- ભારે પવન સાથે રાજુલા વિજપડી, બાબરા, કોટડાપીઠા, ખાંભા સહિતના વિસ્તારોમાં અંધારપટ્ટ સાથે ઠેર ઠેર પાણી ભરાયા
- વીજપુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ટીમ રાતભર કાર્યરત રહી પુન: આપી રોશની
અમરેલી શહેરમાં સાંજના 4 વાગ્યાની આસપાસ વાવાઝોડુ ફુકાયુ હતુ. ભારે પવનને કારણે જેજીવાયના 14 અને અર્બનના 4 ફીડર બંધ થઈ ગયા હતા. ફીડર બંધ થઈ ગયા હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. જો કે સાવચેતીના ભાગરૂપે બાબરા અને ચિત્તલના વીજ ફીડર પણ બંધ કરવામાં આવ્યા હતા. જેને લઇ અમરેલી પિજિવિસીએલ ટીમ ખડે પગે રહી વીજ પુરવઠો પુન: કાર્યરત કરવા આખી રાત લાઇન ઉપર રહી ગામડાઓમાં વીજળી કાર્યરત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી……
અમરેલી શહેરમાં સાંજના સમયે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા તો ભારે પવનને કારણે વીજળી ખોરવાઈ ગઈ હતી. બાબાપુર, જાળીયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડ્યો હતો. જયારે વહેલી સવારથી રાજુલા શહેરમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખાંભા તાલુકાના ખડાધાર, બોરાળા અને ગીદરડી સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. સાવરકુંડલા તાલુકાના વિજપડી, ગાધકડા, જીંજુડા અને જાબાળ, બગોયા, બાઢડા જેવા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. લીલીયા શહેર અને આસપાસના વિસ્તારમાં તો ધોધમાર વરસાદને કારણે નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે લીલીયાના ભેસાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. રાજુલા તાલુકાના માંડરવડી, ધારેશ્વર, વડલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ઘાસચારાને નુકસાન ગયુ છે. રાજુલા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે બીડી કામદાર વિસ્તારમાં વીજ વાયર તૂટી પડતાં એક આખલાનું મોત નિપજ્યું છે. બાબરા, કોટડાપીઠામાં પણ સાંજના સમયે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને પોતાનો માલસામાન લાવતી વખતે તાડપત્રીનો ઉપયોગ કરવા અને સલામત જગ્યાએ રાખવાની સૂચના આપી છે. લાઠી શહેરમાં વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો કમોસમી વરસાદ સાથે પવનના સુસવાટા અને બરફના કરા સાથે તોફાની વરસાદ પડ્યો હતો. મતીરાળા અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. બગસરામાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશયી થયા હતા.ક્રિકેટ બોક્ષના ડોમને ભારે નુકસાન થયુ હતુ. આ વરસાદના કારણે ઉનાળુ પાકમાં ઘણું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ચલાલામાં સાંજના સમયે અચાનક જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થયા બાદ ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વરસાદને કારણે કેરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે…
અમરેલી: માવઠાથી ખેડૂતોને થયેલી નુકસાનનું વળતર આપવા મંત્રી રાઘવજી પટેલને રજૂઆત
- ભાજપ અગ્રણી પ્રા.જે.એમ. તલાવીયાએ મંત્રી, સાંસદ, ધારાસભ્યને પત્ર લખ્યો
- ગુજરાત ભરમાં માવઠાથી થયેલ નુકશાન અંગે સર્વે કરાવી વળતર આપવા રાજયમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી ભા.જ.પ. અગ્રણી પ્રા.જે.એમ.તલાવીયાએ રજુઆત કરી છે.
ગુજરાત રાજ્યમાં હાલ છેલ્લા ત્રણ – ચાર દિવસથી કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વારસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. ઉનાળુ પાકનું વાવેતર અને ચીકુ – કેરી – દાડમ જેવા ફળફળાદી રોકડીયા પાકને ભારે નુકશાન થયું છે. ઉપરાંત રાજ્ય ભરના માર્કેટિંગ યાર્ડમાં વેચવા લવાયેલ તૈયાર માલને પણ વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતો પાયમાલ – બેહાલ થઈ ગયા છે. આવા કપરા સમયમાં રાજ્ય સરકારે ત્વરિત ધોરણે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને સહાય કરવી આવશ્યક છે. તેમજ પાક વીમો મંજુર કરાવી વીમા – વળતર રકમ સત્વરે અપાવવા પ્રા.જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવી રજુઆત કરી છે. તેમણે આ અંગે રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, અમરેલીના લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા અને અમરેલીના ધારાસભ્ય અને ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા વગેરેને આ અંગે પત્રો પાઠવી રજૂઆત કરી છે.