Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના સિધા માર્ગદર્શન હેઠળ રેપ વિથ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને સજા થાય તેવું તહોમતનામું તૈયાર કરાવ્યું

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામની ફુલ જેવી માસુમ બાળકી પર વાસનાંધ બનેલા ઢગાએ બળાત્કાર ગુજારી નિર્દયતાથી કરેલી હત્યાની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હયુ હચમચી ઉઠે તેવી ઘટનાનો માત્ર એક જ દિવસમાં ભેદ ઉકેલી હવસખોર હત્યારાની ધરપકડ કરી હતી. એટલું જ નહી આરોપીને કોર્ટ દ્વારા કડક સજા થાય તે માટે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના સિધ્ધા માર્ગ દર્શન હેઠળ માત્ર 25 દિવસમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ તૈયાર કરી કોડીનાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યું છે.

ગત તા.12 જુને જંત્રાખડી ગામના શામજી સોલંકી નામના ઢગાએ પાડોશીની બાળકીને બીડી લેવા દુકાને મોકલી હતી બાળકી નિર્દોષ ભાવે શામજી સોલંકીને બીડી આપવા ગઇ ત્યારે તેના મગજમાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને બાળકીને વાસનાનો શિકાર બનાવી હત્યા કર્યા બાદ બાળકીનો મૃતદેહ ગામની સીમમાં ફેંકી દીધો હતો.બાળકીનું પેનલ તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા બાળકી પર બળાત્કાર ગુજારી તેણીની હત્યા કરવામાં આવ્યાનો તબીબો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

250 પેઇજના ચાર્જશીટમાં બે ડિસ્કવરી પંચનામા, છ સીઆરપીસી 164 મુજબના નિવેદન સહિત 80 સાહેદ-પંચના નિવેદન સામેલ કરાયા

જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોલીસની જુદી જુદી ચાર ટીમ બનાવી માત્ર એક જ દિવસમાં બળાત્કાર અને હત્યાના ગુનામાં સંડોવાયેલા શામજી સોલંકીને ઝડપી લીધો હતો. શામજી સોલંકીની પોલીસે આકરી પૂછપરછ કરતા તે બે સંતાનનો પિતા હોવાનું અને પત્ની રિસામણે હોવાથી માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું હતું. સભ્ય સમાજનું શરમથી માથુ ઝુંકી જાય તેવી હીચકારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને રોષે ભરાયેલાઓ દ્વારા ઠેર ઠેર રેલી કાઢી ફાંસીની સજા કરવાની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

એફએસએલ પુરાવા અને પેનલ ડોકટર દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ સહિતની ટેકનિકલ પુરાવાને મહત્વ અપાયું

પોલીસ દ્વારા ચેલેન્જીગ કામગીરી આગવી કુન્હેથી ઉકેલી શામજી સોલંકીની બળાત્કાર અને હત્યાના ગુનામાં ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં આકરી સજા થાય તે માટે એસપી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ ત્રણ પોલીસ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા માત્ર 25 દિવસમાં જ 80 જેટલા સાહેદ અને પંચના નિવેદન નોંધવામાં આવ્યા હતા જેમાં છ સીઆરપીસી કલમ 164 મુંજબના નિવેદન લેવામાં આવ્યા હતા. આ ઉબપરાંત આરોપી શામજી સોલંકીએ બાળકીની હત્યા કરી લાસ કયાં ફેંકી સહિતના બે ડીસકવરી પંચનામાં કરવામાં આવ્યા હતા. કુલ 250 પેઇઝનું તહોમતનામું માત્ર 25 દિવસમાં તૈયાર કરી કોડીનાર કોર્ટમાં રજુ કરી પોલીસે સરાહનીય કામગીરી કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.