Abtak Media Google News

હાર્દિક અલ્પેશ ઠાકોરની જેમ ગરીમાપૂર્ણ રીતે પક્ષમાંથી રાજીનામું આપી શકતો હતો, પણ તેને આવું ન કર્યું, જેને પ્લેટફોર્મ આપ્યું તેના વિશે જ અયોગ્ય ભાષાનો ઉપયોગ ઉચિત નહિ

હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ કોંગ્રેસ ઉપર સનસનાટી ભર્યા આક્ષેપો કરતા રાજકારણ ગરમાયુ છે. આ મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે સંવાદ કર્યા વગર બધા જ “બ્રિજો” બાળીને હાર્દિક દુ:ખી થઈ જશે.

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ પર કરેલા આક્ષેપોનો વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ સણસણતો જવાબ આપ્યો છે. અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મેવાણીએ હાર્દિકે કરેલા નિવેદનો પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો તેને પક્ષ છોડવો જ હતો તો તે ગરીમાપૂર્વક રાજીનામું આપી શકે તેમ હતો, તેમાં વળી ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની ક્યાં જરુર હતી? મેવાણીએ એમ પણ કહ્યું હતું કે સરકારે મોટું મન રાખીને પાટીદારોને અનામત આપ્યું તેવું કહેનારો હાર્દિક એ વાત ભૂલી રહ્યો છે કે તેના માટે પાટીદારોએ પોતાના 14 યુવાનોને ગુમાવ્યા, માતા-બહેનોએ પોલીસના ડંડા ખાધા અને ભરતડકામાં સમાજના લોકોએ કેવી રેલીઓ કરી હતી.

હાર્દિકનો રાજીનામાંનો પત્ર તેમજ ત્યારબાદ તેણે આપેલા નિવેદનો કમલમમાં લખાયા હોવાનું જણાવી જિજ્ઞેશે એમ પણ કહ્યું હતું કે પક્ષ સામે કોઈ વાંધો થયો હોઈ શકે, પરંતુ કોંગ્રેસને ગુજરાત કે દેશદ્રોહી ચિતરવી યોગ્ય નથી. હાર્દિકને માત્ર 27 વર્ષની નાની વયે કાર્યકારી અધ્યક્ષ બનાવવાની સાથે મોટું સ્ટેજ આપ્યું, સ્ટાર કેમ્પેઈનર બનાવ્યો, હેલિકોપ્ટર આપી રાજ્યોમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપી હતી. તેમ છતાંય એકાદ નાની માગણી ના સંતોષાય અને પક્ષ છોડવો જ હોય તો પ્રેમથી છોડી શકાય તેમ હતો.

અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી હતી, પરંતુ તેમણે ગરીમાપૂર્ણ રીતે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને અયોગ્ય ભાષાનો ઉપયોગ પણ નથી કર્યો. પક્ષ છોડ્યા બાદ હાર્દિકે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં અદાણી અને અંબાણી અંગે કરેલા નિવેદન અંગે મેવાણીએ કહ્યું હતું કે અચાનક હાર્દિકને તેમના પ્રત્યે પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે? તેવો સવાલ પણ મેવાણીએ ઉઠાવ્યો હતો. છેલ્લા સવા મહિનાથી હાર્દિક પટેલ ભાજપમાં જશે તેવી મીડિયામાં વાતો થતી હોવા છતાંય તેણે કોઈ પ્રતિક્રિયા ના આપી તે મુદ્દો પણ જિજ્ઞેશ મેવાણીએ  પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોતાની આઈડિયોલોજીને વળગી રહેલા વ્યક્તિ વિશે કોઈ આવી વાતો ક્યારેય ના કરી શકે, પરંતુ હાર્દિકે તેની સાથે સમાધાન કર્યું છે. ગુજરાતમાં અને દેશમાં બેરોજગારી, મોંઘવારીનો પ્રશ્ન ચરમસીમા પર છે.

દેશના સંસાધનોની લૂંટ ચાલી રહી છે ત્યારે દેશ યુવાનેતાઓ પર આશાભરી નજરે જોઈ રહ્યો છે. જે પ્રમાણે ભાજપ અને સંઘ સામે જે રેખા ખેંચવામાં આવી હતી તેનાથી ધર્મનિરપેક્ષતા, બંધારણ અને સમાજવાદમાં માનતા લોકો માટે હાર્દિક જેવા નેતા આશા બન્યા હતા, પરંતુ તે પોતાની વિચારધારા પર કટિબદ્ધ ના રહી શક્યો, તેમ પણ મેવાણીએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.