વેંકટેશે પત્રકાર પરિષદ સંબોધી હતી.

સાબરમતી આશ્રમની મુલાકાત વખતે કમિટી અધ્યક્ષ શ્રી ટી. જી. વેંકટેશે પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે પરંતુ આશ્રમને કોઈપણ પ્રકારનું અડચણ આવશે નહીં. તેમણે કહ્યું હતું કે આશ્રમની આસપાસની જગ્યાનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે શ્રી ટી. જી. વેંકટેશે એમ પણ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીને અનુલક્ષીને થઈ રહેલા કોઈપણ કાર્યને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખુદ પ્રાધાન્ય આપીને હાથ પર લેતા હોય છે.

તેમણે કહ્યું કે ગાંધીજી  મહાત્મા છે એટલે સરકાર એમાં રાજકારણ નહીં લાવે. લોકોએ આ રીડેવલપમેન્ટ અંગે કોઈ ગેરસમજ ન રાખવી જોઈએ..

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રે મોટું રોકાણ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે ટુરિઝમ એ ઇકોનોમી માટેનું મોટું સેક્ટર છે, જેથી એનો પણ વિકાસ એટલો જ જરૂરી છે. જેમાં આંદામાન નિકોબાર ટાપુઓનો ઉલ્લેખ કરીને અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે આંદામાનમાં આવેલા ટાપુઓને વૌશ્વિક ટેન્ડર આપીને બહેતર બનાવવાના પ્રયાસોને વેગ અપાશે..

પત્રકારોએ ગુજરાત વિશે પૂછતાં તેમણે હળવાશભર્યા સૂરમાં જણાવ્યું કે ગુજરાત વિશે વિચારનાર પીએમ મોદી પોતે ગુજરાતના લીડર છે. એટલે ગુજરાત વિશે કોઈ સુઝાવ આપવાની અમને જરૂર નહીં પડે.

તેમણે આ સાથે સડકમાર્ગોની વાત ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે ભારતમાં કોરોનામાં લોકોએ જીવ ગુમાવ્યો એના કરતાં પણ વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જેથી રોડ ટ્રાન્સપોર્ટને વધુ સારા બનાવવા તરફ પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે. હાઇવે એ પ્રકારના બનાવવામાં આવશે કે હાઇવે ઉપર હેલિકોપ્ટર કે પ્લેન લેન્ડ કરી શકાશે.

આ સમિતિ ગુજરાતમાં સાબરમતી આશ્રમ તથા કેવડિયા કોલોનીની મુલાકાત લઈને ત્યાં ઉપસ્થિત સુવિધાઓ નું મૂલ્યાંકન કરશે તથા નાગરિકોના સૂચનો મેળવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.