Abtak Media Google News

વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૨,૨૭,૪૮૭ લોકોએ રૂ ૪૯૦૨૨ કરોડનો આવકવેરો ભર્યો

સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં સીધા કરવેરા પેટેની આવક રૂ ૧૧,૩૭,૬૮૫.૪૧ કરોડ હતી, જેમાંથી ગુજરાતમાંથી રૂ ૪૯,૦૨૧.૬૯ કરોડની આવક થઈ હતી. સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત કરતાં આગળનું સ્થાન ધરાવતાં રાજ્યોમાં મહારાષ્ટ્ર (રૂ ૪,૨૫,૩૯૦.૮૪ કરોડ), દિલ્હી (રૂ ૧,૬૬,૪૦૫.૪૨ કરોડ), કર્ણાટક (રૂ ૧,૧૯,૭૯૬.૫૧ કરોડ) અને તામિલનાડુ (રૂ ૭૪,૨૩૮.૯૪ કરોડ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી જુલાઈ ૯, ૨૦૧૯ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી.

કુલ ૪૬,૧૦,૨૦,૫૮૭ પેન ધારકો છે, જેમાંથી ૬,૩૧,૮૪,૪૦૩ પેન ધારકોએ આકરણી વર્ષ ૨૦૧૮-૧૯માં આવકવેરા રીટર્ન ભર્યું હતું. ગુજરાતમાં કુલ ૨,૫૫,૭૦,૭૧૫ પેન ધારકો છે, જેમાંથી ૬૨,૨૭,૪૮૭ પેન ધારકોએ આકરણી વર્ષ ૨૦૧૮-૧૯માં આવરવેરા રીટર્ન ભર્યું હતું.

મંત્રીએ આપેલા જવાબ અનુસાર, સરકારે આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે અનેક પગલાંઓ લીધા છે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા નોન-ફાઇલર મોનિટરીંગ સિસ્ટમ (એન.એમ.એસ.)નો અમલ કરવામાં આવ્યો છે, જે આંતરિક માહિતી અને ત્રાહિત પક્ષો પાસેથી મેળવવામાં વ્યવહારોની માહિતીનું પૃથક્કરણ કરે છે અને એવી વ્યક્તિઓ/પેઢીઓને ઓળખી કાઢે છે જેમણે ઊંચા મૂલ્યના નાણાંકીય વ્યવહારો કર્યા છે પરંતુ આવકવેરા રીટર્ન ભર્યું નથી.

નથવાણી દેશમાં આકરણી વર્ષ ૨૦૧૮-૧૯માં મેળવવામાં આવેલી આવકવેરાની રકમ, દેશમાં નોંધાયેલા પેન ધારકોની સંખ્યા અને સરકાર દ્વારા આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે જાણવા માંગતા હતા.

નાણાંકીય વિગતોના એકત્રીકરણ અને ચકાસણીની વ્યવસ્થાને વિસ્તૃત બનાવીને સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્સેક્શન (એસ.ટી.એફ.)ના રૂપમાં બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોમાંથી ઊંચા મૂલ્યના ખર્ચાઓની માહિતી મેળવવની પ્રક્રિયાને આવરી લેવામાં આવે છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટી.ડી.એસ. અને ટી.સી.એસ.નો વ્યાપ વધારીને વધારે કરપાત્ર વ્યવહારોને તેમની મર્યાદામાં લાવવામાં આવ્યા છે અને મિલકતો, શેર, બોન્ડ, વિમો, વિદેશ યાત્રા અને ડિમેટ એકાઉન્ટ વગેરે જેવા નિશ્ચિત વ્યવહારો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) જણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કર વહિવટમાં કર પાલન અને માહિતીના અસરકારક ઉપયોગ માટે દરમ્યાનગીરી વિનાની માહિતી સાથેના અભિગમને મજબૂત બનાવા આવકવેરા વિભાગે પ્રોજેક્ટ ઇનસાઇટનો પ્રારંભ કર્યો છે. આ સંકલિત પ્લેટફોર્મ કર-બેઝને વિસ્તૃત બનાવવામાં અને કરચોરોને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.