Abtak Media Google News

દેશના અર્થતંત્રને ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બનાવવા

જન સ્મોલ ફાઈનાન્સ બેંકની 15 શાખાઓનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

દેશના અર્થતંત્રને ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બનાવવા નાના માણસો સુધી મૂડી ધિરાણ પહોંચે એ જરૂરી છે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જન સ્મોલ ફાઈનાન્સ બેંકની શાખાઓનું ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે. દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મુડી પહોચે તે આવશ્યક છે.જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત 15 શાખાઓનું ઇ-લોકાર્પણ  ગાંધીનગરથી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેન્કોમાંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે.

નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીએ કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણ  સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના 2.5 લાખ લોકોને રૂ. 2500 કરોડનું ધિરાણ મળ્યું છે. અરજદારોને 2% વ્યાજે 1 લાખ અને 4% વ્યાજે 2.5 લાખની લોન મળી છે. રાજ્ય સરકારે ક્રમશ: 6% અને 4% વ્યાજની સબસિડી આપી છે.  મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યની કો-ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ધિરાણ આપ્યું છે. સામાન્ય માણસોના હાથમાં મુડી (કેપિટલ) પહોચતા તેઓ બે પાંદડે થશે. ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ધિરાણ આપતા હોય છે. લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે. જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન-સામાન્યની બેંક બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ રાજ્યની જનતા વતી જન સ્મોલ ફાઇનાન્સ બેંકના અધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ અપી હતી. ભાવનગર, ભરૂચ, ઘાટલોડીયા, મોડાસા, વરાછા, ભુજ, મહેસાણા, વલસાડ, ગોધરા, હિંમતનગર, જુનાગઢ, રાજકોટ, કલોલ, નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, જન સ્મોલ ફાઇનાન્સ બેંકના એમ.ડી. અજય કનવર અને ઝોનલ હેડ ગૌરવ જૈઠવા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.