- આવતી કાલથી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલમેટ ડ્રાઈવ
- દરરોજ મોનીટરીંગ કરવા પોલીસ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના
- હેલમેટ ન પહેરનારા સરકારી કર્મચારીઓને આવતીકાલથી થશે કડક અમલ
અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે. સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓનું હવે આવી બનશે. કારણ કે આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. હેલ્મેટ નિયમનનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી કર્મીઓને હેલ્મેટના નિયમનનું પાલન કરાવવા એક્શન પ્લાન ઘડાયો છે.
સરકારી કર્મચારી દંડાશે
આવતીકાલથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. તેમજ DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે.
સરકારે જાહેર કર્યો હતો પરિપત્ર
ગત વર્ષે સરકારે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.