Abtak Media Google News

આસો નવરાત્રિ પહેલાં 4 ઓકટોબરે ગુજરાતના ગૌરવવંતા ગાયિકા ગીતાબહેન અને સાથીઓ દ્વારા માઈ ભક્તોને નવલું નજરાણું મળશે

આદ્યશક્તિની આરાધનાનું પર્વ આસો નવરાત્રી હવે તદ્દન આંગણે આવીને ઊભું છે . ભાવિકોએ નોરતાંની તૈયારીઓ આરંભી છે . આસો સુદ એકમ એટલે કે તા . 7 મી ઓક્ટોબરે પહેલું નોરતું છે એ પુર્વે રાજકોટ – સૌરાષ્ટ્રના જાણીતા ગાયિકા ગીતાબહેન ચૌહાણે માતાજીના ભકતો – ભાવિકો માટે એક ઉત્કૃષ્ટ નજરાણું તૈયાર કર્યું છે . સદીઓથી મંદિરોમાં , શક્તિપીઠોમાં માતાજીના સ્થાનકોમાં ગવાતી આરતી જય આદ્યાશક્તિ ગીતાબહેન ચૌહાણના ભાવવાહી અને સૂરિલા કંઠે ગવાશે તા . 4 ઓકટોબરને સોમવારે ગીતાબહેનની યુ ટ્યૂબ ચેનલ ઉ ભ ાજ્ઞિમીભશિંજ્ઞક્ષ પર એ રિલિઝ થશે. અને વિશ્વભરમાં વસતા લોકો આપણી આગવી પરંપરા , શક્તિ ઉપાસનાની આરતી માણી શકશે.

વર્ષોથી આરતી તો ગવાય અને સંભળાય છે પરંતુ જીસી પ્રોડક્શને એને પરંપરા તોડ્યા વગર , સંગીતના મૂળ ઢાળ , રાગ અને ભાવ જાળવીને આધુનિક પરિવેશમાં તૈયાર કરી છે . અમદાવાદ ખાતે વિશિષ્ટ સુવિધાઓ વાળા અઘતન સ્ટુડિયોમાં સતત બે દિવસ સુધી એનું શુટિંગ અને રેકોડીંગ થયું છે .

શંખનો ધ્વનિ , ઘંટનો મંજુલ અવાજ , ઝગમગ દીવડા અને ધૂપસળીની આભા , સુંદર લાઈટીંગ , અસરકારક સાઉન્ડ એ બધાં તો આ આરતીની રજૂઆતના મહત્વના પાસાં છે જ પરંતુ સૌથી વધારે તો કેન્દ્રમાં છે . વર્ષોથી છવાયેલો , કેળવાયેલો ગીતા ચૌહાણનો સૂરિલો કંઠ. પિતા હેમંત ચૌહાણ પાસેથી ગળથૂથીમાં ગાયકી મેળવ્યા પછી પોતાની આગવી સૂઝ , આવડત , મહેનત અને સતત રિયાઝથી જેમણે લોકગીતો , સૂફી ગીતો , સુગમ સંગીત , ભક્તિ સંગીત સહિતના તમામ ગાયન પ્રકારમાં કાબેલિયત પ્રાપ્ત કરી છે એવા ગીતા ચૌહાણનો અવાજ ભારતના મોટાં શહેરો ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં પણ ગૂંજ્યો છે . ભક્તિસંગીત એમનો અંતરથી ગમતો વિભાગ છે .

નવરાત્રીનું અધ્યાત્મિક પર્વ જ્યારે આંગણે આવીને ઊભું છે ત્યારે ગીતાબહેન – જીસી પ્રોડક્શનનું જય આદ્યાશક્તિ યુ ટ્યૂબ પ્રેઝન્ટેશન ગુજરાતના સંગીત ક્ષેત્રે એક નોખી પહેલ સાબિત થશે . જેનું દિગ્દર્શન અખિલ કોટકનું અને સંગીત નિદર્શન ધર્મેશ પંડ્યાનું છે જેનું રેકોર્ડિંગ સ્ટુડિયો એકતારોમાં થયું છે  વિશેષતા એ છે કે લોકસંગીત – સંતવાણીમાં આંતરરાષ્ટ્રીય નામ , અકાદમી એવોર્ડના વિજેતા હેમંત ચૌહાણ પણ આ આરતીના સમૂહગાનમાં છે . તે ઉપરાંત જાણીતા ગાયક – સંગીતકાર અરવિંદ વેગડા , ગાયક પ્રહર વોરા , મનુભાઈ રબારી , ઉર્વશી રાદડિયા , દેવ પગી . શહેનાઝ શેખ , નિરાલી જોશી , ફિલ્મ કલાકાર હર્ષલ માંકડ , પૃથ્વી પરીખ , પરીક સાધુ સહિતના કલાકારોના કંઠ આરતીમાં સંભળાશે.

એક સાથે આટલા બધા જાણીતા ગાયકો – કલાકારો આરતી કરતા હોય એવું પ્રથમવાર બનશે . ગીતાબહેનની સાથે એમના ભાઈ અને જાણીતા ગાયક – સ્વરકાર , નવી પેઢીના સૂરિલા પ્રતિનિધિ મયુર ચૌહાણ પણ જોડાશે . બન્ને ભાઈ બહેનોએ પોતાના પિતાનો વારસો દીપાવ્યો છે . જય આદ્યાશક્તિના યુ ટ્યૂબ લોન્ચ પ્રસંગે ગીતાબહેન ચૌહાણે જણાવ્યું હતું કે મારા  પતિ ચેતન પરમાર અને પુત્રી મહેકનો પણ મને આ કાર્યમાં અને કારકિર્દીમાં  સતત સહયોગ મળતો રહ્યો છે.  નવરાત્રિ પર આરતી પછી આગામી દિવસોમાં ગીતા બહેન અનેક ગીતોનો ગુલદસ્તો લઈને ડિજિટલ માધ્યમ અને મંચ પર આવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.