Abtak Media Google News

પોલીસ વિશિષ્ટ સેવા પદક પ્રંશનીય સેવા પોલીસ પદક સન્માન ૧૬૮ પોલીસ કર્મીઓ અધિકારીઓને એનાયત કરવાનો ગૌરવશાળી સમારોહ યોજાયો

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે.

ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંન્દ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, પોલીસ મહાનિદેશક  શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ મતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના ૧૮ પોલીસ ચન્દ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના ૧પ૦ પોલીસ પદક એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શક્યા છીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરોમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં થનારા શક્ય ગુનાઓને નિવારવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ ટેકનોસેવી છે. અદ્યતન ઉપકરણોના ઉપયોગથી હવે, ગૂના આચરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરનારા તત્વોને પણ શોધી કાઢવાનો પડકાર ઝિલવા સક્ષમ છે.

તેમણે કહ્યું કે, માથાભારે તત્વોને કારણે ઘણીવાર સમાજમાં ભયનો માહોલ પ્રસરે છે, આવા સમયે લોકોને સુરક્ષા પૂરી પાડવી તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું પોલીસની ફરજ બનતી હોય છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત પોલીસની કડપ અને છાપ જ એવા છે કે સામાન્ય માનવીને પણ સુરક્ષિતતાનો અહેસાસ સતત થતો રહે છે.

પોલીસ પ્રજાના મિત્ર તરીકે પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદિતા રચાઇ છે.  ગુજરાત પોલીસે પ્રોપીપલ પોલીસીંગનો જે અભિગમ અપનાવ્યો છે તે પ્રજા-પોલીસને વધુ નજીક લાવે છે એમ પણ તેમણે પોલીસ દળની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોમી તનાવ હવે રાજ્યમાં ભૂતકાળ બની ગયો છે. નાગરીકોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવામાં ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સફળ નીવડી છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે જે પોલીસ જવાનોને ચંદ્રક એનાયત થયા છે તેઓનો જુસ્સો વધશે જ પરંતુ પોલીસ વિભાગના અન્ય કર્મી-અધિકારીઓ માટે પણ તેઓ પ્રેરણારૂપ બની રહેશે અને વિભાગને નવું નૈતિક બળ આપશે.

તેમણે ગુજરાતને વિકાસના વધુ નવા સિમાચિન્હો પાર કરાવવામાં પોલીસદળની હજુ પણ વધુ ઉત્કૃષ્ટતા-સજ્જતા માટે પણ આહવાન કર્યુ હતું.

ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમજ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક આજે અર્પણ થયા હતા.  આ પ્રસંગે મેડલ પ્રાપ્ત પોલીસ કર્મીઓના પરિવારજનો તથા અમદાવાદ ના મેયર બીજલ પટેલ ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શહેર પોલીસ કમિશનર અગ્રવાલને મુખ્ય મંત્રી રૂપાણીના હસ્તે પોલીસ સેવા મેડલ અપાયો

Img 20191128 Wa0019

રાજયમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં વિશિષ્ટ ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા મનોજ અગ્રવાલને ૨૦૦૬માં વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૧૬માં પ્રસંશનીય સેવા પોલીસ મેડલ માટે પસંદગી પામ્યા બાદ તેમને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રશંસનીય સેવા પોલીસ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

૧૯૯૧ની બેન્ચના આઇપીએસ મનોજ અગ્રવાલે વડોદરા ગ્રામ્ય, પંચમહાલ, ખેડા, અમદાવાદ ગ્રામ્ય, નાયબ મહાનિરીક્ષક, એસીબીમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે, કચ્છમાં બોર્ડર રેન્જ આઇજી, અમદાવાદ સેકટર-૧માં ટ્રાફિક, ગાંધીનગર મહાનિરીક્ષક કાયદો અને વ્યવસ્થા અને રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર તરીકે પ્રસંશનીય ફરજ બજાવી છે. મનોજ અગ્રવાલે ‘રાજકોટ સુરક્ષા કવચ’  એપ્લીકેશન તૈયાર કરાવી પોલીસની કામગીરીનું નિરિક્ષણ કરી શકાય અને ગુનેગારોની માહિતી મેળવી શકયા તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સુંદર સ્થિતીનું નિર્માણ કર્યુ છે. તેઓને ૨૦૦૬માં વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૧૬માં પ્રસંશ સેવા મેડલ માટે નોમીનેટ થયા બાદ આજે મુખ્યમંત્રીના હસ્તે પ્રસંશનીય સેવા મેડલ એનાયત કરવામાં આવતા પોલીસબેડામાં હર્ષની લાગણી સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.