Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજ્ય સરકારે  કિસાન હિતલક્ષી નિર્ણય લીધો છે.  ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-2માં  રૂ.531 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના 9 જિલ્લાના 37 તાલુકાના 1530 ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે લાભ અપાશે

ખેડુતોને રૂ.6800 પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે: ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર 0.5 હેક્ટર હશે તો તે ખેડૂતને રૂ.4000 ચુકવાશે  આ પેકેજ હેઠળ અંદાજીત 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં 5.06 લાખ ખેડૂત ખાતેદારોને રૂ.531 કરોડ સહાય ચૂકવાશે  ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તા.06 થી તા.24 ડીસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે : ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરાઇ જેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

ભારે વરસાદથી થયેલી નુકશાનમાં ખેડુતો માટે રૂ. 531 કરોડનું રાહત પેકેજ રાજય સરકારે જાહેર કર્યુ: 9 જીલ્લાના 37 તાલુકાના 1530 ગામોના પાંચ લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે

આ અંગે વધુ માહીતી આપણા પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ભાજપા સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે ફેઝ-2 હેઠળ રાજ્યના 9 જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની સંદર્ભે રૂ.531 કરોડનું માતબર કૃષિ રાહત પેકેજ  જાહેર કર્યું છે.

અગાઉ રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં રાહત પેકેજ જાહેર કર્યુ હતુ ત્યારબાદ કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અન્ય જિલ્લાના ખેડૂતોની માંગણી આવતાં એ માટે સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. સર્વે પૂર્ણ થયા બાદ રાજ્યના 9 જિલ્લાના 37 તાલુકાના 1530 ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને આ પેકેજ હેઠળ આવરી લઇ એસડીઆરએફના ધોરણ મુજબ સહાય ચૂકવાશે. રાજ્યના અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત આવરી લેવાયા છે.

વાઘાણીએ ઉમેર્યું કે, વર્ષ-2021ની ખરીફ ઋતુના સપ્ટેમ્બર માસના છેલ્લા પખવાડિયામાં જે ભારે વરસાદ થયો હતો તેના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા મળી કુલ 9 જીલ્લાઓના 37 તાલુકાઓના 1530 ગામોમાં પાક નુકશાની થયાની વિગતો જીલ્લા વહીવટીતંત્ર મારફતે રાજ્ય સરકારને મળી હતી. અંદાજીત 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકશાનીના વળતર પેટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પાક નુકશાન અંગે કરવામાં આવેલ આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓની રજૂઆતો અનુસંધાને ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ.531 કરોડનુ માતબર સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

આ સહાય પેકેજ હેઠળ ખાતેદાર ખેડુત કે જેના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાન થયું હોય તેવા ખાતેદાર ખેડુતોને એસડીઆરએફ બજેટમાંથી રૂ.6800/- પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે એસડીઆરએફ ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4000/- કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.4000/- ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. એટલે કે જો કોઇ ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર 0.5 હેક્ટર હોય તો એસડીઆરએફના ધોરણો અનુસાર રૂ.6800/- પ્રતિ હેકટર મુજબ રૂ.3400/- મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ એસડીઆરએફ ગ્રાન્ટમાંથી મળવાપાત્ર થાય. પરંતુ આવા કિસ્સામાં ખાતેદારને ઓછામાં ઓછા રૂ.4000/- ચુકવવાના થતા હોઈ તફાવતની રકમ રૂ.600/- રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.

વાઘાણીએ વધુમાં કહ્યું કે, આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તા.06 ડીસેમ્બર,2021 થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે તા.06 ડીસેમ્બર થી 24 ડીસેમ્બર,2021 સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો  ના – વાંધા અંગેનો સંમંતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં જે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ પેકેજ હેઠળ અંદાજીત 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં 5.06 લાખ ખેડૂત ખાતેદારોને રૂ.531 કરોડ સહાય ચૂકવવામાં આવશે. જેમાં એસડીઆરએફ માથી રૂ.520 કરોડ અને રાજ્ય બજેટમાથી ન્યૂનતમ સહાય ચૂકવણીના તફાવતની રૂ.11 કરોડની સહાય ચૂકવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.