- અકસ્માતમાં બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ
- ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલ ના પતરા પર બેઠેલા પર પ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીની ટાંકી નીચે દબાઈ જતાં ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ
- ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશીયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો
જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે ગઈકાલે સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. ટ્રેક્ટર ના વ્હીલના પતરા પર બેઠેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીની ટાંકી નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેથી બીહામણાં દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કાર ના ચાલક જામદુધઈ ગામના વતની અને કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનું હેમરેજ થઈ જતાં ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાન નો વતની રાકેશ દેવારામ ખટાણા કે જે ફાઇબરનું રોડ પરનું કામ પૂરું કરીને પોતાના આર.જે. ૧૪ આર. સી. ૯૧૪૦ નંબરના ટ્રેક્ટરમાં પાણીની ટાંકી ફીટ કરીને મોરબી તરફ જઈ રહ્યો હતો. જેમાં પોતાની સાથે મૂળ રાજસ્થાનના વતની એવા મનીષ રામાઅવતાર આદિવાસી (ઉંમર વર્ષ ૨૫) ને પોતાની સાથે બેસાડ્યો હતો. જે ટ્રેક્ટરના વ્હીલના પતરા ઉપર બેઠો હતો.
જે ટ્રેક્ટર ગઈકાલે સાંજે જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે પહોંચતાં સામેથી એક ટ્રક આવતો હોવાના કારણે ઓચિંતી બ્રેક મારવાથી ટ્રેક્ટર ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો, અને ટ્રેક્ટર માર્ગ ઉપર પલટી મારી ગયું હતું.
જે અકસ્માતમાં સૌ પ્રથમ પતરા પર બેઠેલો મનીષ આદિવાસી કે જે ટ્રેક્ટરની પાછળ ફીટ કરેલી પાણીની ટાંકી ની નીચે દબાયો હતો, અને તેનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેનું માથું ટાંકી નીચે દબાયું હોવાથી માથું ધડથી અલગ થયું હતું. જેના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉપરાંત ઉપરોક્ત સમયે પાછળ પોતાની જી.જે. ૧૦ સી.જી. ૨૯૩૨ નંબરની કાર લઈને કેશિયા ગામથી જામદુધઈ તરફ જઈ રહેલા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા ( ઉ.વ.૪૬) કે જેઓ કેશિયા ગામની હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે સરકારી ફરજ બજાવે છે, જે ફરજ પૂરી કરીને પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા. જે દરમિયાન અકસ્માતે ટ્રેક્ટર પલટી મારીને કાર સાથે ડ્રાઇવરની સાઈડમાં ટકરાઈ ગયું હતું અને રાજેશભાઈને પણ હેડ એન્જરી સહિતની ગંભીર ઈજા થતાં હેમરેજ થવાથી તેઓનું પણ ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આમ આ અકસ્માતમાં એકીસાથે બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા.જોકે ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો હતો, અને તેને માત્ર સામાન્ય ઇજા થઈ હતી.
આ અકસ્માતના બનાવની જાણ થવાથી જોડિયાના પીએસઆઇ આર.એ. રાજપુત તેમજ સ્ટાફના એન. એમ. ભીમાણી વગેરે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા, અને બંને મૃતદેહો નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવ અંગે સરકારી કર્મચારી રાજેશભાઈ ગાંભવા ના ભત્રીજા યોગેશભાઈ મનસુખભાઈ એ ટ્રેક્ટરચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે ટ્રેક્ટરના ચાલક રાકેશ દેવારામ ખટાણા સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રેક્ટર કબજે કર્યું છે.
અકસ્માતના બનાવ બાદ માર્ગ પર લોકોના ટોળા એકત્ર થયા હતા, તેમજ થોડો સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઇ હતી, પરંતુ પોલીસે સમયસર રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહારને પૂર્વવત બનાવી દીધો હતો.
કેશિયા ગામની શાળાના સરકારી કર્મચારીના મૃત્યુને લઈને તેની બે માસુમ પુત્રીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે, જેથી પરિવારમાં ભારે આપત્તિ આવી પડી છે.
અહેવાલલ સાગર સંઘાણી