Abtak Media Google News

સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી રદ્દ કરી

ગુજરાતના કોમી રમખાણોમાં સીટ દ્વારા તત્કાલિન સીએમ રહેલાં નરેન્દ્ર મોદી અને ન્યને ક્લીન ચિટ મળતા ઝાકિયા જાફરીએ અરજી કરી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી રદ્દ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી. આ પહેલાં સિટે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે 2002માં તેઓએ રમખાણની તપાસ કરી હતી અને એના પર કોઈએ સવાલ ન કર્યા, માત્ર ઝાકિયા જાફરીએ અરજી દાખલ કરીને વ્યાપસ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે.ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરીનું કોમી રમખાણમાં મોત થયું હતું. ઝાકિયા જાફરીએ સીટ દ્વારા ક્લીન ચિટ આપતા આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એએમ ખાનવિલકરની આગેવાનીવાળી બેંચે આ મામલે સુનાવણી બાદ 9 ડિસેમ્બરને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પાંચ ઓક્ટોબર 2017ના રોજ ઝાકિયા જાફરીની અરજી રદ્દ કરી હતી. ઝાકિયા જાફરીએ સીટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટમાં અરજી રદ્દ થયા બાદ તેઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સીટની વિરુદ્ધ ઝાકિયા જાફરીની દલીલ

ઝાકિયા જાફરી તરફથી કપિલ સિબ્બલે આ મામલે વ્યાપક ષડયંત્રનો આરોપ લગાવ્યો. કપિલ સિબ્બલે દલીલ કરી કે સીટની તપાસના હેડ અધિકારી આર કે રાઘવનને બાદમાં હાઈ કમિશ્નર બનાવવામાં આવ્યા. તેઓએ દલીલ દરમિયાન આરોપ લગાવ્યો કે, જેમણે પણ સહયોગ આપ્યો તેઓને બાદમાં ઉચ્ચ પદ આપવામાં આવ્યા. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે દલીલી કરી હતી કે આર કે રાઘવાન સીબીઆઈ ડિરેક્ટર રહી ચૂક્યા છે, તેઓ સીટના હેડ હતા. બાદમાં ઓગસ્ટ 2017માં સાઈપ્રસના હાઈ કમિશ્નર બનાવ્યા. આ જ રીતે અમદાવાદના પોલીસ કમિશ્નર પી.સી. પાંડેયનો બાદમાં ગુજરાતના ડીજીપી બનાવવામાં આવ્યા. આ મામલે તપાસ દરમિયાન સીટએ ઘણી જ ખામીઓ કરી છે અને ખાસ સાક્ષીઓને નજરઅંદાજ કરવામાં આવ્યા તથા યોગ્ય રીતે તપાસ ન કરી. ખરેખરમાં સીટ માત્ર બેસી રહી હતી. સીટ નું જે નિષ્કર્ષ છે તે મુખ્ય તથ્યો પરથી અલગ છે. સિબ્બલે દલીલ કરતા કહ્યું કે, સાંપ્રદાયિક હિંસા જ્વાળામુખીના લાવાની જેમ છે, જે ધરતી પર ખરાબ અસર છોડે છે. મારી ચિંતા ભવિષ્ય માટે છે. સિબ્બલ દલીલ દરમિયાન ભાવુક પણ થયા અને કહ્યું કે, ભાગલા દરમિયાન તેઓએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. હું ખુદ પીડિત છઉં. સિબ્બલે કહ્યું કે, તેઓ કોઈને કે બીજાને દોષિત નથી ઠેરવતા, પરંતુ વિશ્વ ભરને એક સંદેશ મળવો જોઈએ કે અમે આને સાંખી લઈશું નહીં.

સીટની દલીલ

સીટએ કહ્યું કે, આ મામલે ઊંડી તપાસ થઈ અને કોઈને પણ બચાવવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટમાં સીટ તરફથી મુકુલ રોહતગી રજૂ થયા અને તેઓએ દલીલ કરી હતી કે, કોઈને પણ બચાવવામા આવ્યા નથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. રમખાણ દરમિયાન માર્યા ગયેલા અહેસાન જાફરીની પત્નીનો આરોપ છે કે તે આ મામલે વ્યાપક ષડયંત્ર કરવામાં આવ્યું હતું. સીટ તરફથી મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન 275 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એક પણ એવો સાક્ષી ન મળ્યો કે જેનાથી સાબિત થયા કે વ્યાપક ષડયંત્ર થયું હોય, જેવો ઝાકિયા જાફરીનો આરોપ છે. મુકુલ રોહતગીએ દલીલ કરતા કહ્યું કે, સીટએ પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ નથી એ વાત યોગ્ય નથી. રાજ્ય ઓથોરિટીએ સયમયર પગલું લીધુ નહીં, આના પર રોહતગીએ જવાબ આપ્યો કે, હિંસા 28 ફેબ્રુઆરીએ શરુ થઈ હતી. એ દરમિયાન તત્કાલિન સીએમે મીટિંગ બોલાવી અને નિર્ણય લીધો કે આર્મીને બોલાવવામાં આવે. સીટએ કોઈને સંરક્ષણ આપ્યું નથી. સીટએ કહ્યું હતું કે, ગુજરાત કોમી રમખાણોમાં વ્યાપક ષડયંત્રના કોઈ પુરાવા નથી. સીટએ દલીલ કરી કે, રમખાણોને રાજ્ય દ્વારા પ્રાયોજિત કરવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે તે દુર્ભાવનાથી પ્રેરિત છે. સીટએ કહ્યું કે, રાજ્ય પ્રાયોજિત હોવાની વાત કરવા પાછળનો હેતુ આ મામલાને હંમેશા ગરમ રાખવાનો છે.

ગુજરાત સરકારની દલીલ

ગુજરાત સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ઝાકિયા જાફરીના નામે સોશિયલ એક્ટિવિસ્ટ તિસ્તા સીતલવાડ ગુજરાતના રમખાણોના મુદ્દાને ગરમ રાખવા માગે છે. ગુજરાત સરકારે કહ્યું હતું કે, આ પ્રયાસ ન્યાયની મજાક હશે. ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ મામલે ઝાકિયા જાફરી સિવાય અન્ય અરજીકર્તા સીતલવાડ છે

અને તેમાં ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ મામલે સુનાવણી થઈ ચૂકી છે અને મેરિટના આધાર પર આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા કે પછી તેઓ નિર્દોષ સાબિત થયા હતા. હવે ઝાકિયા જાફરીના નામે તીસ્તા આ મામલાને ગરમ રાખવા માગે છે અને હવે તપાસ માટે આદેશ આપવામાં આવે એવી અપીલ કરવામાં આવી રહી છે. મારા હિસાબે આ બધુ ન્યાયની માત્ર મજાક છે. આવા પ્રકારની અરજીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.