- એલસીબી પીઆઈ-પીએસઆઈ અને સાયબર ક્રાઇમ પીઆઈને જિલ્લા બહાર ફેંકી દેવાયા
અમરેલી લેટરકાંડ મુદ્દે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે કાર્યવાહી કરી ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી છે. જયારે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સામે વિભાગીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં પાયલ ગોટી ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ મુદ્દો વિધાનસભામાં પણ ગૂંજ્યો હતો. ત્યારબાદ પોલીસ વડાએ પીઆઈ-પીએસઆઈની તાત્કાલિક બદલી કરી દીધી છે.
રાજ્યના પોલીસ વડા જે ત્રણની બદલી કરી છે, તેમાં અમરેલીના પીઆઈ (એલસીબી) એ.એમ.પટેલની કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરી દીધી છે. જ્યારે અમરેલી સાયબર ક્રાઈમના પીઆઈ એ.એમ.પરમારની વડોદરા શહેર ખાતે અને અમરેલી એલસીબી પીએસઆઈ કુસુમબેન પરમારની વડોદરા ગ્રામ ખાતે બદલી કરી દીધી છે. રાજ્યના પોલીસ વડાએ આ બદલીઓને જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરનારા કોઈપણ અધિકારીને છોડવામાં નહીં આવે. ઉપરાંત આ મામલે હવે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત વિરુદ્ધ પણ વિભાગીય તપાસનો આદેશ આપ્યો છે. સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.