Abtak Media Google News

શહેરમાં રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ફાટક પાસે આવેલી શંકર ટેકરીમાં બહેન રિસામણે આવતા બનેવી અને પિતરાઇ ભાઈએ યુવાન ઉપર ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંતોષીનગર ફાટક પાસે શંકર ટેકરીમાં રહેતા બેચર મનસુખભાઈ ઉકેડિયા નામનો ૨૭ વર્ષનો યુવાન રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે તેના સગા બનેવી અક્ષય અને પિતરાય ભાઈ અરવિંદ ઉકેડીયાએ ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બેચર ઉકેડીયાની બહેન સુમિત્રાબેન છેલ્લા દોઢેક માસથી માવતરે રિસામણે આવી હોય જેનો ખાર રાખી બનેવી અને પિતરાઈ ભાઈએ બેચર ઉકેડીયા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.