Abtak Media Google News

પિડીતાઓને સારવાર માટે અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મોકલવામાં આવ્યા

અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 25 જેટલા લોકોને ઇન્ફેક્શનની ગંભીર અસર થઈ હતી. આ ઓપરેશન બાદ 4 મહિલાઓએ આંખની રોશની ગુમાવી દીધી છે.

અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી દીધી છે. શાંતા બા હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 25 જેટલા દર્દીઓને અસર થઈ હતી. આ ઘટના બાદ દર્દીઓને સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીમાં આવેલી શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી દીધી છે. નવેમ્બર મહિનામાં કરવામાં આવેલા આ ઓપરેશનમાં 25 જેટલા દર્દીઓને અસર થઈ હતી. ત્યારબાદ 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર મહિલા દર્દીઓની આંખની રોશની જતી રહી છે.

તેમાં  લાભુબેન 60 વર્ષ,  શારદાબેન 60 વર્ષ,  આશુબેન 60 વર્ષ,  રોશનબેન બેલીમ 88 વર્ષ એ આંખની રોશની ગુમાવી હતી જયારે 6 દર્દીઓને 22 નવેમ્બર આસપાસ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  અમરેલીમાં ઓપરેશન બાદ આંખમાં ઈન્ફેક્શન થતાં તમામને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં દાખલ કરવામાં આવેલ ચાર મહિલાઓ સહિત કુલ છ લોકોને આંખના ઇન્ફેક્શનની સારવાર કરીને રજા આપી દેવામાં આવી છે.

પરંતુ ચાર મહિલાઓને હજુ સુધી કંઈ દેખાતું નથી.જયારે આ મામલે શાંતાબા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર.એમ. જીતીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, હોસ્પિટલમાં 30 જેટલા  દર્દીઓનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું  જ નથી માત્ર 15 થી 17 લોકોનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ જેમાં 10 જેટલા લોકોને આંખમાં તકલીફ થઈ હતી. જેથીતેને  સારવાર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા પરંતુ કયાકને કયાક   આંકડાઓ છુપાવામાં આવતા હોવાનું      સ્થાનીકો દ્વારા જણાવવામાં આવ્યું હતુ. જયારે આરોગ્ય અધિકારીના કહેવા પ્રમાણે 18ના ઓપરેશન થયા અને  6-7ને   જ અસર થઈ હોવાનું જણાવ્યું હતુ.

22 દર્દીઓને બેકટેરીયાના કારણે અસર થઈ: આરોગ્ય મંત્રી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમરેલીની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શાંતા બા મેડિકલ કોલેજમાં 17 ઓપરેશન થયા હતા. જેમાં 12 લોકોને બેક્ટેરિયાને કારણે અસર થઈ હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેટલાક લોકોને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અમુક લોકોને રજા આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.