Abtak Media Google News

ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્રની કવાયત

કોરોનાને લઈને મુખ્યમંત્રીની કલેક્ટરો અને મ્યુ.કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ, તમામ જિલ્લાઓની સ્થિતિની માહિતી મેળવાઈ

રોગ પ્રતિકારક શકિત વધારવા સોમવારથી મહાનગરો અને જિલ્લાઓને આયુષ દ્વારા દરરોજ ૨ હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડાશે

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેવા દર્દીનું સતત મોનીટરીંગ કરવાના આદેશ

અબતક, રાજકોટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા  કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ  સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે. કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી  સોમવાર ૧૦ જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ ૨ હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશન માં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે.મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંજક કુમાર, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, વરીષ્ઠ સચિવો આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.