Abtak Media Google News

માનવી સંકુચિત વિચાર ધારા છોડી, ઉદાન ચિંતન  આચરણને સ્વીકારી પોતાની શકિતઓને સમાજ, રાષ્ટ્ર , કલ્યાણ અર્થે સમર્પિત કરવા તૈયાર થાય તો ધર્મનો સ્વયં અર્થ સિદ્ધ થઈ જાય.

મહર્ષિ જાબાલિએ માનસરોવરમાં બ્રહમકમળને ખીલેલું જોયું , એની અનેરી શોભા સોરભથી મુગ્ધ થઈ ઋષિ વિચારવા લાગ્યા કે, આ સુંદર સુમનને શિવજીને અર્પણ કરવામાં આવે તો ભગવાન આસુતોષ અવશ્ય પ્રસન્ન થાય. આ વિચાર સાથે તેઓ જેવા બ્રહમકમળને તોડવા વાંકા વળ્યા કે , તુરત કમળ બોલ્યું ’ ’ઋષિવર આપ મને ક્યાં કારણોસર મને મારા કુટુંબથી અલગ પાડો છો? “ત્યારે મહર્ષિએ જવાબ આપ્યો” તને શિવનું સાનિધ્ય આપવાની ઈચ્છા થઈ એટલે, અનુગ્રહ માટે તેને તોડી રહયો છું. ” પુષ્પની પ્રસન્નતા ખિન્નતામાં ફેરવાઈ ગઈ , આમ અચાનક કુસુમને કરમાઈ જતું જોઈ મહર્ષિએ એનું કારણ પુછતાં , સુમ સહસા વધ્યું’ ” શિવજી તો સમર્થ છે એને મારા જેવી તુચ્છ વસ્તુની ના તો ખોટ છે, ન ઈચ્છા . આના કારતા તો હું પતંગિયા અને મધ – માખી જેવા જંતુઓની સેવા – સહાયતા કરૂં એ જ મારા માટે શ્રેષ્ઠ છે કંઈ નહીં તો જે માટીમાં મારો જન્મ થયો તેને જ મારૂ સર્વસ્વ અર્પણ કરી દંઉં એ જ મારા જીવનની ધન્યતા, સાર્થકતા છે.

પોતાની જાતને માંજયા વિના, અંતરને અજવાપ્યા વિના સમર્પિત કર્યા વિના તમસ ન ટળે , કશું ન મળે, ભીતરના કમાડ ઉઘાડે તો જ પરમાત્મા પ્રવેશ કરે . બાકી તો મંત્ર કદાચ સિધ્ધ થઈ જાય , સિધ્ધિ મળી જાય, તો પણ ભાસ્માસુરની માફક પોતાને ભસ્મ કરવા સિવાય અન્ય કશો લાભ ન મળી શકે. તપસ્યાતો ભગીરથે કરી હતી . લોક કલ્યાણ અર્થે પોતાના પિતૃઓના મોક્ષાર્થે, નિજનું સર્વસ્વ ત્યાગી દીધું .

ત્યારે જ સ્વર્ગમાં રહેતી સુર – સરિતા ગંગા મૈયાને અવની પર અવતરણ કરાવવા સફળ થયા. ભાસ્માસુરનો પણ જો આવા ઉમદા ઉદેશ્ય હોત તો, તે પણ ભગવાન ભોળાનાથ પાસે અન્યનું કલ્યાણ થાય તેવું કલ્યાણ કારી વરદાન માંગી શકયો હોત. પરંતુ તેણે પોતાની આત્મ શુધ્ધી કરી ન હતી . આત્માથી તે અંધ હતો . તેથી તે મોહબંધ હતો. જયાં સુધી લોભ, મોહ, મધ, વાસના, તૃષ્ણા વિગેરે છે ત્યાં સુધી વ્યકિત વ્યવસ્થિત મંત્ર સાધ્ય કરી શકતો નથી . પોતાની ઉન્નતિ કરી શકતો નથી તો અન્યની તો કયાંથી કરી શકે . જેની અંદર અહમ સરવળે એને કશું ન મળે, અહમ્ જાય મરી તો મળી જાય હરિ.

આત્મ શુધ્ધિની પ્રાથમીક પાઠશાળામાં ઉર્તિણ થયા બાદ જ અધ્યામ પથના પ્રથમ પગથિયે પગ માંડી શકાય છે, અને ત્યાંથી જ સિધ્ધિના સોપાન સર કરી શકાય છે . બીજું જીભને કાબુમાં રાખીએ તો જીવન પણ કાબુમાં રાખી શકાય છે, જીભને બે રીતે કાબુમાં રાખવી પડે એક વાણીથી અને બીજી સ્વાદથી . જે સ્વાદુ ન હોય તે સાધુ થઈ શકે , જે સત્ય બોલે અને આચરે એ સંત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.