Abtak Media Google News

 

સંયમી સંસારને જ સમસ્યા માનીને સત્યનો માર્ગ સ્વીકારતા હોય છે: પૂ.ગુરૂદેવ

ગોંડલ સંપ્રદાયના 200 વર્ષ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન કરતા એક સાથે માતા-પુત્ર સહિત 9 મુમુક્ષુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરતા સજાર્યું એક અદ્ભૂત દ્રશ્ય

અબતક, રાજકોટ

દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે નવ નવ આત્માઓને પોતાના શ્રીમુખેથી દીક્ષાના દાન આપી સંસાર સાગરથી ઉગાર્યા ત્યારે સમગ્ર દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓના ભાવોને નિહાળી એક જ નાદ વારંવાર ગુંજ્યો, ધન્ય છે આપના ત્યાગ, ધન્ય છે આપના વૈરાગ્યને.

પરમધામ સાધના સંકુલની પ્રાકૃતિક ભૂમિની ગોદમાં ફરી એકવાર ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર- ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ દીનેશકુમાર ચુનીલાલ મોદી પરિવારના સહયોગે આયોજિત કરવામાં આવેલાં મુમુક્ષ ભવ્યભાઈ દોશી (આકોલા), મુમુક્ષુ  નિશાબેન દોશી (આકોલા), મુમુક્ષુ પ્રિયંકાબેન પારેખ(આકોલા),

Whatsapp Image 2022 02 21 At 10.12.09 Am

મુમુક્ષુ હિતાલીબેન દોશી(કોલકત્તા), મુમુક્ષુ પાયલબેન પનપારિયા(મુંબઈ), મુમુક્ષુ નિધિબેન શાહ(રાજકોટ), મુમુક્ષુ રિયાબેન દડિયા(ઘાટકોપર), મુમુક્ષ જિનલબેન શેઠ(કોલકત્તા), મુમુક્ષુ દેવાંશીબેન ભાયાણી(મુંબઈ)ના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આ અવસરે ‘વી જૈન વન જૈન’ના અંતર્ગત 124થી વધુ શ્રી સંઘો, અમેરિકાની સંસ્થા “જૈના” જોડાયેલાં 70થી વધુ સેન્ટર્સ અને જૈનાના પ્રેસિડેન્ટ હરિશભાઈ શાહ, મહેશભાઇ વાધર આદિ ભાવિકોનો જનસમૂહ, સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત ભારતભરથી પરમધામમાં પધારેલાં 180 થી વધારે શ્રી સંઘો, વિદેશના અમેરિકા, લન્ડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, સુદાન, દુબઈ, સિંગાપોર, અબુધાબી, મલેશિયા આદિ અનેક ક્ષેત્રોનાં ભાવિકો અને સમગ્ર ભારતના મળીને 65 લાખથી વધુ ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને સંયમની ભાવભરી અનુમોદના કરી ધન્યાતિધન્ય બન્યાં હતાં.

અમેરિકાની જૈના સંસ્થાથી જોડાયેલા શરદભાઈ દોશી,  કમલેશભાઇ શાહ, અનિલભાઈ શાહ, કેન્દ્રીય પંચાયતરાજ મંત્રી કપિલભાઈ મલેશ્વર, સાંસદ ગોપાલભાઈ શેટ્ટી વિશેષ ભાવ સાથે આ મહોત્સવમાં ઉપસ્થિત હતાં.વહેલી સવારે સંસારની અંતિમ યાત્રા-મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ થતાં ત્યાગી આત્માઓના જયકાર, લહેરાતાં ધર્મ ધ્વજ, અષ્ટ મંગલના શુભ પ્રતિક અને સેંકડો ભાવિકોથી શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા વાજતે ગાજતે પરમ પટાંગણમાં વિરામ પામતાં જ લાખો હૃદયના ઉછળતાં ભક્તિભાવ સાથે દીક્ષાર્થીઓના ભવ્યાતિભવ્ય સ્વાગત વધામણા કરવામાં આવ્યાં હતાં.આ અવસરે લાભાર્થી પરિવારો દ્વારા દીક્ષાર્થીઓના ચરણપૂજન બાદ અંતરની ખુમારી સાથે સંયમ ભાવોનો રણટંકાર કરતાં, દીક્ષાર્થીઓની ભાવ અભિવ્યક્તિ બાદ લાભાર્થીઓને શ્રીફળ તેમજ ફ્રેમ અર્પણ કરેલ. દીક્ષાર્થીઓના લલાટે વિજય તિલક કરીને જેમ પીંજરનું બંધન ખૂલતાં જ પક્ષી જેમ વિલંબ વિના આકાશે ઉડી જતું

