Abtak Media Google News

 

અબતક, ઋષિ મહેતા, મોરબી

હળવદ તાલુકાના રણમલપુર ગામના પી એચ સી સેન્ટરમાં બાળકોને કોરોના રસી મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.કામગીરી દરમિયાન બે બાળકો વાલી સાથે વેક્સિન લેવા આવ્યા હતા પરંતુ રસીનો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી કર્મચારી દ્વારા ના પાડવામાં આવી હતી.

જેથી બાળકોના પિતા અને્ કાકા ભરતભાઈ રણછોડભાઈ પારેજીયા અને વિપુલ રણછોડભાઈ પારેજીયાએ રસી ઉપલબ્ધ ન હોવાથી ઉશ્કેરાઈ જઈને રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને માર મારી સ્વેટર ફાડી નાખતા આરોગ્ય કર્મી દ્વારા ફરજમાં રુકાવટ મામલે હળવદ પોલીસમાં અરજી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મૂળ ગાંધીનગરના રહેવાસી અને હાલ ધાંગધ્રા રહેતા શૈલેષભાઈ પ્રફુલભાઈ ઝાલા નામના ફાર્માસિસ્ટ પાસે આજ ગામના બે બાળકો રસી મુકાવવા માટે આવ્યા હતા ત્યારે કોરોનાની વેકસીન હાજર ન હોવાથી ના પાડતા આજ ગામના બે શખ્સો ભરતભાઈ પારેજીયા અને વિપુલભાઈ પારેજીયાએ ફાર્માસિસ્ટ શૈલેશભાઈ ઝાલાને્ માર મારી સ્વેટર ફાડી નાખતા તેમના વિરુદ્ધ ફરજમાં રુકાવટની હળવદ પોલીસમાં અરજી આરોગ્ય કર્મી શૈલેશભાઈ દ્વારા કરવામાં આવી છે. આ બનાવથી મોરબી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.