Abtak Media Google News

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

પર્યાવરણના કુદરતી સફાઈ કામદાર ગીધને બચાવવા હવે જરૂરી બન્યું છે. આ દુર્લભ પક્ષીને બચાવવા માટે શું કરવું ? અને તેની સંખ્યા કેવી રીતે વધે શકે ? તે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે , ગીધ પ્રકૃતિ માટે એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે. અને તેની સંખ્યા પહેલા વધુ હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ગીધની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો થતો જાય છે .

સુરેન્દ્રનગર જિલ્લાના ભારદ ગામના તળાવ ઉપર આવેલા ઝાડ ઉપર ગીધની સંખ્યા આશરે ૩૦ થી ૪૦ જેટલી જોવા મળે છે.સ્થાનિક લોકો સાથે પણ ગીધને બચાવવા માટે શું કરવું જોઈએ તે માટે આ ગામના લોકો જાગૃત છે. તેનો જોઈતો ખોરાક તેના નજીકના વિસ્તારમાં મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે . પર્યાવરણના પ્રકૃતિ સફાઇ કામદાર ગણાતા ગીધની સંખ્યા આ જિલ્લામાં જોવા મળી રહી છે . આ વિસ્તારમાં વાડી ખેતરોમાં પણ ખેડૂતો ગીધને સાચવે છે. અહી કોઇ માલઢોર મરી જાય તો તુરત ગીધ થોડીવારમાં જ ખાઇ જતા હોય છે . જેથી ખુલ્લામાં પડેલા માલઢોરના મૃતદેહથી કોઇ અન્ય રોગચાળો પણ ફેલાતો અટકાય છે.

સુરેન્દ્રનગરના ભરદ ગામની ગીધ વસાહત બચાવવા ગ્રામજનોના સામુહિક  પ્રયાસ

સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૦૦૫ માં ગીધની સંખ્યા ૩૩૮ હતી. કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે ..! સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૦૦૫ માં ગીધની સંખ્યા ૩૩૮ હતી . જે ૨૦૧૬ માં ઘટીને ૮૪ અને હાલમાં નોંધપાત્ર રીતે ઘટીને ૪૮ એ પહોંચી છે . એટલે કે ૧૪ વર્ષમાં ૨૯૦ ગીધ લુપ્ત થઇ ગયા છે . પશુધનને આપવામાં આવતી  ડાઇક્લોફેનાક  દવા ગીધ માટે મોતનો આહાર સાબિત થઈ છે.

સને ૧૯૯૫ માં બી.એન.એચ.એસ.ની ટીમેં કરેલા સર્વેમાં ગીધની સંખ્યામાં ૯૫ % નો ઘટાડો થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. કારણ કે નિ:શુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખું રાખતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયું છે. જેમાં સફેદ પીઠ ગીધ , ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં તો પુરા વિશ્વમાં ૯૫ % કરતા પણ ઓછી થઇ ગઇ છે .

ગીધ માટે પશુઓને અપાતી ‘ડાઈકલોફેનીક દર્દશામક દવા જ બને છે ઘાતક

ગીધની વસ્તી નોંધપાત્ર રીતે ઘટવાના મુખ્ય કારણમાં ઝાલાવાડ વિસ્તારમાં પશુઓને દુ:ખાવા માટે આપવામાં આવતી  ડાઇક્લોફેનાક  નામની દવાનું પ્રમાણ છે . આ દવા ગીધ માટે મોતનું કારણ બની જાય છે. જો પશુ પાલકો અને પશુ ચિકીત્સકો ગીધ માટે આ ઘાતક દવા બંધ કરી તેના વિકલ્પ રૂપે મળતી  મેલોક્સીકમ  દવાનો ઉપયોગ કરે તો ગીધની જાતીને લૂપ્ત થતી બચાવી શકાય. દેશભરમાં ગુજરાત રાજ્ય જ એક એવો પ્રદેશ છે જ્યાં ગીધ માટે બે સલામત પ્રદેશ છે. જેમાં એક સૌરાષ્ટ્ર અને બીજો અમદાવાદ છે . આ બન્ને સ્થળોને  વલ્ચર સેફ ઝોન  તરીકે જાહેર કરાયા છે . ગીધનો મુખ્ય ખોરાક મૃતદેહો હોય છે . પરંતુ ગીધ નામશેષ થઇ જતા આવા મૃતદેહોના કારણે પણ રોગચાળો ફેલાશે એ પણ કડવી વાસ્તવિકતા છે .ડાઇક્લોફેનાક શું છે ??

પશુઓને સાંધાના દુ:ખાવા માટે કે અન્ય દુ:ખાવા માટે વપરાતી આ દવા હવે પ્રતિબંધિત છે. ડાઇક્લોફેનાક દવા આપી હોય એવા પશુનું માંસ ખાનાર ગીધની કિડની ખરાબ થઇ જાય છે. વિશ્વ લેવલે ગીધની વસ્તી ઓછી થવા માટે આ દવા જવાબદાર હોવાનું બહાર આવ્યું છે . ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ -૨૦૦૮ થી પ્રતિબંધિત કરી છે .

ગીધને બચાવવા યુવાને કમર કસી લુપ્ત થઇ રહેલા ગીધ પર પીએચડી કરી ચુકેલા અને ગીધને બચાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લા કો  ઓર્ડિનેટર તરીકે કામ કરી ચુકેલા આદિત્ય રોય જણાવે છે કે, સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી, લખતર અને ધ્રાંગધ્રા પથંકમાં આ સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટીંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. વધુમાં ઢોરોને દુખાવાના નિદાન માટે અપાતી  ડાયક્લોફિનેક્સ  દવાના કારણે એ ઢોર મૃત્યુ પામ્યા બાદ એનું માસ ખાધાના માત્ર ૭૨ કલાકમાં જ ગીધ કિડની અને લિવર ફેલ થતા મોતને ભેટે છે. વધુમાં ગીધ વર્ષમાં માત્ર એક જ ઇંડુ મુકી એક જ બચ્ચાને જન્મ આપે છે . અને પાંચ વર્ષ સુધી એ ગીધનું બચ્ચું પરિપકવ થઇ બીજા બચ્ચાને જન્મ આપી શકતું ન હોવાથી ગીધની વસ્તીમાં ૯૦ થી ૯૫ % નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે .

હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે. પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે . ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારના ગામની મુલાકાત અવાર નવાર લઈને ગીધ વિષેની માહિતી મેળવતા હોય છે. જેમાં આ વિસ્તારની જગ્યાએ જઈને વૃક્ષ પર તેના માળા છે તેની શું હાલત છે ? અને કેટલા માળા છે ? તેની માહિતી લેવામાં આવે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.