Abtak Media Google News

દેશભરના દરેક બાળકનું રસીકરણ સુનિશ્ર્ચિત કરતા ફ્રન્ટલાઈન હેલ્થકેર કાર્યકરોની અથાગ મહેનતને લીધે રસીકરણનો વ્યાપ વધ્યો

દર વર્ષે દેશભરમાં 16 માર્ચના રોજ “રાષ્ટ્રીય રસીકરણ દિવસ” ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ રસીકરણની અગત્યતા અંગે જનસામાન્યમાં જાગૃતિ લાવવાનો છે. દેશભરના દરેક બાળકનું રસીકરણ સુનિશ્ચિત કરતા ફ્રન્ટલાઈન હેલ્થકેર કાર્યકરોની અથાગ મહેનતને લીધે રસીકરણનો વ્યાપ વધે છે.સંક્રામક રોગથી બચવા માટે રસીકરણ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રસીકરણ માનવ શરીર માટે એક જરૂરી પરિબળ છે અને કેટલાય રોગોથી બચવામાં માણસના શરીરને મદદ કરે છે.  જન્મની સાથે જ દરેક બાળકનું રસીકરણ શરૂ થઇ જાય છે.

રસીકરણની અગત્યતા લોકોને કોરોના મહામારી દરમિયાન ખુબ જ સારી રીતે સમજાઈ હતી. જેમાં શરીરની રોગપ્રતિકારકતાને વધારવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. ભારત સરકારે તીવ્ર રસીકરણ અભિયાન અંતર્ગત જન-જન સુધી રસીકરણ પહોંચાડવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. અત્યંત ચેપી રોગોને રોકવા રસીકરણ સૌથી અસરકારક પદ્ધતિ સાબિત થઇ છે.

ઓગણીસમી સદીમાં રસીઓની શોધ થઈ હતી. ભારતે સૌપ્રથમ 51 વર્ષ પહેલાં ક્ષય રોગ સામે લડવા માટે બેસિલ કેલ્મેટ ગ્યુરીન (બી.સી.જી.) રસી ઉપલબ્ધ કરાવી હતી. 1978માં ડી.પી.ટી. અને ટાઈફોઈડ રસીકરણનો સમાવેશ થતાં મજબૂત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.ભારતે તીવ્ર રસીકરણ અભિયાન થકી રસીકરણ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. દેશભરમાં વર્ષ 2017 અને 2020 દરમ્યાન ઓરી અને નુરબીબી(એમ.આર.) રસીકરણ ઝુંબેશ થકી આશરે 10 લાખ બાળકોનું રસીકરણ કરી તેમને ઓરી  અને નુરબીબીના રોગ સામે રક્ષાકવચ પૂરૂં પાડયું હતું.

16 માર્ચ 1995ના દિવસે પહેલી વાર સમગ્ર દેશમાં પોલિયો રસીકરણ અન્વયે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપાં આપવામાં આવ્યા હતા. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ એક મોટી સફળતા બની ગયું છે, જેના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વર્ષ 2014માં ભારત દેશને પોલિયોમુક્ત દેશ જાહેર કર્યો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ ભારતમાં ક્ષય અને ધનુર જેવી ગંભીર બિમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવામાં આવે છે. દુનિયાભરમાં જીવલેણ બીમારીઓથી રક્ષણ મેળવવા માટે રસીકરણ મહત્વપૂર્ણ હથિયાર સાબિત થઇ રહયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.