Abtak Media Google News

દેશભરમાં ઘમાસાણ મચાવેલ કોરોના વાયરસની બીજી લહેરની ગતિ શાંત પડતા કેસમાં સતત ઘટાડો થતા મૃત્યુદર પણ ઘટ્યો છે તો આ સાથે રિકવરી રેટ પણ ઝડપભેર વધી રહ્યો છે. ગત બે-ત્રણ અઠવાડિયામાં કોરોનાને મ્હાત આપી દર્દીઓનો સાજા થવાનો દર 55 ટકા જેટલો હતો જે હાલ વધીને 79 ટકાએ પહોંચી ગયો છે અને હજુ આગામી ટૂંકાગાળામાં 85 ટકાએ પહોંચી જશે. બીજી લહેરના કોરોના વાયરસના મયૂટન્ટનો લોકોમાં એવો ડર પેસ્યો કે લોકો સફાળા જાગૃત થયા અને મહામારી સામે ઘેર બેઠાં જ મજબૂતાઈભેર લડાઈ આપતા થયા. આ પરિણામે જ રિકવરી રેટ વધ્યો છે તો સાથે સરકાર, સ્થાનિક તંત્ર અને સેવાભાવી લોકોના અથાગ પ્રયતનના કારણે કોરોનાનો ગ્રાફ ઘટ્યો છે.

“ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ” અભિયાન સાર્થક થઈ રહ્યું છે.  આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ગત ફેબ્રુઆરી માસની મધ્યમાં કોરોના સામે રિકવરી રેટ 85 ટકા હતો જે છેલ્લા દોઢેક માસના સમયથી ઘટી ગયો હતો. પરંતુ હવે આવનારા થોડા જ દિવસોમાં આ રિકવરી રેટ ફરી પાછો વધી જશે. હાલ ચારેક દિવસથી નવા કેસ કરતા પણ સાજા થવાનો દર વધી ગયો છે જે બીજી લહેરમાંથી મુક્તિના અણસાર છે. છેલ્લા 24 કલાકમાં 11,592 નવા કેસ નોંધાયા છે તો સામે રિકવરી રેટ તેના કરતાં વધુ નોંધાઈ 14,931 દર્દીઓ સાજા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.