Abtak Media Google News

ક્રિકેટ છોડીને પિતાની જેમ ઓટોરીક્ષા ચલાવવાનું કહી સીરાજને કરાયો હતો ટ્રોલ

મહેન્દ્રસિંહ ધોનીની સલાહ કામ લાગી ગઈ: જોરદાર કમબેક કર્યું

અબતક, નવી દિલ્લી

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજએ કહ્યું કે 2019ની આઈપીએલમાં ખરાબ પ્રદર્શનને પગલે લોકોએ તેને ક્રિકેટ છોડીને પિતા સાથે રિક્ષા ચલાવવાનું કહી ટ્રોલ કર્યો હતો પણ ટીમ ઈન્ડિયાના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની સલાહથી કારકિર્દીમાં બ્રેક લગાવવાથી બચાવી લીધો. સિરાજે તે સમયે 9 મેચમાં 10ની ઈકોનોમીમાં માત્ર 7 વિકેટ ઝડપી હતી. તેના ખરાબ પ્રદર્શનને પગલે બેંગલોરની ટીમને પણ નુકસાન ભોગવવું પડ્યું હતું. તે આઈપીએલ 2019માં બેંગલોરની ટીમ શરૂઆતની છ મેચમાં એક પણ જીત મેળવી શકી ન હતી.

ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે ચાલી રહી હતી.તે સમયે કોલકાતા ટીમ સામેની મેચમાં સિરાજે 2.2 ઓવરમાં 5 છગ્ગાની મદદથી 36 રન આપ્યા હતા. સિરાજે આરસીબીના પોડકાસ્ટમાં કહ્યું, જ્યારે મેં કોલકાતા સામે બે બીમર બોલર ફેંક્યા તો લોકોએ કહ્યું કે ક્રિકેટ છોડી દે અને ઘરે જઈને પોતાના પિતા સાથે રિક્ષા ચલાવો. આવી ઘણી બધી પ્રતિક્રિયા આવી હતી. લોકો આ પાછળના સંઘર્ષને નથી જોતા. પણ મને યાદ છે કે જ્યારે હું પહેલીવાર ટીમ ઈન્ડિયામાં પસંદગી પામ્યો ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ મને કહ્યું કે લોકો તેના વિશે જે પણ કંઈ બોલે છે તેને નજરઅંદાજ કરો અને પોતાના કામમાં ધ્યાન આપો.

તેણે વધુમાં કહ્યું ધોનીએ મને સમજાવ્યું કે તમે આજે સારૂ પ્રદર્શન કરો છો તો લોકો તમારા વખાણ કરશે અને જ્યારે તમે સારૂ પ્રદર્શન નથી કરતા તો લોકો તમને ખરાબ શબ્દો કહે છે. એટલા માટે આવી કોઈ પણ પ્રતિક્રિયાઓને ગંભીરતાથી લેવી ન જોઈએ અને હા જો લોકોએ મને અનેકવાર ટ્રોલ કર્યો હતો તે બાદમાં કહી રહ્યા હતા કે તું ઘણો સારો બોલર છો તો હવે મને કોઈની પ્રતિક્રિયાથી વધુ ફર્ક નથી પડતો. હું આજે પણ એજ સિરાજ છું જે તે સમયે હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.