Abtak Media Google News

તરઘડી ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરીને 76મા ‘સ્વાતંત્ર્ય દિન’ની શાનદાર ઉજવણી: રાજકોટ જિલ્લાનાં વિકાસ કામો માટે મંત્રી વાઘાણી દ્વારા કલેકટરને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ: દેશભક્તિના રંગમાં રંગાયેલા વિદ્યાર્થીઓએ ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમોમાં ચાલુ વરસાદમાં પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા

Img 20220816 Wa0020

આઝાદીના 76માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાધાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના “સ્વતંત્રતા પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી વાઘાણી દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નાગરિકો પાસે જઈને સ્વતંત્રતા પર્વનું અભિવાદન ઝીલ્યું હતું.સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવતાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નામી-અનામી લોકોના બલિદાનના કારણે આપણને આ મહામૂલી આઝાદી મળી છે.

વીર સપૂતોના બલિદાનમાંથી પ્રેરણા લઈને નવભારતના સંકલ્પને સાકાર કરવાનું આપણું કર્તવ્ય બને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ફરી એકવાર સમગ્ર દેશમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો છે. હર ઘર તિરંગા અભિયાને નાગરિકોના હદયમાં છુપાયેલી દેશદાઝની ભાવનાને ઢંઢોળીને બહાર લાવી છે. કરોડો લોકોએ આ અભિયાનમાં જોડાઈને તેને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. રાજ્ય સરકારે પ્રજા પર શાસન કરીને નહિ પરંતુ પ્રજાની સેવક બનીને ગુજરાતના ખૂણે ખૂણે સર્વાગી વિકાસ પહોંચાડયો છે.

Img 20220816 Wa0013Img 20220816 Wa0016

સર્વસમાવેશી વિકાસ સાધીને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. ખેતી અને ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. સેવાયજ્ઞને આત્મસાત કરીને ગામડાઓની કાયાપલટ કરી છે. આજે ગામડાઓમાં હર ઘર નલ અને જલ પહોંચ્યું છે. રાજ્ય સરકાર પારદર્શીતાને અભિન્ન અંગ બનાવીને વિકાસની રાજનીતિ કરી રહી છે. આજે કમિશનનું દુષણ દૂર થયું છે અને સબસીડીના નાણા લોકોના ખાતામાં જમા થઈ રહ્યા છે.  રાષ્ટ્રીય શિક્ષણનીતિની પ્રશંસા હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી છે. આજનો યુવા આવતીકાલનું ભારત છે, જેના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર કટિબદ્ધતા સાથે કામ કરી રહી છે તેમ મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું.

Img 20220816 Wa0033

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટવાસીઓને શુભેચ્છા આપતા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના કેન્દ્રબિંદુ સમા રાજકોટે “હર ઘર તિરંગા” અભિયાનને ઉમળકાભેર ઉજવીને અનેરો ઉત્સાહ બતાવ્યો છે. રાજકોટની મહેનતુ પ્રજા વિવિધ ક્ષેત્રે વિકાસ સાધીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની છે. આજે રાજકોટે એઇમ્સ, આધુનિક આરોગ્ય સુવિધાઓ, ઔદ્યોગિક ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.સૌના સાથ, સૌના સહકાર અને સૌના પ્રયાસ સાથે સૌના વિકાસની યાત્રાને આગળ ધપાવીને ભારતને વિશ્વગુરુ બનાવીએ.

Img 20220816 Wa0022

આ અડીખમ સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે તેના પડખે રહીને હંમેશા અગ્રેસર રહેશે. આજે આઝાદીના અમૃતકાળની ઉજવણી કરીને વીર સપૂતોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે તેમ કહીને શિક્ષણ મંત્રીશ્રીએ દરેક નાગરિકને વિકાસની બુલંદીઓમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

વધુમાં મંત્રી વાઘાણીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલનાં ધર્મપત્ની શ્રીમતિ જશુમતીબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લાના અવિરત વિકાસ કામો માટે કલેકટર અરુણ મહેશ બાબુને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ કામગીરી કરનારા 35 નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રી જીતુભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ અભિયાન,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળની બહેનો દ્વારા આજીવિકા મિશન, આરોગ્ય વિભાગ દ્વારા પી.એમ.જે.વાય, લીડ બેંક દ્વારા 24 કલાક અઝખ – મોબાઈલ અઝખ સુવિધા, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માનધન પેન્શન યોજના અને ઈ-શ્રમ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષાને અનુલક્ષીને ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Img 20220816 Wa0024

ઉપરાંત, ન્યૂ એરા અંગ્રેજી માધ્યમ સ્કૂલ, સેન્ટ ગાર્ગી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ક્રિસ્ટલ સ્કૂલ, ઉકરડા પ્રાથમિક શાળા અને કોસ્મિક વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જવાહર નવોદય વિદ્યાલયના આશરે 236 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 200 ફૂટ લાંબા અને 6 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે કૂચ કરવામાં આવી હતી.

Img 20220816 Wa0030

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રેન્જ આઈ.જી. સંદીપ સિંઘ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી, ભાજપ અગ્રણી, સ્વતંત્ર સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.