Abtak Media Google News

કિંગ ફિશર વાળા ઉઠી ગયા અને પકડાવાની બીકે ઉડી ગયા..!  ઍર ઇન્ડિયાના કર્મચારીઓ નફામાં આવવાની અને સમયસર પગાર થવાની રાહમાં રિટાયર્ડ થઇ ગયા..! સહારા વેચાઇ ગઇ, ડેક્કન માલગાડી કરતાં વધારે ખરાબ સર્વિસના કારણે ડબ્બામાં ગઇ..! હવે જેટના વિમાનો હેંગરોમાં( વિમાનનાં પાર્કિંગ સ્લોટ) જમા થવા માંડ્યા છે. સાલ- ૨૦૧૫ માં દેશની ઇન્ડિગો અને ગો-ઍર ને બાદ કરતા તમામ કંપનીઓ ખોટમાં ચાલતી હતી. એ વખતે ઇન્ડિગોનો નફો ૧૫ કરોડ રૂપિયા જ્યારે ગો-ઍરનો નફો આશરે ૧૫ લાખ રૂપિયા જેટલો હશે.

તાજેતરના અહેવાલ પ્રમાણે ઇન્ડિગોનો ટ્રાફિક સૌથી વધારે હોવા છતાં પણ હાલમાં તેની બેલેન્શીટ રેડ ઝોનમાં ગઇ છે. વૈશ્વિક બજારમાં પણ એરલાઇન ઇન્ડસ્ટ્રીની હાલત એક સંધો ત્યાં તેર તુટે જેવી જ હોય છે. ખોટનાં ખાડામાં ઠેબાં ખાતી આ કંપનીઓ રન-વે ઉપરથી લપસી રહી છે જ્યારે આપણી સરકારો નવા એરપોર્ટ શરૂ કરવા માટેની ગુલબાંગો પોકારી રહી છે. સાલ ૨૦૧૮માં જ હાલની સરકારે દેશમાં ૬૦ અબજ ડોલરના ખર્ચે નવા ૧૦૦ એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરી હતી. ૭૦ વર્ષમાં સરકારે ૭૫ એરપોર્ટ બનાવ્યા હતા જ્યારે આ સરકારે ૬૦ નવા એરપોર્ટબનાવ્યા છે. પણ સવાલ એ છે આ તમામ એરપોર્ટ કોના માટે?

ભારતમાં વિમાન પ્રવાસ કરનારા વધી રહ્યા છે, વિદેશ ફરવા જનારા ટુરિસ્ટો વધી રહ્યા છે, એટલે સરકારો ગુલાબી ચિત્ર રજૂ કરે છે કે વિશ્વ નાનું થઇ રહ્યું છે, ભારત વિકાસ કરી રહ્યું છે, લોકો પૈસાદાર થઇ રહ્યા છે..વગેરે વગેરે..!  પણ એરલાઇન કંપનીઓ બંધ થઇ રહી હોય ત્યારે નવા એરપોર્ટ થી કોને ફાયદો થવાનો? એવું નથી કે દેશની જનતા વિમાની સફરથી દૂર થઇ રહી છે. ઉલટાનો પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે.

સાલ ૨૦૧૮નાં અંતે ભારતમાં સતત ૪૨ મા મહિને સ્થાનિક સ્તરે ઍર લાઇન પ્રવાસીઓની સંખ્યા ૧૦ ટકાના દરે વધી રહી છે. જ્યારે તેમાં વિદેશ જનારા પ્રવાસીઓની સંખ્યા ઉમેરીએ તો કુલ ૧૭ ટકાનો વધારો દેખાડે છે. આમ તો પ્રવાસીઓનો ધસારો વધવાનાં સંકેત ઍરલાઇન્સ કંપનીઓ માટે સારા સમાચાર ગણાય પણ કંપનીઓના વધતા ખર્ચા તેમને નુકસાન માંથી બહાર આવવા દેતા નથી.

IATAનાં સર્વે પ્રમાણે સાલ ૨૦૨૫ સુધીમાં ભારત વિશ્વમાં વિમાન પ્રવાસીઓના મામલે ત્રીજું રાષ્ટ્ર બનશે. આંકડા બોલે છે કે છેલ્લા દોઢ દાયકામાં ભારતમાં આ સેક્ટરમાં ૧૬૫ કરોડ ડોલરનું નવું મુડી રોકાણ થયું છે. જ્યારે આગામી ચારેક વર્ષમાં દેશમાં આ સેક્ટરમાં નવા ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની સંભાવના છે. AAIઆગામી એક વર્ષમાં ૧૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવા ટર્મિનલો બનાવશે.

આપણા દેશમાં આ એક સેક્ટર એવું છે જ્યાં માળખાકિય સુવિધાઓ તૈયાર થઇ રહી છે પંણ ઓપરેટરો અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યા છે. જો ફ્યુલના ભાવ વધે તો એરલાઇન કંપનીને નુકસાન, રૂપિયાનું અવમુલ્યન થાય તો નુકસાન, ભારે વરસાદથી ફ્લાઇટ કેન્સલ થાય તો નુકસાન, પીક અવર્સમાં ઍર ટ્રાફિક ક્ધઝક્શનના કારણે વિમાનને સમયસર આવવા છતાં હવામાં ચક્કર મારવા પડે તો નુકસાન, એકાદ અકસ્માત થાય અને પ્રવાસીઓ ઍર ટ્રાવેલથી ડરવા માંડે તો નુકસાન, સરકારની નીતિ બદલાય તો નુકસાન..! એવા તો કેટલાય કારણો છે.

જે દેશમાં સિવીલ એવિયેશન ઉદ્યોગને મલાઇદાર બનતો અટકાવે છે.  ઉલ્લેખનીય છે કે એક કલાક સુધીના ઍર ટ્રાવેલ ટાઇમ માટે ભારત સરકારે ભાડું ૨૫૦૦ રૂપિયાની મર્યાદામાં રાખવાની નીતિ જાહેર કરતા ઓપરેટરોની હાલત કફોડી થઇ ગઇ છે. જાની જોઇને ઘણી કંપનીઓ હવે ટ્રાવેલ ટાઇમ ૧:૦૫ કલાક કે ૧:૧૫ કલાક રાખવા માંડી છે. સરકારની દેશના નાના સહેરોને જોડવા માટેની આ નીતિ હોઇ શકે પણ તે પ્રવાસી ઉપરાંત ઍરલાઇન કંપનીને પણ આર્થિક રીતે પરવડે તેવી હોવી જોઇએ. નહિતર બેંકોના કર્જ ચુકવ્યા વિના જ ઓપરેટો વિદેશની ફ્લાઇટ પકડી
લેશે.

આપણા દેશમાં જ નહી વિશ્વભરમાં ઍરલાઇન કંપનીને નફો કરતી રાખવી એ એક કોયડો છે. એામાં વળી સરકારનાં નિર્ણય અવરોધ ઉભા કરતા હોય છે. આવા સંજોગોમાં નવા ઓપરેટરો ભારતમાં આવવાની હિંમત કરે કેવી રીતે? સરકારે સુવિધાઓ વધારવા પાછળ નાણા ખર્ચવાની સાથે કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવી પડશે નહીતર આપણા એરપોર્ટ ક્રિકેટ સ્ટેડિયમ અને રન-વે પીચ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.