હોય એમ અંતિમવાર માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને, સંસારને અલવિદા કરીને વેશ પરિવર્તન કરવા માટે ઉત્સાહપૂર્વક દોટ મૂકતાં દ્રશ્યો લાખો ભાવિકોના રોમ-રોમને સ્પંદિત કરી ગયાં હતાં. ઉપરાંતમાં, કાળા લાંબા કેશનું પ્રસન્ન વદને મુંડન કરાવતાં દીક્ષાર્થીઓના ત્યાગભીના દ્રશ્યો નિહાળીને લાખો ભાવિકોની આંખ અશ્રુભીની થઈ હતી.અદભૂત દ્રશ્યો રચાયા જ્યારે ગોંડલ સંપ્રદાયનો 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ પુનરાવર્તિત કરતાં માતા મુમુક્ષુ નિશાબેન દોશીએ પુત્રને આજ્ઞા અર્પણ કરી તથા પુત્ર મુમુક્ષુ ભવ્યભાઈ દોશીએ માતાને આજ્ઞા અર્પણ કરતાં સંસારને અંતિમ અલવિદા કરી એકસાથે દોટ મૂકી હતી.લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની પ્રતિક્ષા વચ્ચેનવ મુમુક્ષુ આત્માઓ રંગીન વસ્ત્રો ત્યજીને, મુંડિત મસ્તકે, પ્રભુનો વેશ ધારણ કરીને ગુરુ મુખેથી દીક્ષાના દાન ગ્રહણ કરવા પધારતાં જ સહુના હૃદય અભિવંદિત બની ગયાં હતાં. વેશ પરિવર્તન કરીને પધારેલાં મુમુક્ષુ આત્માઓને દીક્ષા વિધિ કરાવવામાં આવી હતી.

Whatsapp Image 2022 02 21 At 10.12.09 Am 10

દિવસો અને મહિનાઓથી જેની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં એવી ધન્યાતિધન્ય ક્ષણ આવી હતી જ્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે મુમુક્ષુઓના માતા-પિતા, ધર્મ માતાપિતા, ગોંડલ સંપ્રદાયના સમસ્ત સંઘો, બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ તેમજ પરમધામ સાધના સંકુલના સભ્યો તેમજ સ્વયં મુમુક્ષુ આત્માઓની આજ્ઞા સ્વીકૃતિ લઈને નાભિનાદ સાથે, બ્રહ્મસ્વરે દિવ્ય મંત્ર ધ્વનીની ઉદઘોષણા કરવામાં આવી.ત્યારબાદ રાજકોટના હિતેનભાઈ મહેતા અને દુબઈના ભાવિકો દ્વારા દેવોને પણ દુર્લભ એવા દિવ્ય ઉપકરણ – રજોહરણનું પરમ પટાંગણમાં ઉત્કૃષ્ટ ઉલ્લાસ ભાવે આગમન કરાવવામાં આવ્યું. સહુના અંતરની પ્રતિક્ષાનો અંત કરતાં નૂતન દીક્ષિત પૂજ્ય સંત-સતીજીઓને પરમ ગુરુદેવના હસ્તે રજોહરણ અર્પણ થયા બાદ લાભાર્થી પરિવારો દ્વારા નૂતન નામકરણની ઘોષણા થઈ. નૂતન દીક્ષિત સંત-સતીજીઓના નૂતન નામ પૂ.પરમ સોહમમુનિ મહારાજ સાહેબ, પૂ. પરમ વીરાજ્ઞાજી મહાસતીજી, પૂ. પરમ વત્સલજી મહાસતીજી, પૂ. હિતજ્ઞાજી મહાસતીજી, પૂ. પરમ શુભમજી મહાસતીજી, પૂ.પરમ સુનિષ્ઠાજી મહાસતીજી, પૂ.પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય પરમ જિનેશાજી મહાસતીજી તેમજ પૂ.પરમ વિશુદ્ધિજી મહાસતીજી સ્વરૂપે ઘોષિત કરવામાં આવતાં સર્વત્ર નુતન દીક્ષિતોનો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો.

આ અવસરે ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, અમેરિકાની જૈના સંસ્થાના પ્રેસિડેન્ટ હરિશભાઈ શાહ, જૈના સંસ્થાથી જોડાયેલા શરદભાઈ દોશી, પંચાયતરાજ મિનિસ્ટર કપિલ મલેશ્વરજી એ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરી હતી. એસપીએમ પરિવાર સહિત કચ્છના 100થી વધુ ભાવિકો ચાતુર્માસ પધારવાની ઉત્કૃષ્ટ વિનંતિના ભાવો સાથે ઉપસ્થિત હતા ત્યારે સર્વ ભાવિકોની અશ્રુભીની વિનંતિ તેમજ મૂલરાજભાઈ છેડાના ઉત્કૃષ્ટ ભાવ નિહાળી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 6 સંતો અને મહાસતીજી વંદનું આગામી 2022નું ચાતુર્માસ કચ્છ-પુનડીમાં ઉદઘોષિત કરવામાં આવતા સર્વત્ર જયકાર ગુંજી ઉઠ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.