Abtak Media Google News

ગોંડલ શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અવારનવાર ઓક્સિજનનો જથ્થો ખૂટી  રહ્યો હોય તેમજ રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરિયાત પ્રમાણે મળતા ન હોય જેને કારણે  કોરોના દર્દીઓની હાલત કફોડી બની રહી હોય ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આડે હાથ લઈ રાજકોટ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનની ચિમકી આપવામાં આવતા ગાંધીનગર સહિતનું તંત્ર ધણધણી ઊઠયું હતું જિલ્લા કલેકટર દ્વારા તાકિદે પૂર્વ ધારાસભ્ય અને અધિક કલેકટરની મીટીંગ બોલાવી મધ્યસ્થી કરી ગોંડલ શહેર તેમજ જિલ્લામાં ને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનનો જથ્થો અને રેમડેસીવીર ઇન્જેક્શન મળતા રહેશે તેવી ખાતરી આપતા આંદોલન મોકૂફ રહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ જિલ્લા ઓક્સિજન નોડલ ઓફિસર અધિક કલેકટર જે. કે.પટેલ ની બેદરકારીને લઇ ભારે નારાજગી વ્યક્ત કરી રાજકોટ કલેકટર કચેરી સમક્ષ ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.જેને પગલે  રાજકીય ખળભળાટ મચી જતા તેજના ઘેરા પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડ્યા હતા બનાવને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જયરાજસિંહ માંગને લઇ કલેકટર તંત્રને મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કરવા સુચના અપાઇ હતી બાદમાં કલેક્ટરે જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર જે કે પટેલની મીટીંગ બોલાવી સમયસર ઓક્સિજન અને ઇન્જેકશનના જથ્થો મળતો રહેશે તેવી ખાતરી અપાતા જયરાજસિંહ જાડેજાએ આંદોલન મોકૂફ રાખ્યું હતું.

જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ કોરોના બેફામ બન્યો છે ત્યારે તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ દિલદાગડાઈ દાખવાશે તો હું ફરી લોકો માટે લોકો માટે લડત આપીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.