Abtak Media Google News

અબતક,જામનગર

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે ધડાધડ ફાયરીંગ કરી ઉપ સરપંચની નીપજાવવામાં આવેલ હત્યા બાદ જામનગર એસઓજીએ આજે વધુ એક આરોપીને કચ્છના અંજાર ખાતેથી પકડી પાડ્યો છે. સપ્તાહ પૂર્વે ચાર સખ્સોએ ઉપસરપંચ અને તેની ઓફીસના એક કર્મચારી પર હુમલો કર્યો હતો. રેતીની લીઝ માટે હપ્તા પેટે રૂપિયા આપવાની ધમકી આપી આરોપીઓએ વારદાતને અંજામ આપ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આ પ્રકરણમાં સંડોવાયેલ બંને મુખ્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે.કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના નાની ચીરાઈ ગામનો સખ્સ સંડોવાયેલ હોવાની જામનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી જેના આધારે એસઓજી સ્ટાફે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આ આરોપી અંજારમાં આવેલ બાગેશ્રીનગર સોસાયટ-3માં આશ્રય લીધો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને આજે એસઓજી પોલીસે અંજાર પહોચી ઉપરોક્ત સ્થળેથી આરોપી ગફુર અલ્લારખા ઉર્ફે બાવલા જુનેજા નામના આ સખ્સને દબોચી લીધો હતો. એસઓજી પોલીસ આ સખ્સને લઈને જામનગર આવી પહોચી છે. આવતી કાલે આરોપીનો કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. જે રીપોર્ટ બાદ આરોપીની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીની હત્યા પ્રકરણમા રહેલી ભૂમિકા સામે આવશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં સંડોવાયેલ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક સખ્સને એલસીબીએ પકડી પાડ્યા બાદ આ પ્રકરણમાં બીજો સખ્સ પોલીસની ઝપટે ચડ્યો છે. જયારે હજુ મુખ્ય બંને આરોપીઓ ફરાર છે.સપ્તાહ પૂર્વે જોડિયા તાલુકાના બાલંભા ગામે ઉપસરપંચ એવા કાંતિભાઈ રામજીભાઈ માલવિયા પોતાની રેતીની લીઝની ઓફીસ પર હતા ત્યારે આ જ ગામના અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુસેનભાઇ કમોરા અને તેની સાથેના અન્ય બે અજાણ્યા સખ્સો આવી ચડ્યા હતા. બંદુક અને બંદુક અને તલવાર તથા ધારીયા સાથે આવી ચડેલા સખ્સોને જોઈ કાન્તીલાલ માલવીયા કઈ સમજે તે પૂર્વે જ આરોપી અયુબે પોતાની પાસેની બંદુકમાંથી ફાયરીંગ કરી છાતીના ડાબા ભાગે ગોળી મારી દઈ કરપીણ હત્યા નીપજાવી હતી.

જયારે ઉપસરપંચની ઓફીસના કોમ્પ્યુટર ઓપરેટર નિલેશભાઇના જમણા હાથના અંગુઠા તથા પ્રથમ આંગળી વચ્ચે ઈજાઓ પહોચી હતી. ઘવાયેલ નીલેશભાઈએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી જેમાં વારદાત પૂર્વે આરોપી અયુબ ઓફિસે આવ્યો હતો અને મૃતક કાંતિભાઈને ધમકી આપી હતી કે તમારે રેતીની લીઝ ચલાવવી હોય તો અમોને પૈસા આપવા પડશે, નહીતર બે દિવસમાં તમારો નિકાલ થઇ જશે, આવું કહી આરોપી ચાલ્યો ગયો હતો. આ બાબતનુ મનદુખ રાખી વારદાતના દિવસે અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુસેનભાઇ કમોરા સહિતના આરોપીઓ બદલો લેવાની ભાવનાથી ઓફિસે આવી ધડાધડ ફાયરીંગ કરી કાંતિભાઈની હત્યા નીપજાવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.