Abtak Media Google News

રામનવમી માત્ર રામના જીવનની જ નહીં પણ પીતા, માતા, ગુરૂ, પત્ની અને નાનાભાઈ પ્રત્યેની ફરજોની નિષ્ઠાનો દાખલો આપે છે 

જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ. રામે અવતાર દરમિયાન વંચિતો અને પછાતોને સાથે રાખ્યા હતા. રામાયણમાં શબરી, કેવટ, સુગ્રીવ સહિતના આવા અનેક ઉદાહરણો જોવા મળે છે.

કોરોના કાળમાં લોકો ઉપર ભગવાન રામની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના ભક્તજનો કરી રહ્યા છે. આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.

રામનવમીની સાથે આજે નોમના અંતિમ નોરતા સાથે ચૈત્રી નવરાત્રિની પણ પુર્ણાહૂતિ થશે. સનાતન ધર્મના બન્ને મહત્વના પર્વની ઓણ સાલ કોરોના મહામારીએ રંગત છિનવી હોવાથી માંઈભક્તો અને રામભક્તો મંદિર-મઢોમાં એકઠા થવાના બદલે ઘરે રહીને જ આરાધના કરશે. ઉલ્લેખનિય છે કે, રામનવમીએ શ્રીખંડ-પુરીની ખાવાની પરંપરા રહેલી છે, પરંતુ આ વર્ષે ચિત્ર અલગ ઉપસી રહ્યું છે.

દરમિયાન આજે રામ નવમીના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના ટોચના રાજકારણીઓએ દેશના લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું છે કે રામ નવમીના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસ પર ઉજવવામાં આવતો આ ઉત્સવ જીવનમાં મર્યાદાને અનુસરવાની પ્રેરણા આપે છે. ચાલો આપણે બધાં સંકલ્પ કરીએ કે આપણે કોવિડ -19 રોગચાળાને પણ પ્રમાણિકતા અને સંયમથી હરાવીશું.

રામ નવમી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટ દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીની શુભકામનાઓ પાઠવતા લખ્યુ છે કે, ભગવાન શ્રી રામની અપાર કરુણા દેશવાસીઓ પર કાયમ માટે ચાલુ રહે. જય શ્રી રામ. તો બીજા ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે આજે રામ નવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો સંદેશો આપણા બધાને ગૌરવને અનુસરવાનો છે. કોરોનાના આ સંકટમાં, કૃપા કરીને કોરોનાને ટાળવા માટે જે પણ ઉપાય ઉપલબ્ધ છે તેને અનુસરો અને દવા ભી, કડાઇ ભી નો મંત્ર યાદ રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.