છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને બચાવનાર 43 ગુડ સમરિટનને કુલ રૂ. 2 લાખનું રોકડ ઇનામ-પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
• માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ થનારને રૂ. 5,000 રોકડ પુરસ્કાર આપતી યોજના એટલે “ગુડ સમરિટન પુરસ્કાર યોજના”
• જીવ બચાવનાર ગુડ સમરિટનની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કે પૂછપરછ કરવામાં આવતી નથી
• વર્ષના અંતે શ્રેષ્ઠ 10 ગુડ સમરિટનને રાષ્ટ્રીય સ્તરે રૂ. એક લાખનું રોકડ પુરસ્કાર
માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરવા, તેમનું જીવન બચાવવા તેમજ અન્યને પ્રેરણા આપવા માટે નાગરિકોને સન્માનિત કરતી યોજના એટલે ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના. આ યોજના અંતર્ગત માર્ગ અક્સ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ બનનારને રૂ. 5,000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ જિલ્લાઓમાં ગુડ સમરિટનની ઉમદા કામગીરી કરતા કુલ 43 નાગરિકોને રૂ. 2 લાખના રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારના ચિંતાજનક આંકડા
દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતો થાય છે, જેમાં અનેક લોકો પોતાનું જીવન ગુમાવે છે. છેલ્લા 10 વર્ષમાં અંદાજે ૧૫ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોના ભોગ બન્યા છે. પોલીસ અને હોસ્પિટલ ખાતે પૂછપરછ તેમજ કાનૂની પ્રક્રિયાઓનો ભયના કારણે દેશના અંદાજિત 75 ટકા લોકો રસ્તા પર અકસ્માત પીડિતને મદદ કરવાની હિંમત કરતા નથી. ભારતના કાનૂન આયોગના અહેવાલ મુજબ 40 ટકા મૃ*ત્યુ માત્ર સમયસર સારવાર ન મળવાના કારણે થયા છે. જો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સમયસર હોસ્પિટલ લઈ જવાય, તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે.
ગોલ્ડન અવર એટલે શું
માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા–કેર સેન્ટરમાં પહોંચાડનાર વ્યક્તિને ‘ગુડ સમરિટન’ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ગોલ્ડન અવર એટલે કે માર્ગ અકસ્માત પછીનો પહેલો એક કલાક કે જેમાં તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવે તો ઘાયલ વ્યક્તિનું મૃ*ત્યુ મહદઅંશે ટાળી શકાય છે.
માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર દરમિયાન મોટી સર્જરી કરવી પડે, મગજની ઈજાઓ હોય, ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, કરોડરજ્જુમાં ગંભીર ઈજા કે સલામત સારવાર દરમિયાન મૃ*ત્યુ જેવી કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તેને ફેટલ અકસ્માત કહેવામાં આવે છે. જે માટે હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ-MoRTH વિભાગ દ્વારા ગુડ સમરિટનને ઇનામ આપવાની યોજના વર્ષ 2021 થી અમલમાં મૂકવામાં આવી છે.
‘ગુડ સમરિટન પુરસ્કાર’
આ યોજના અંતર્ગત જયારે એક કરતાં વધુ ગુડ સમરિટન કોઈ એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચાવે તો રૂ. 5,000 ની રકમ સમાન રીતે તેઓની વચ્ચે વહેંચવામાં આવે છે. જયારે એક કરતા વધારે ગુડ સમરિટન માર્ગ અકસ્માતમાં એક કરતા વધારે લોકોના જીવ બચાવે તો એક વ્યક્તિના જીવ બચાવવા માટે રૂ. 5000 રોકડ ઇનામ આપવામાં આવે છે, પરંતુ તે માર્ગ અ*કસ્માતમાં એક ગુડ સમરિટનને વધુમાં વધુ રૂ. 5000 રોકડ ઇનામ આપવામાં આવે છે. એક ગુડ સમરિટનને એક વર્ષમાં મહત્તમ પાંચ વખત આ યોજનાનો લાભ મળી શકે છે. વર્ષના અંતે શ્રેષ્ઠ 10 ગુડ સમરિટનને રાષ્ટ્રીય સ્તરે રૂ. એક લાખનું પુરસ્કાર આપવામાં આવે છે. વધુમાં દરેક ગુડ સમરિટનને જિલ્લા સ્તરે કલેકટરના હસ્તે ‘ગુડ સમરિટન’ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
“મોટર વાહન અધિનિયમ-2019 મુજબ ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ કાયદા હેઠળ, ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી તેમજ પોલીસ અધિકારી અથવા હોસ્પિટલ દ્વારા કોઈપણ જાતની પૂછપરછ માટે રોકી શકાતા નથી. ગુડ સમરિટન દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ માત્ર આ યોજના હેઠળની એવોર્ડ માટેની પ્રક્રિયા માટે જ કરવામાં આવે છે.
ગુડ સમરિટનના પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા
ગુડ સમરિટન જયારે માર્ગ અકસ્માતમાં પીડિતોને મદદ કરે તો તેની જાણ પોલીસ અથવા ડોક્ટરને કરવાની રહે છે. ડોક્ટર પાસેથી વિગતોની ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, મોબાઈલ નંબર, સરનામું, અકસ્માતનું સ્થળ, તારીખ, ઘટનાનો સમય અને કેવી રીતે ગોલ્ડન અવરમાં ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની માનવજીવન બચાવ્યું તેના સંપૂર્ણ વર્ણનનો ઉલ્લેખ કરીને જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને નિયત કરેલા નમૂનામાં મોકલી આપે છે. જિલ્લા સ્તરે કલેકટરના અધ્યક્ષ સ્થાને મૂલ્યાંકન સમિતિ માસિક ધોરણે ગુડ સમરિટન દરખાસ્તોની સમીક્ષા કરીને અકસ્માતના ગોલ્ડન અવરમાં મદદકર્તાઓની યાદી બનાવે છે. આ ગુડ સમરિટનને રૂ. 5,000 રોકડ ઇનામ તથા સન્માનપત્ર આપી અભિવાદનની કામગીરી કરવામાં આવે છે.
આપણી આસપાસ બનેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તુરંત મદદ કરી આપણો માનવધર્મ નિભાવવા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા સૌ નાગરિકોને આહ્વાન કરાયું છે.