Abtak Media Google News

જામનગરમાં એક પરપ્રાંતિય યુવાને અકળ કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી છે. જ્યારે વતનમાં જવાની જીદ્દ કરતા પરિણીતાને પતિએ ઈન્કાર કરતા તેણીએ આપઘાત કર્યો છે. ઉપરાંત મોટી ગોપના એક યુવાને વિષપાન કરી મોતને મીઠુંં કર્યું છે. પોલીસે ત્રણેય બનાવોની તપાસ શરૃ કરી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાસે આવેલા રાંદલના વડ નજીક રહેતા અને લાલપુરમાં પંકચર કરવાની દુકાન ચલાવતા સનરાજ પુષ્પરાજ અન્ના નામના પરપ્રાંતિય યુવાને આજે સવારે પોતાના ઘરે અકળ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેની જાણ થતા તેના પરિવારે સનરાજને નીચે ઉતારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી, પરંતુ તે પહેલા આ યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરાઈ છે.

કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં આવેલી ચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજા નામના ખેડૂતની વાડીમાં રહી ત્યાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડદલા ગામના વતની લુંભીભાઈ રાજુભાઈ વસના પાસે તેમના પત્ની પારૃલબેન (ઉ.વ.૧૯)એ બેએક દિવસથી વતનમાં જવાની વાત કરી હતી, પરંતુ હાલમાં ઘણું કામ છે તે પૂર્ણ થયે વતનમાં જઈશું તેમ પતિએ કહેતા પારૃલબેનને માઠું લાગી આવ્ય્ું હતું.

આ મહિલાએ ગઈકાલે બપોરે અઢી વાગ્યા પછીના સમયે વાડીમાં બનાવવામાં આવેલા મકાનમાં લોખંડની આડીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. પતિ લુંભીભાઈએ પારૃલબેનને સારવારમાં ખસેડયા હતા જ્યાં તેણીનું ગઈકાલે સાંજે મૃત્યુ થયું છે. પીએસઆઈ ડી.પી. ચુડાસમાએ મૃતદેહનું પી.એમ. કરાવી પતિનું નિવેદન નોંધ્યું છે.

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અશ્વિનભાઈ કારાભાઈ પાથર નામના પચ્ચીસ વર્ષના સગર યુવાનને બેએક વર્ષથી ટીબીની બીમારી પજવતી હતી જેની સારવાર ચાલુ હતી તેમ છતાં એકાદ પખવાડિયાથી અશ્વિનભાઈ મગજ બરાબર કામ નથી કરતું તેમ કહેતા હતા.

આ યુવાને સોમવારે બપોરે પોતાની વાડીએ જઈ જંતુનાશક દવાની શીશીમાંથી ઘૂંટડો ભરી લેતા તેની થયેલી વિપરીત અસરના કારણે સારવાર માટે જામજોધપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના સંબંધી કારાભાઈ અરજણભાઈ પાથરનું નિવેદન નોંધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.