આજકાલ, વ્યસ્ત જીવન અને કામકાજ વચ્ચે, માતા-પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકોને જમાડવા માટે કલાકો વિતાવે. આવી પરિસ્થિતિઓમાં માતા-પિતા સમય બચાવવા માટે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો સહારો લે છે. બાળકો મોબાઈલ ફોન જોતા જોતા ઝડપથી જમી લેતા હોય છે. તેમજ માતા-પિતા પણ આ વાતને બેફિકરાઈથી લેતા હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતા જોતા પણ બાળક જામી તો લે છે. પરંતુ બાળકને જમાડવાનો આ ઈલાજ બાળકના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ટીવી કે મોબાઈલ જોતા બાળકોને જમાડવું છે જોખમી
એન્વાયર્નમેન્ટલ જર્નલ ઓફ હેલ્થ નામના મેગેઝિનમાં બાળકોની જમવાની આદતો પર એક રિસર્ચ છપાયું છે. તેમજ એવું જાણવા મળ્યું છે કે જે બાળકો ટીવી અથવા મોબાઈલ જોતા જોતા જમે છે, તેઓ પછીથી જમવાને લઈએ ખૂબ જ નખરા કરતા હોય છે. તેમજ આવા બાળકોને નાની નાની વાતોમાં જલ્દી ગુસ્સો આવી જતો હોય છે. ટીવી અને મોબાઈલ જોતા જોતા જમતા 10 વર્ષ સુધીના બાળકોમાં સ્થૂળતાનો ખતરો અનેકગણો વધી જાય છે અને તેઓ સ્થૂળતાનો શિકાર બને છે જે અનેક રોગોને જન્મ આપી શકે છે.
જમતી વખતે ટીવી જોવાના ગેરફાયદા
– જમતી વખતે ટીવી જોવાથી પાચનશક્તિ ધીમી પડી જાય છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે.
– ટીવી જોતા જોતા જમવાથી, સંપૂર્ણ ધ્યાન ટીવી અથવા ફોન પર હોય છે, જેના કારણે બાળકો ઓવરઇટીંગ કરી લે છે.
– મોટા ભાગના બાળકો જ્યારે ટીવી અને ફોન જુએ છે ત્યારે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે.
– બાળકો ટીવી કે મોબાઈલ જોતા ડિનર કે લંચ કરીને ખૂબ જ ઝડપથી મેદસ્વી થઈ જાય છે.
– ટીવી અથવા ફોન જોતા જોતા બાળકને જમાડવાથી પોષણની ઉણપ થઈ શકે છે. તેઓ જરૂરી પોષક તત્વો મેળવી શકતા નથી.
– તેમજ બાળકમાં તણાવ અને ચિંતા વધી શકે છે.
– જે બાળકો ટીવી કે ફોન જોતા ખોરાક લે છે તે સામાજિક રીતે નબળા પડી શકે છે. તેમની કુશળતામાં ઘટાડો થઈ શકે છે.
– આ સિવાય આંખોમાં પાણી આવવું, દ્રષ્ટિ નબળી પડી જવી અથવા શુષ્કતા આવવાની સમસ્યા થાય છે.
– મોબાઈલ જોતી વખતે બાળકો ખોરાકને ઓળખી શકતા નથી અને જ સામે આવે તે જ ખાઈ લે છે. તેમજ શું ખાધું તે પણ યાદ રહેતું નથી.