- કેદારનાથ ધામમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું
- AIIMSના ડોક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા : તમામ સુરક્ષિત
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન માટે આવે છે. આ સમય દરમિયાન, બહોળી સંખ્યામાં લોકો હેલિકોપ્ટર સેવાઓનો પણ ઉપયોગ કરે છે. ત્યારે ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ અ*કસ્મા*ત ત્યારે થયો જ્યારે હેલિકોપ્ટર બે ડોક્ટરો સાથે કેદારનાથ હેલિપેડ પર ઉતરી રહ્યું હતું. તેમજ લેન્ડિંગ દરમિયાન, હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો, જેના કારણે થોડીવાર માટે અરાજકતા સર્જાઈ ગઈ. સદનસીબે, પાઇલોટે સમજદારી બતાવી અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું, જેના કારણે બંને ડોકટરોનો સુરક્ષિત બચાવ થયો.
મળતી માહિતી મુજબ, દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા કેદારનાથ ધામથી ઋષિકેશ એઈમ્સ લઈ જવામાં આવી રહ્યો હતો. તેમજ હેલિકોપ્ટરમાં પાઇલટ, દર્દી અને AIIMSના ડૉક્ટર હાજર હતા. પરંતુ, થોડા સમય પછી, હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે હેલી એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સમગ્ર ઘટના બાદ, હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં તેના પાછળના ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
લેન્ડિંગ દરમિયાન પાછળનો ભાગ તૂટી ગયો
હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ થયું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડથી માત્ર 20 મીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી જોકે, રાહતની વાત છે કે હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે.