Abtak Media Google News
અબતક, સબનમ ચૌહાણ સુરેન્દ્રનગર

વઢવાણ ધારાસભ્યના કાર્યાલયની ઓફિસવાળા રહેણાંક વિસ્તારની આજુબાજુ ગટરના ગંદા પાણી બાબતનો અહેવાલ પ્રસિધ્ધ થતા અમદાવાદ જિલ્લાના વિરમગામના સામાજીક કાર્યકર કિરીટ રાઠોડે ગાંધીનગર ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યની ઓફિસવાળા રહેણાંક વિસ્તારની આજુબાજુ ગટરનું દૂષિત પાણી ફેલાયેલું છે. નાગરિકોને અવરજવરમાં ખૂબ હાડમારી પડી રહી છે.

ગંદકીને લઇને નાગરિકોના આરોગ્યનું જોખમ ઉભું થયું છે. આ બાબતે ગુજરાત માનવ અધિકાર આયોગ નાગરિકોના આરોગ્ય અને જીવન જીવવાના અધિકારના રક્ષણ માટે સુઓમોટો એક્સ એક્શન લઇને સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ પાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા જરૂરી આદેશ કરવાની માગ કરી હતી.

પરિણામે આ પિટિશન મામલે પાલિકાના ચીફ ઓફિસરને નોટિસ ફટકારતા ચકચાર ફેલાઇ હતી અને જણાવાયું હતું કે આ બાબતનો યોગ્ય અહેવાલ 20 દિવસમાં આયોગને મોકલવો. આ અંગે ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયાએ જણાવ્યું કે ગઇકાલે ઓફિસમાં હતો ત્યાં સુધી મને આ બાબતની નોટિસ મળી નથી. તેમ છતાં આજે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.